જાતિવાદી તત્વોને દલિત સમાજના લોકો સામે જેટલો વાંધો છે તેટલો જ દલિતો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રતિકો સામે વાંધો છે. એનું જ કારણ છે કે, દેશમાં સૌથી વધુ પ્રતિમાઓ ડો.બાબાસાહેબ આંબેડકરની તૂટે છે. અનામતની બંધારણીય જોગવાઈઓનો વિરોધ કરતા જાતિવાદી તત્વો થાકતા નથી. દલિત-બહુજન સમાજ માટે વાદળી રંગ ક્રાંતિનો રંગ મનાય છે.
માન્યવર કાંશીરામથી લઈને વર્તમાન દલિત રાજકીય પક્ષો તેનો ઉપયોગ કરે છે. દલિત સંગઠનો પણ વાદળી રંગને દલિત ક્રાંતિનું પ્રતિક માને છે અને તેના લોગો કે ઝંડામાં તેનો ઉપયોગ કરે છે.
વાદળી ગમછા સામે પણ વાંધો પડ્યો
આશ્ચર્યજનક એ વાતનું છે કે હવે મનુવાદી તત્વોને વાદળી રંગ સામે પણ વાંધો પડવા માંડ્યો છે. મળતી માહિતી મુજબ એક ગામમાં મનુવાદી ગુંડાઓએ વાદળી ગમછો પહેરીને નીકળેલા કેટલાક દલિત યુવકો પર હુમલો કરી દીધો હતો. જેમાં 6 લોકો ઘાયલ થયા હતા અને બે લોકોની હાલત ગંભીર છે. આ મામલે 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
યુપીના હરદોઈના ચૌસર ગામની ઘટના
ઘટના જાતિવાદના ગઢ ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીંના હરદોઈના ચૌસર ગામમાં વાદળી ગમછો પહેરીને નીકળેલા દલિત યુવકો પર નશામાં ધૂત પૂર્વ સરપંચના પુત્રે તેના સાગરિતો સાથે મળીને લાકડીઓ અને દંડાથી હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં ‘દલિત મુખ્યમંત્રી’ ની માંગણીએ જોર પકડ્યું
પૂર્વ સરપંચના પુત્ર સહિત 11 સામે ફરિયાદ
આ ઘટના રાત્રે ૮ વાગ્યે બની હતી. 35 વર્ષના દલિત યુવક શિશુપાલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગામના પૂર્વ સરપંચના પુત્ર રવિ સહિત ૧૧ નામાંકિત વ્યક્તિઓ અને ૫-૬ અજાણ્યા લોકોએ દારૂના નશામાં તેમની સાથે ગાળાગાળી કરી હતી. જ્યારે તેમણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો આરોપીઓએ તેમના પર લાકડીઓ અને ઇંટો વડે હુમલો કરી દીધો હતો.
હજુ સુધી એકેય આરોપીની ધરપકડ કરાઈ નથી
આ હુમલામાં યોગેન્દ્ર (32), અખિલેશ (36), નિલેશ (32), ઇન્દ્રપાલ (28) અને રાજ બહાદુર (25) અને અન્ય એક યુવક ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં યોગેન્દ્ર, અખિલેશ, નીલેશ અને ઇન્દ્રપાલની હાલત ગંભીર જણાતા તેમને મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. આમાંથી યોગેન્દ્ર અને અખિલેશની હાલત વધુ ગંભીર હોવાથી તેમને લખનૌ ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 11 લોકો સામે કેસ નોંધાયો છે. પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસે એકેય આરોપીની ધરપકડ કરી નથી.
ઘટનાને લઈને પોલીસે શું કહ્યું?
સમગ્ર મામલે એરિયા ઓફિસર શિલ્પા કુમારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. હાલ ગામમાં તણાવનો માહોલ છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને પીએસીની એક કંપની તૈનાત કરવામાં આવી છે. પીઆઈ વિવેક કુમારના જણાવ્યા અનુસાર, કેસ નોંધીને આરોપીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: 70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો