ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વહીવટીતંત્રની ઉદાસીનતાથી કંટાળીને એક યુવકે અત્યંત જોખમી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મુરાદાબાદના મઝોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે ભારે હોબાળો મચી ગયો હતો, જ્યારે એક યુવક ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાના રક્ષણ અને ત્યાં ફેલાયેલા ગેરકાયદે દબાણના વિરોધમાં પાણીની ઊંચી ટાંકી પર ચડી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ યુવક છેલ્લા લાંબા સમયથી મઝોલા વિસ્તારમાં સ્થાપિત ડૉ.આંબેડકરની પ્રતિમાની જાળવણીના અભાવ અને તેની આસપાસના વધતા જતાં અંગે તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી રહ્યો હતો. યુવકનો આરોપ હતો કે પ્રતિમા સ્થળની આસપાસ કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદે કબજો જમાવી દીધો છે, જેના કારણે બાબાસાહેબની પ્રતિમાની ગરિમાને ઠેસ પહોંચી રહી છે.

આ પણ વાંચો: ન્યાય માટે બે દલિત યુવકો આખો દિવસ પાણીની ટાંકી પર બેસી રહ્યાં!
યુવકે ટાંકી પર ચઢીને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાય મહિનાઓથી સંબંધિત સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે, પરંતુ તેની ફરિયાદ પર કોઈ પણ સ્તરે સુનાવણી કરવામાં આવતી નથી. તેણે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રતિમા સ્થળ પર કબજો કરનારા લોકોને સ્થાનિક રાજકીય નેતાઓનું પીઠબળ પ્રાપ્ત છે, જેના કારણે પોલીસ અને વહીવટી અધિકારીઓ જાણીજોઈને મૌન સેવી રહ્યા છે. અધિકારીઓની આ નિષ્ક્રિયતા અને સતત અવગણનાથી કંટાળીને આખરે તેણે વિરોધ કરવા માટે આ આત્યંતિક પગલું ભરવું પડ્યું હતું.
આજે જ્યારે યુવક ટાંકી પર ચડ્યો ત્યારે તેણે ત્યાંથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને પોતાની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી નીચે ઉતરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. આ હાઈવોલ્ટેજ ડ્રામાની જાણ થતાં જ પોલીસ વિભાગ અને વહીવટી અધિકારીઓ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થળ પર સુરક્ષા ઘેરો મજબૂત કર્યો હતો અને યુવકને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ઘટનાસ્થળે હાજર રહેલા વરિષ્ઠ અધિકારીઓએ યુવક સાથે લાંબી વાતચીત કરી હતી. યુવકે તેમની સામે મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરી હતી: પ્રથમ, આંબેડકર પ્રતિમા સ્થળની સરકારી રેકોર્ડ મુજબ વિધિવત માપણી કરવામાં આવે; બીજું, માપણીમાં જે પણ ગેરકાયદે દબાણ જણાય તેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે; અને ત્રીજું, પ્રતિમા સ્થળની યોગ્ય જાળવણી કરીને તેનું સુંદર રીતે નવીનીકરણ અને સૌંદર્યીકરણ કરવામાં આવે.

આ પણ વાંચો: દલિત યુવકે ખેતરમાંથી પાણી પીતા ધીંગાણું, 191 લોકો સામે ફરિયાદ
તંત્ર દ્વારા પહેલા મૌખિક ખાતરી આપવામાં આવી હતી, પરંતુ યુવકે તેનો અસ્વીકાર કર્યો હતો. અંતે, મામલાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તમામ માંગણીઓ સ્વીકારી અને પ્રતિમા સ્થળની તપાસ કરાવીને કાર્યવાહી કરવાનું લેખિત આશ્વાસન આપ્યું. આ લેખિત દસ્તાવેજ મળ્યા બાદ જ યુવક સુરક્ષિત રીતે ટાંકી પરથી નીચે ઉતર્યો હતો. નીચે ઉતર્યા બાદ પણ યુવકે હિંમતભેર ચેતવણી આપી હતી કે જો નક્કી કરેલા સમયગાળામાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તે આ બાબતની સીધી ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીને કરશે અને ભવિષ્યમાં વધુ મોટા પાયે જન-આંદોલન છેડશે.
આ પણ વાંચો: દલિત મતો મેળવવા ભાજપ ડો.આંબેડકરની પ્રતિમાઓ માથે છત્રી લગાવશે











