Ahmedabad News: અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિના યુવાન અંકિત હરીશભાઈ સોલંકીએ તા. 26/11/2025ના રોજ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના સામાન્ય આત્મહત્યા નથી, પરંતુ જાતિ આધારિત ગાળો, અપમાન, ધમકી અને સતત માનસિક ત્રાસથી આત્મહત્યા માટે પ્રેરિત કરાયેલ ગંભીર ગુનો છે. અંકિતની આત્મહત્યા પાછળ વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો ભત્રીજો નીલ ઠાકર આરોપી હોવાથી છેલ્લાં 80 દિવસથી આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમને પકડવા માટે કોઈ જ કાર્યવાહી નથી કરી હતી. આખરે અંકિતના પરિવારજનોએ ન્યાય માટે વાસણા પોલીસ સ્ટેશન ખાતે ઉપવાસ આંદોલન શરુ કર્યું છે.
ભાજપી ધારાસભ્યનો ભત્રીજો 80 દિવસથી ફરાર
આ કેસમાં વાસણા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11191066250227/2025 મુજબ BNS કલમ 108, 54 તેમજ SC/ST એક્ટ કલમ 3(2)(V), 3(1)(s) હેઠળ FIR નોંધાઈ હોવા છતાં 80 દિવસથી વધુ સમય બાદ પણ 6 આરોપીઓની ધરપકડ થઈ નથી, જે પોલીસની નિષ્ક્રિયતા નહીં પરંતુ આરોપીઓને બચાવતી શંકાસ્પદ ભૂમિકા દર્શાવે છે. ફરિયાદમાં દર્શાવેલ આરોપીઓ રાજ સુખવાસીયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ, ઉમંગ દેસાઈ, તીર્થ પ્રધાન, નીલ ઠાકર(વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો ભત્રીજો) આજે પણ ખુલ્લેઆમ ફરતા હોવાનો પરિવારનો આક્ષેપ છે.

આ પણ વાંચો: ઝૂંપડીમાં રહીને આદિવાસી સંસ્કૃતિ બચાવનાર ભિકલ્યા ઢિંડાને પદ્મશ્રી મળ્યો
મૃતક દલિત યુવકના પરિવારને ન્યાય નથી મળતો
પીડિત પરિવારના જણાવ્યા મુજબ આરોપીઓ વગદાર હોવાથી પુરાવા નાશ, સાક્ષીઓને ધમકી અને જાનહાનીનો ગંભીર ભય છે. SC/ST એક્ટ કલમ 15A મુજબ પીડિતને સુરક્ષા અને ઝડપી કાર્યવાહી ફરજિયાત હોવા છતાં પોલીસ દ્વારા આ કાયદાની ખુલ્લેઆમ અવગણના થઈ રહી છે. તેમજ Rule-12 મુજબ Interim Compensation પણ હજુ સુધી ચૂકવાઈ નથી.

આ પણ વાંચો: ‘ન્યાયતંત્રમાં હાલ ઈમરજન્સી કરતા પણ ખરાબ સ્થિતિ છે’ – યતીન ઓઝા
પીડિત પરિવારે 5 મુખ્ય માંગો રજૂ કરી
આરોપીઓની ધરપકડ નહીં થતા પીડિત પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા વાસણા પોલીસ સ્ટેશન ખાતે ઉપવાસ અને ધરણાં શરૂ કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. પીડિત પરિવારની માંગ છે કે (1) તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય (2) SIT રચી તપાસ કરાય. (3) પરિવારને 24 કલાક પોલીસ પ્રોટેક્શન અપાય. (4) Interim Compensation તાત્કાલિક ચૂકવાય. (5) વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાય.
જો આંદોલન દરમિયાન કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્ર અને રાજ્ય સરકારની રહેશે.
આ પણ વાંચો: વાસણાના દલિત યુવકની આત્મહત્યાના 80 દિવસ પછી પણ આરોપીઓ ફરાર












