દેશમાં એક બાજુ હિંદુત્વવાદીઓ લવ જેહાદની થિયરી ચલાવી મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જતા હોવાની વાત કરતા જોવા મળે છે ત્યારે બીજી તરફ તેનાથી ઉલટી ઘટના આણંદ શહેરમાં સામે આવી છે. આણંદ શહેરમાં રહેતી ચાર મુસ્લિમ યુવતીઓને પ્રેમલગ્નની લાલચ આપીને કેટલાંક હિંદુ યુવકો ભગાડી ગયા હોઈ આ મામલે આણંદ શહેર, વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજીમાં આપવામાં આવી હતી. જોકે, આ બાબતે પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી. જેને લઈને મુસ્લિમ સમુદાયમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે સમાજના કેટલાંક અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
આણંદના સ્થાનિક મુસ્લિમ અગ્રણી સોહિલભાઈ ચિસ્તીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં આણંદમાં ચારથી વધારે મુસ્લિમ સમાજની દીકરીઓને કોઈ ચોક્કસ સંગઠનના એજન્ડા મુજબ લલચાવી ફોસલાવી ભગાડી લઇ જવામાં આવી છે. જેની એક અરજી ગામડી પોલીસ સ્ટેશનમાં, એક અરજી વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને બે અરજી ટાઉન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. પરંતુ આ બાબતને લઈને આજ દિન સુધી કોઈ જ પ્રકારની સંતોષકારક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી નથી. ચોક્કસ લોકેશન, મોબાઈલ નંબર સાથેની માહિતી આપવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ પણ વાંચો: બાયડની આદિવાસી દીકરી સુશીલા વસાવાની આત્મહત્યા કે હત્યા?
સમગ્ર ઘટનાને એક મહિના કરતાં પણ વધુ સમય થવા આવ્યો હોવા છતાં આ યુવતીઓ ક્યાં છે તેની ભાળ મળી નથી. ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી સહિત આણંદ ટાઉનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ દ્વારા તમે જાતે જ પૂછી લો તેમ કહીને તોછડાઈપૂર્વક જવાબ આપે છે. અરજદારોને સાંભળવામાં આવતા નથી.
કોઈ એક ચોક્કસ સંગઠન તેમના એજન્ડાને ધ્યાને લઇ ધર્મ પરિવર્તન કરવાનાં ઇરાદે મુસ્લિમ સમાજની યુવતીઓની જિંદગી બરબાદ કરી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગની એસઓજી, એલસીબી સહિતની એજન્સી દ્વારા તપાસ કરે તેવી અમારી માંગ છે. જો અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો અમે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
આ પણ વાંચો: વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયાનક હિંસા, કલમ 163 લાગુ