દલિત-બહુજન ક્રાંતિનો ગઢ ગણાતા જૂનાગઢ જિલ્લામાં સામાજિક કાર્યોની જ્યોતિ સતત પ્રજ્વળતી રહે છે. જૂનાગઢ જિલ્લાના જાગૃત દલિત સમાજ દ્વારા સમયાંતરે કોઈને કોઈ સામાજિક કાર્યો યોજાતા રહે છે. આવો જ એક સુંદર કાર્યક્રમ ગઈકાલે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે કોડીનાર ખાતે યોજાઈ ગયો. જ્યાં કોડીનાર આસપાસના વિવિધ ગામોના 27 યુગલોએ બૌદ્ધવિધિથી લગ્નગ્રંથિથી જોડાઈને દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.
કોડીનારના કડવાસણ ગામમાં આયોજન કરાયું
કોડીનાર અનુસૂચિત જાતિ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ બૌદ્ધ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના જાગૃત લોકોનો સંપૂર્ણ ટેકો મળ્યો હતો. કોડીનારના કડવાસણ ગામે અંબુજા-મૂળદ્વારકા રોડ પર આવેલી આયુ. ભગવાનભાઈ તથા દિવંગત બાબુભાઈ પાતળની વાડી ખાતે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યાં
આ પણ વાંચો: શેત્રુજીમાં ડૂબાયેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ
સમૂહ લગ્ન કાર્યક્રમનું ઉદ્ઘાટન કોડીનારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ વાઝા અને સામાજિક અગ્રણી દેવશીભાઈ વાઘેલાએ કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બટુકભાઈ નથુભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ સંસદીય સચિવ જે.ડી. સોલંકી, કોડીનારના પૂર્વ ધારાસભ્ય મોહનભાઈ વાળા, એનએસયુઆઈ ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ નિયામક ભાવસિંહ વાઢેળ, રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.લલીતભાઈ ટી. વાઝા, જૂનાગઢ બહાઉદ્દીન કોલેજના પ્રી. ડો. જેસિંગભાઈ વાઝા, ભાવનગર મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. સવીતાબેન મકવાણા, નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર ઉકાભાઈ ચુડાસમા તથા રાજકોટના ડો.એન.કે. જાદવ ઉપસ્થિત રહ્યા હતા.
નવદંપતીઓને ઘરેણાં સહિત ચીજવસ્તુઓ ભેટમાં અપાઈ
સમૂહ લગ્નનમાં લગ્નગ્રંથિથી જોડાનાર નવયુગલોને દાતાઓ દ્વારા સોના-ચાંદીના ઘરેણાં, સેટી, કબાટ, ગાદલાં, ખુરશી, ભારતીય બંધારણની કોપી તથા ડો.આંબેડકર, જ્યોતિબા-સાવિત્રીબાઈ ફૂલેના પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા.
આ સમૂહ લગ્ન કાર્યક્રમને કોડીનાર તાલુકા અને જૂનાગઢ જિલ્લાના વિવિધ સંગઠનો, સંસ્થાઓ, ઉત્કર્ષ મંડળો અને વિવિધ ગ્રુપો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો. એ રીતે આ સમૂહ લગ્ન કાર્યક્રમ સમસ્ત કોડીનાર જિલ્લા અનુસુચિત જાતિ સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન બની રહ્યો હતો.
આ પણ વાંચો: 14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું