અમરેલીના જશવંતગઢમાં સવર્ણોએ ગટરના પાણી દલિતવાસમાં વાળ્યા

વરસાદી પાણીના નિકાલની ખૂલ્લી ગટરમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી કાઢતા દલિતોનું જીવવું હરામ કરી નાખ્યું છે.
amreli upper castes diverted sewage water into dalit colony

અમરેલીના જશવંતગઢ ગામમાં સવર્ણોએ તેમની ગટરોના ગંદા પાણી દલિતવાસ તરફ વાળી દેતા દલિતો માટે જીવવું હરામ થઈ ગયું છે. આ મામલે હવે દલિત સમાજે મુખ્યમંત્રી, કલેક્ટર, ડીડીઓ અને અનુ.જાતિ કલ્યાણ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.

અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે ડૉ આંબેડકર કોલોનીમાં અનુસૂચિત જાતિના પરિવારો રહે છે. આ રહેણાક વિસ્તારની ખુલ્લી ગટરમાં ગામના સવર્ણોએ તેમની ભૂગર્ભ ગટરના દૂષિત પાણીનો નિકાલ કરવાનું શરૂ કરી દેતા દલિતોનું ભારે મુશ્કેલી પડી રહી છે. દલિત પરિવારોના બંધારણીય અધિકારોનું હનન થતું અટકાવવા માટે હવે વીરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે મુખ્યમંત્રી, અમરેલી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક અનુ.જાતિ કલ્યાણ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે.

સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે હાલમાં જશવંતગઢની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેમણે ડૉ.આંબેડકર કોલોનીમાં રહેતા અનુ.જાતિના પરિવારો સાથે મુલાકાત કરી હતી. જેમાં સ્થાનિક અનુ.જાતિના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ડૉ.આંબેડકર કોલોની પાસે અનુ.જાતિના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મોટી ખુલ્લી ગટર બનાવવામાં આવેલી છે. આ ખુલ્લી ગટર વરસાદી પાણીના નિકાલ માટેની છે, પરંતુ ગામના સવર્ણો દ્વારા તેની સાથે તેમના ભૂગર્ભ ગટરોનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. આ રીતે સવર્ણોના ઘરોની ગંદકી અનુ.જાતિના લોકોના ઘરો તરફ ભરાઈ રહે છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ભર વરસાદે દલિત પરિવાર ન્યાય માટે ઉપવાસ પર બેઠો

amreli upper castes diverted sewage water into dalit colony

સવર્ણોના ઘરોની ગંદકી અનુ.જાતિના લોકોના ઘરે ભેગી થાય છે

જશવંતગઢના અનુ.જાતિ સમાજના લોકોના જણાવ્યા પ્રમાણે, ગામના સવર્ણો દ્વારા તેમના ટોઈલેટનું દૂષિત પાણી ભૂગર્ભ ગટર દ્વારા ડો.આંબેડકર કોલોનીની ખૂલ્લી ગટરોમાં કાઢવામાં આવે છે. સવર્ણોની ભૂગર્ભ ગટરોનું જોડાણ દલિતવાસ પાસેથી પસાર થતી વરસાદી પાણીના નિકાલ માટેની ખૂલ્લી ગટર સાથે કરી દેવામાં આવતા હવે સવર્ણોના ઘરની ગંદકી દલિતોના ઘરો પાસે ભેગી થાય છે અને તેમનું જીવવું મુશ્કેલ બની ગયું છે.

આ પણ વાંચોઃ અમરેલીના બાબાપુરમાં દલિતોની 90 એકર જમીન સરકારે પડાવી લીધી?

ખુલ્લી ગટરમાં સવર્ણોના ઘરની ભૂગર્ભ ગટરનું દુર્ગંધવાળું દૂષિત પાણી ખુલ્લામાં ભરાઈ રહેવાના લીધે ઝાડી-ઝાંખરા અને બાવળોના ઝૂંડ ઊગી નીકળ્યા છે. આ ખુલ્લી ગટરની સાફ-સફાઈ કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવા છતાં નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાથી આજુબાજુમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિના પરિવારોનું જીવન દોહ્યલું બની ગયું છે. દૂષિત પાણી જે ખુલ્લી ગટરમાં નિકાલ કરવામાં આવે છે ત્યાં નજીકમાં જ આંગણવાડી આવેલી છે. જેમાં આવતા નાના બાળકોનું આરોગ્ય પણ આ ગંદકીના કારણે જોખમમાં મૂકાયું છે.

મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર, ડીડીઓને રજૂઆત કરાઈ

ખુલ્લી ગટરમાં દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી અનુ.જાતિના ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, તેમજ ઝેરી જીવજંતુનું પ્રમાણ વધી ગયું છે. આવી વિકટ પરિસ્થિતિને લઈને આ ખુલ્લી ગટરની આજુબાજુ રહેતા અનુસૂચિત જાતિના પરિવારોના આરોગ્યનું જોખમ ઊભું થયું છે. સ્વચ્છ આરોગ્ય અને ગૌરવથી જીવન જીવવાના અધિકારનો ભંગ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રામ પંચાયતને આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તે આ મામલે કોઈ પગલાં લેતી નથી અને જાણીજોઈને અનુસૂચિત જાતિના પરિવારોનું આરોગ્ય જોખમમાં મૂકી રહી છે. આથી કંટાળીને અનુ.જાતિના લોકોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. તેમ છતાં ગામના સવર્ણોનો ત્રાસ જરાય ઓછો થયો નથી અને તેઓ ખૂલ્લી ગટરોમાં મોટા પાઈપ નાખીને તેમના ઘરોના ગંદા પાણી ઠાલવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ અમરેલીમાં ભરવાડોએ કરેલા હુમલામાં જરખીયાના દલિત યુવકનું મોત

જશવંતગઢના અનુ.જાતિના લોકોએ શું માગ કરી?

આ મામલે હવે સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ સાથે મળીને જશવંતગઢના અનુ.જાતિ સમાજના લોકોએ મુખ્યમંત્રીથી લઈને તમામ જવાબદાર વિભાગોના અધિકારીઓ સમક્ષ નીચે મુજબની માગ કરી છે.

1. હાલ ચોમાસાની સિઝન હોઈ આ ખુલ્લી ગટરમાં ઊગી નીકળેલા બાવળોને હટાવવાની કામગીરી કરવામાં આવે.
2. આ ખુલ્લી ગટરની ઘણા લાંબા સમયથી સફાઈ થઈ ન હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા જે.સી.બી. મશીનથી આ ખુલ્લી ગટરમાં રહેલા કાદવ, કિચડ, કચરો દૂર કરવામાં આવે.
3. આ ખુલ્લી ગટરની સાફ સફાઈ કર્યા બાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા દરરોજ ડૉ. આંબેડકર કોલોની અનુ.જાતિ વિસ્તારમાં ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ કરી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી કરવામાં આવે.
4. ઉપરોક્ત સમસ્યાઓના કાયમી ઉકેલ માટે ખુલ્લી ગટરમાં મોટા પાઇપો નાખીને કાંસ તૈયાર કરવા માટેની કામગીરી કરવામાં આવે. તેના માટે અમરેલી કલેક્ટર અને ડીડીઓ ખાસ ગ્રાન્ટમાંથી ફાળવણી કરે.

આ પણ વાંચોઃ જરખીયાના દલિત યુવકની જન્મદિવસે અંતિમક્રિયા કરાઈ

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x