Teacher’s Day Special: આજે દેશના બીજા રાષ્ટ્રપતિ અને કથિત દર્શનશાસ્ત્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન(Dr. Sarvapalli Radhakrishnan)નો જન્મદિવસ(Birthday) છે. દર વર્ષે તેમના જન્મદિવસને શિક્ષક દિવસ(teacher’s day) તરીકે મનાવવામાં આવે છે. પણ શું તમે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની હકીકત જાણો છો? શું તમને ખબર છે તેમણે તેમના જ એક વિદ્યાર્થીની થીસિસ ચોરીને પોતાના નામે પ્રકાશિત કરાવી દીધી હતી? ચાલો વિસ્તારથી તેના વિશે જાણીએ.
ડો. રાધાકૃષ્ણને તેમના જ વિદ્યાર્થીની થીસિસ ચોરી હતી?
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન સાથે જોડાયેલો આ એક એવો વિવાદ છે જે દર વર્ષે આ દેશના દલિત-બહુજન સમાજને તેમની યાદમાં મનાવાતા શિક્ષક દિવસ પર પ્રહાર કરવાનો મોકો આપે છે. આ વિવાદ તેમનાં બીજાં પુસ્તક ‘ભારતીય દર્શન-Indian philosophy’નાં બીજા ભાગ સાથે જોડાયેલો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પુસ્તક તેમણે જદુનાથ સિન્હા(Jadunath Sinha) નામનાં પોતાનાં જ એક વિદ્યાર્થીની થીસિસની ચોરી કરીને પોતાનાં નામે પ્રસિદ્ધ કર્યું હતું. જદુનાથનાં પુસ્તક અને ડો. રાધાકૃષ્ણનનાં પુસ્તકનાં વિષય અને સામગ્રીમાં જરાય ફરક નથી. આજે અહીં તેનાં વિશે લખવાનું કારણ એટલું જ કે હજુ ગયા મહિને 24મી ઓક્ટોબરે જદુનાથ સિન્હાનો જન્મદિવસ ગયો ત્યારે ફરી એક વખત પશ્ચિમ બંગાળમાં લોકોએ આ મુદ્દો ઉઠાવીને ચર્ચા છેડી હતી. આ વર્ષે આ વિવાદ સામે આવ્યાને નેવું કરતા વધુ વર્ષ થઈ ગયા છે છતાં દર વર્ષે ડો. રાધાકૃષ્ણનનાં જન્મદિને તે ફરીફરીને સપાટી પર આવ્યા કરે છે.
કલકત્તાના ‘મોર્ડન રિવ્યૂ’ મેગેઝિને પોલ ખોલી
1920ના દાયકામાં કોલકાતામાંથી પ્રસિદ્ધ થતા માસિક ‘મોર્ડન રિવ્યૂ’ મેગેઝિન(Modern Review Magazine)માં આ વિવાદ ત્યારે સામે આવ્યો હતો જ્યારે કલકત્તા યુનિ.(University of Calcutta)માં ભણતાં જદુનાથ સિન્હા નામનાં એક વિદ્યાર્થીએ જાન્યુઆરી 1929નાં રોજ એક લેખ લખીને પોતાના પ્રોફેસર ડો. રાધાકૃષ્ણન પર પોતાની થીસિસની ચોરીનો સનસનીખેજ આરોપ લગાવેલો. તેણે લખ્યું હતું કે ડો. રાધાકૃષ્ણનનાં પુસ્તક ‘ભારત દર્શન-2’માં તેની થીસિસનો ઉપયોગ કરાયો છે. એ પછી પોતાના દાવાનાં સમર્થનમાં તેણે મેગેઝિનનાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ સળંગ ત્રણ અંકમાં વિવિધ તારણો રજૂ કરતા મામલો વધુ બિચક્યો હતો.
આ પણ વાંચો: દલિત મેનેજર 1 વર્ષથી જમીન પર બેસીને કામ કરે છે
જનસંઘના શ્યામાપ્રસાદ મુખર્જીએ કોર્ટ બહાર સમાધાન કરાવેલું
આ બાજુ રાધાકૃષ્ણને જદુનાથનાં દાવાઓ પર એ જ મેગેઝિનમાં જવાબી પત્ર લખતાં કહ્યું હતું કે અકસ્માતે તેમનાં પુસ્તક અને જદુનાથની થીસિસનો વિષય એક જ હોવાથી બંનેની વિષય સામગ્રી મળતી આવે છે. અકળાયેલાં જદુનાથે ઓગસ્ટ 1929માં રાધાકૃષ્ણન પર કેસ કરી દીધો હતો. જવાબમાં રાધાકૃષ્ણને જદુનાથ અને પત્રિકાનાં સંપાદક રામનાથ ચટ્ટોપાધ્યાય(Ramnath Chattopadhyay) વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો. અંતે કલકત્તા યુનિ.માં કુલપતિ રહેલા શ્યામાપ્રસાદ મુખર્જી(Shyamaprasad Mukherjee)એ કોર્ટ બહાર બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવેલું.
જદુનાથ સિંહા કોણ હતા?
જદુનાથ સિન્હાનો જન્મ 24 ઓક્ટોબર 1892નાં રોજ પશ્ચિમ બંગાળનાં કુરુમગ્રામમાં થયો હતો. દર્શનશાસ્ત્ર(philosophy)માં બીએ અને એમએની ડિગ્રી મેળનાર તેઓ પ્રતિષ્ઠિત દર્શનશાસ્ત્રી અને લેખક પણ હતાં. કલકત્તા યુનિ.માંથી સ્નાતકનો અભ્યાસ કરતી વખતે તેમને ફિલિપ સેમ્યુઅલ સ્મિથ અને ક્લિંટ મેમોરિયલ સન્માન પણ મળ્યાં હતાં.
1922માં તેમણે ‘ઈન્ડિયન સાયકોલોજી ઓફ પરસેપ્શન’ નામની પોતાની થીસિસ પીએચડી માટે જમા કરવા હતી જેને શિષ્યવૃત્તિ આપવામાં આવેલી. તેમણે પોતાની બાકીની થીસિસ 1925 સુધીમાં જમા કરાવી હતી. જે પ્રોફેસરોએ તેમની થીસિસ જોઈ હતી તેમાં ડો. રાધાકૃષ્ણન સિવાય અન્ય બે પ્રોફેસરો બી.એન. સીલ અને કૃષ્ણચંદ્ર ભટ્ટાચાર્ય પણ સામેલ હતા. આ થીસિસ માટે જદુનાથને યુનિ.એ માઉન્ટ મેડલથી સન્માનિત કર્યા હતા. પરંતુ થીસિસ પાસ થવામાં બે વર્ષ નીકળી ગયા હતાં અને તેની પહેલાં પ્રોફેસર રાધાકૃષ્ણનું પુસ્તક ‘ભારતીય દર્શન’ પ્રકાશિત થઈ ગયું હતું.
જદુનાથ સિંહાની થીસિસ રાધાકૃષ્ણને પોતાના નામે છપાવી દીધી
સમગ્ર મામલે ઓલ ઈન્ડિયા રેડિયો(All India Radio)નાં ન્યૂઝ સંપાદક અને સિનિયર પત્રકાર મહેન્દ્ર યાદવે(Mahendra Yadav) થોડા વર્ષ પહેલા 5મી સપ્ટેમ્બરે દાવો કર્યો હતો કે ડો. રાધાકૃષ્ણને જદુનાથની થીસિસને જાણી જોઈને પાસ કરવામાં મોડું કરીને તેને પોતાના નામે ઓક્સફોર્ડ યુનિ.માં છપાવી દીધી હતી. તેમના આખું પુસ્તક છપાઈને પ્રકાશિત થઈ ગયું એ પછી જ જદુનાથની થીસિસ પાસ કરવામાં આવી હતી. જેને લઈને જદુનાથે ‘મોર્ડન રિવ્યૂ’નાં સંપાદકને પત્ર લખ્યો હતો જે જાન્યુઆરી 1929માં તેમાં પ્રકાશિત થયેલો.
આગળ જતાં બંને વ્યક્તિઓએ એકબીજાં પર કેસ ઠોકેલો. રાધાકૃષ્ણન જાણીતી વ્યક્તિ હોઈ મામલો હાઈ પ્રોફાઈલ બની ગયો હતો. જેને ઉકેલવા જનસંઘ(Jan Sangh)નાં સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી આગળ આવેલાં. પત્રકાર મહેન્દ્ર યાદવનાં મતે તેમણે જદુનાથને કોર્ટ બહાર સમાધાન કરવા માટે એ જમાનામાં રૂ. 10 હજાર આપવાનું નક્કી કર્યું હતું. ગરીબ જદુનાથ માટે આ બહુ મોટી રકમ હોઈ નાછુટકે તેણે સમાધાન કરવું પડેલું.
રાધાકૃષ્ણનનું અંગ્રેજી અને સંસ્કૃત અત્યંત નબળું હતું
મહેન્દ્ર યાદવ સમગ્ર મામલે બીજા પણ કેટલાક તારણો કાઢે છે જે જદુનાથ સિન્હાની તરફેણમાં જાય છે. તેમનાં મતે ડો. રાધાકૃષ્ણનનું અંગ્રેજી, સંસ્કૃત બંને ખૂબ જ નબળાં હતાં. એવામાં તેમનાં દર્શનશાસ્ત્રનાં વિદ્વાન હોવાની વાત શંકા ઉપજાવે તેવી છે. તેઓ ક્યારેક પત્રિકાઓમાં છપાવવા માટે લેખો મોકલતા તેને તંત્રીઓ નબળી ભાષાનાં કારણે તુચ્છ માનીને છાપવાનું ટાળતાં હતાં.
