Crime News: જૂનાગઢમાં એક મહંત ગૌશાળામાં બેસીને ગુજરાતમાં મોટું સાયબર ફ્રોડ ચલાવતો હોવાનો ભાંડો ફૂટ્યો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢના ભવનાથથી 15 કિ.મી. દૂર આવેલા કેરાળા ગામે આવેલા અવધૂત આશ્રમની ગૌશાળામાં ચાલી રહેલા મોટા સાઈબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
આ ગૌશાળામાં રહેતા અને ધર્મગુરુ તરીકેની ઓળખ ધરાવતા કલ્યાણગીરી બાપુ આ સમગ્ર સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. જૂનાગઢ SOG દ્વારા કલ્યાણગીરી સામે પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ એસઓજીએ કલ્યાણગીરીની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરતા તેના સાગરિતો અડધી રાત્રે તેને મળવા માટે પહોંચી ગયા હતા. એ દરમિયાન થયેલી વાતચીતમાં કલ્યાણગીરીએ સાયબર ફ્રોડ માટે બેંક કીટ આપી હોવાનું સ્વીકાર્યું છે.
આ પણ વાંચો: મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?
મામલો શું છે?
આ કેસની મળતી માહિતી મુજબ જૂનાગઢના કેરાળામાં આવેલા અવધૂત આશ્રમની ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કના સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગત 12 ડિસેમ્બરના રોજ SOGના હાથે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરીને છેતરપિંડી આચરનાર અભય પરસાણિયાની ધરપકડ થતાં આ સમગ્ર કૌભાંડમાં બાપુ મુખ્ય સૂત્રધાર હોવાની આશંકાએ જૂનાગઢ SOGએ કલ્યાણગીરીની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
કલ્યાણગીરીના ખાતામાં લાખો રૂપિયા જમા?
પોલીસ તપાસમાં કલ્યાણગીરી બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યું છે. આ ફંડ સાયબર ફ્રોડનું છે કે અન્ય કોઈ રીતે આવ્યું છે, તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જો કે, કલ્યાણગીરીના શિષ્ય અને ભવનાથ ક્ષેત્રમાં અવધૂત આશ્રમનો વહીવટ કરતા મહાદેવગીરીએ કહ્યું છે કે, તેને આ મામલે કંઈ જ ખબર નથી.
આ પણ વાંચો: જૂનાગઢના ભવનાથ મંદિર પર કબ્જો જમાવવા મહંતોમાં હોડ જામી
હિંચકા પર બેસી ધાર્મિક ઉપદેશ આપી ફ્રોડનું નેટવર્ક ચલાવતા?
કલ્યાણગીરી મહંત તરીકેની ઓળખ ધરાવે છે અને તેમને આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનું મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ મુજબ, કલ્યાણગીરી બાપુ યુવાનોને સરળતાથી રૂપિયા કમાવવાની લાલચ આપીને પોતાના વિશ્વાસમાં લેતા હતા. ગૌશાળાના હિંચકા ઉપર બેસીને યુવાનોને ધાર્મિક ઉપદેશની આપવાની સાથે રૂપિયા કમાવવાની લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વાળતા હતા.
ધર્મની આડમાં વિશ્વાસનો લાભ લઈને તે યુવાનો પાસેથી તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી માટે ‘મ્યુલ એકાઉન્ટ્સ’ તરીકે થતો હતો. ચોંકાવનારી વાત એ છે કે, કલ્યાણગીરી હંમેશા યુવાનોને ડર્યા વગર આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરતો હતો. જેથી તે કોઈ મોટી ગેંગ સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. બેંકમાંથી ફ્રોડના પૈસા કાઢી આવ્યા બાદ કલ્યાણગીરી આ યુવાનોને કમિશન અપાતું હતું. આ રકમ જમા થયા બાદ કલ્યાણગીરીનો એક માણસ તે યુવક સાથે હાજર રહેતો હતો. એ રીતે તેઓ યુવાનોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને તેઓ રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડ ચલાવતા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખના જાતિવાદથી કંટાળી કાર્યકરે ફિનાઈલ પીધી!











Aava lutara bhagvo peri ne BJP ma ketalay karod pati betha che,,,,