ગુજરાતમાં SC-ST પર અત્યાચાર વધ્યા: 5 વર્ષમાં 19,000 ફરિયાદો

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતા છેલ્લા 5 વર્ષમાં SC-ST સમાજ પર અત્યાચારના 19,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સજાનો દર ચિંતાજનક રીતે માત્ર 1% છે.
gujarat sc st complaints

ગુજરાત મોડેલ અને સલામતીના ગાણાં ગવાઈ રહ્યા છે, ત્યારે રાજ્યની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજ આજે પણ સામાજિક અન્યાય અને હિંસાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ ચોપડે નોંધાયેલા આંકડાઓ મુજબ, આ બંને સમાજ પર અત્યાચારની કુલ 19,000થી વધુ ઘટનાઓ નોંધાઈ છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે દલિતો અને આદિવાસીઓને બંધારણીય હક્કો અને પાયાની સુરક્ષા આપવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી છે.

દલિતો પરના અત્યાચારનું ચિંતાજનક પ્રમાણ

રાજ્યમાં દલિતો પર થતા અત્યાચારની સ્થિતિ અત્યંત ગંભીર છે. છેલ્લા પાંચ વર્ષમાં દલિતો પર અત્યાચારની કુલ 13,629 ઘટનાઓ બની છે. આ આંકડાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો માલૂમ પડે છે કે ગુજરાતમાં દરરોજ સરેરાશ 3 થી વધુ દલિતો અત્યાચારનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને જૂનાગઢ જિલ્લાઓમાં અત્યાચારના કિસ્સાઓનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. આ આંકડાઓ માત્ર એવા કિસ્સાઓના છે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક દબાણ અને ડરને કારણે હજારો કિસ્સાઓ તો પોલીસ ચોપડે નોંધાતા જ નથી.

આ પણ વાંચો: ‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’

આદિવાસી સમાજ પણ અસુરક્ષિત

ભાજપ શાસિત ગુજરાતમાં આદિવાસી સમાજ પર પણ અત્યાચારોનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આદિવાસીઓ પર અત્યાચારની કુલ 3,553 ઘટનાઓ નોંધાઈ છે. આનો અર્થ એ થયો કે રાજ્યમાં દર 48 કલાકે એક આદિવાસી ભાઈ-બહેન પર અત્યાચાર કે હુમલો થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારોમાં વિકાસની મોટી વાતો વચ્ચે પણ પાયાની સુરક્ષાનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આદિવાસીઓ પર અત્યાચારના કુલ 1590 નવા કેસ નોંધાયા છે, જે સાબિત કરે છે કે સ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે.

ન્યાયિક પ્રક્રિયામાં નિષ્ફળતા: સજાનો દર માત્ર 1 ટકા

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગુનેગારોને સજા અપાવવામાં સરકાર અને તપાસ એજન્સીઓ સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા 3 વર્ષમાં એસટી (ST) અત્યાચારના કેસોમાં સજાનો દર 1% કરતા પણ ઓછો રહ્યો છે. આ અત્યંત નિમ્ન સજાનો દર ગુનેગારોમાં કાયદાનો ભય ખતમ કરી રહ્યો છે. આદિવાસીઓ પર અત્યાચારના કુલ 3,553 કેસના ટ્રાયલ હજુ પણ બાકી છે. જ્યારે ન્યાય મળવામાં આટલો વિલંબ થાય ત્યારે પીડિતોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ડગમગવા લાગે છે અને ગુનેગારો વધુ બેફામ બને છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 123 વર્ષ બાદ કતલખાનું બનશે, ભાજપે 32 કરોડ ફાળવ્યા!

રાજ્ય સરકારની ઉદાસીનતા, સવર્ણોની નારાજગીની બીક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વંચિતોના અધિકારો માટે 15 હજારથી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, પરંતુ ગુજરાતની ‘સંવેદનશીલ’ ગણાતી સરકારના પેટનું પાણી પણ હલ્યું નથી. વર્ષ 2018 અને 2019માં માત્ર 6 કાર્યક્રમોનું આયોજન થયું હતું અને વર્ષ 2020માં તો એક પણ કાર્યક્રમ કરવાની તસ્દી લેવાઈ નથી. આ આંકડાઓ ભાજપ સરકારની દલિત અને આદિવાસી વિરોધી માનસિકતા છતી કરે છે.

એસસી-એસટી પર વધી રહેલી અત્યાચારની ઘટનાઓ ગુજરાત માટે એક કલંક સમાન છે. માત્ર આંકડાઓ જાહેર કરવાથી કે સુરક્ષાના દાવાઓ કરવાથી સ્થિતિ બદલાશે નહીં. જો સરકાર ખરેખર ગંભીર હોય, તો આ કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સંખ્યા વધારવી જોઈએ અને તપાસમાં ઝડપ લાવી સજાનો દર સુધારવો જોઈએ. સામાજિક સમરસતા માત્ર કાગળ પર નહીં, પરંતુ જમીની સ્તરે દેખાય તે સમયની માંગ છે.

આ પણ વાંચો: પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
13 hours ago

BJP sarkaar ek jatankvadi,, sarkaar che

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x