આ પણ વાંચો: 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી
સમાધાન થયું ત્યાં સુધીમાં સત્ય ઉઘાડું પડી ગયું હતું
જ્યારે કેસની વાત આવી તો ‘મોર્ડન રિવ્યૂ’ને ડો. રાધાકૃષ્ણને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે પોતાની આ ખામીઓનો ઉલ્લેખ કરેલો. તેમનો એ પત્ર સાબિત કરે છે કે થીસિસની ચોરીનો કેસ કોર્ટમાં ગયો હતો. આ વિવાદનાં પાંચ વર્ષ પછી 1934માં જદુનાથને કલકત્તા યુનિવર્સિટીએ સન્માનિત કર્યાં હતા. તેમનાં બે પુસ્તકો ‘ઈન્ડિયન સાયકોલોજી: પરસેપ્શન’ અને ‘ઈન્ડિયન રિએલિઝમ’ બાદમાં લંડનમાં પ્રકાશિત થયા હતા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 40થી વધુ પુસ્તકો લખેલાં. આ સિવાય જુદા જુદા પ્રકાશકો દ્વારા તેમનાં લેખો મોટી સંખ્યામાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. મે 1933માં આખરે કેસનો નિવેડો આવેલો. પરંતુ સમાધાનની શરતોનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો અને વિવાદ દરમિયાન લગાવવામાં આવેલા આરોપો પરત ખેંચી લેવાયા હતા. પણ ત્યાં સુધીમાં સત્ય ઉઘાડું પડી ગયું હતું અને વાસ્તવિકતા બધાં જાણી ચૂક્યાં હતાં.
એક ‘થીસિસ ચોર’ના જન્મદિવસને ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવાય?
હવે તમે જ વિચારો, જે માણસ પોતાના જ એક વિદ્યાર્થીની થીસિસ ચોરીને પોતાને વિદ્વાન સાબિત કરવા મથતો હોય, તેના નામે શિક્ષક દિવસ ઉજવવો કેટલો યોગ્ય છે? હકીકતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન એક જાતિવાદી, ધર્માંધ, થીસિસ ચોર હતા અને તેમને તે જ સ્વરૂપે યાદ કરવા જોઈએ. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવો એ શિક્ષકોનું અપમાન છે.
શિક્ષક દિવસ જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના નામે ઉજવાવો જોઈએ
જો શિક્ષક દિવસ ઉજવવો જ હોય તો બહુજન મહાનાયક મહાત્મા જ્યોતિબા ફૂલે અને દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના નામે ઉજવાવો જોઈએ. કેમ કે, તેઓ ખરા અર્થમાં શિક્ષક દિવસને લાયક વ્યક્તિત્વો છે. ડૉ. રાધાકૃષ્ણનની લાયકાત એટલી જ હતી કે તેઓ બ્રાહ્મણ જાતિના હતા, એટલે તેમણે કહ્યું કે મારો દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવજો, અને સવર્ણોનું વર્ચસ્વ ધરાવતા આ દેશે તે સ્વીકારી લીધું. પણ હવે આ પ્રકારના ગતકડાં બહુ લાંબો સમય નહીં ચાલે. કેમ કે, આ દેશના દલિત-બહુજનોને આ બધું સમજાવા માંડ્યું છે. એનું જ કારણ છે કે, હવે દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ વધુને વધુ લોકો રાધાકૃષ્ણનની થીસિસ ચોરીની ચર્ચા કરીને આ દિવસની ઉજવણીનો વિરોધ કરી રહ્યાં છે. સાથે જ ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની હિમાયત કરતા થયા છે. જો એવું થશે તો તે બહુજનોની બહુ મોટી જીત હશે.
(લેખક વરિષ્ઠ પત્રકાર, ‘અભિયાન’ મેગેઝિનના પૂર્વ તંત્રી અને ‘લોકસત્તા-જનસત્તા’ દૈનિકના તંત્રી છે.)
આ પણ વાંચો: શિક્ષણ સિંહણનું દૂધ છે..કહેનાર ડૉ.આંબેડકર પાસે કેટલી ડિગ્રીઓ હતી?












Users Today : 11
તો હવેથી થીસીસ ચોર દિવસ તરીકે ઉજવવામાં આવે.