custodial deaths in Gujarat: ગુજરાતમાં ભાજપના રાજમાં વિકાસના ખોટા સાચા-ખોટા દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ કસ્ટોડિયલ ડેથ (custodial deaths) મુદ્દે આવ્યો છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના એક રિપોર્ટ મુજબ ગુજરાત કસ્ટોડિયલ ડેથ(Gujarat tops in custodial deaths) મામલે દેશભરમાં ટોચ પર છે. ગુજરાતમાં છેલ્લાં 6 વર્ષમાં 95 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા છે.
નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના રિપોર્ટમાં ખુલાસો
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ રિપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ કાયદાના શાસનથી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડિયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ની ચાડી ખાય છે. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે એક કસ્ટોડીયલ ડેથની ઘટના પણ તપાસ માંગી લે છે. છેલ્લાં 6 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 95 આરોપીનાં કસ્ટોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમાંકે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો: દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC-ST-OBC
છેલ્લાં 6 વર્ષમાં 95 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત
રિપોર્ટ મુજબ, ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૫ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે. કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો હતો. સમગ્ર દેશમાં ૨૦૧૭ થી ૨૦૨૩ સુધીના છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં લગભગ ૭૦૦ થી વધુ લોકોના મોત થયા છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ પોલીસ કસ્ટડીમાં રહેલા લોકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
કૉંગ્રેસે રાજ્ય સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા
કૉંગ્રેસ પ્રવક્તાએ સવાલ ઉઠાવ્યો હતો કે, પ્રશ્ન એ છે કે જો પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવી રહી છે તો દરરોજ કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ કેમ બહાર આવી રહ્યાં છે? તપાસ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ કેમ છે? સ્પષ્ટપણે, આ મામલે બેદરકારી અને મનસ્વીતા આચરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦ માં અલગ-અલગ આદેશોમાં સુપ્રિમકોર્ટ માનવ અધિકારોના ઉલ્લંઘન રોકવા માટે પોલીસ સ્ટેશનો, સીબીઆઈ, ઈડી અને તપાસ એજન્સીઓની કચેરીમાં સીસીટીવી કેમેરા અને રેકોડીંગ સાધનો સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ એનો પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો નથી ઘણા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી અથવા બંધ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: RPF ની કસ્ટડીમાં દલિત યુવકનું મોત, ત્રણ પોલીસકર્મીઓ સામે હત્યાનો કેસ
કસ્ટોડિયલ ડેથમાં મોટાભાગના આરોપીઓ ગરીબ-પછાત વર્ગના
ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશના બંધારણે દરેક નાગરિકને જીવન અને ન્યાયનો અધિકાર આપ્યો છે. પરંતુ આજે કસ્ટોડિયલ ડેથ આપણા તંત્ર પર સૌથી ગંભીર પ્રશ્નચિહ્ન ઊભો કરે છે. મોટાભાગના ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના આરોપીઓને સૌથી વધુ ત્રાસ, યાતના સહન કરવી પડે છે.પોલીસ યુનિફોર્મની આડમાં થતા આ અત્યાચાર માત્ર કાયદાનો ભંગ નથી. આ માનવ અધિકારોનું ક્રુર મર્દન છે.
સરકાર ગમે તે વાત કરે પરંતુ હકીકત એ છે કે કસ્ટોડિયલ ટોર્ચર એક સંસ્થાગત બીમારી બની ગયું છે. જવાબદારી નક્કી કરવાની જગ્યાએ સરકાર દોષિતોને બચાવે છે. આવા બનાવો દેશના કાયદા-વ્યવસ્થાની નહીં, સરકારના નૈતિક દિવાળિયાપણાની નિશાની છે. નાગરિકને સુરક્ષા આપવાનું કાર્ય કરતી પોલીસ જ લોકોના જીવ લેવા માંડે તો એ સરકારની નિષ્ફળતા છે, સિસ્ટમની નહીં. કાયદો યુનિફોર્મ પહેરનારનો નથી, દેશના દરેક નાગરિકનો છે અને જ્યાં ન્યાય મરે, ત્યાં લોકશાહી શરમાશે.
આ પણ વાંચો: વાલ્મિકી યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત, પરિવારે કહ્યું આ હત્યા છે











