attack on mahant: પશ્ચિમ કચ્છ ગુરુ ગરવા સમાજ દ્વારા નખત્રાણાના નાગલપર ફાટક પાસે આયોજીત ૧૮મા સમૂહલગ્ન પ્રસંગમાં પધારેલાં સમાજના મહંત પર પોલીસ અને હજારો લોકોની મેદની વચ્ચે સમાજના જ સાત લોકોએ હિંસક હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે.
આરોપીઓમાં સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના રમણિક શાંતિલાલ ગરવા કે જે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે તે અને તેના અન્ય છ સાગરીતોના નામ લખાવાયાં છે. નખત્રાણા પોલીસે પૂર્વઆયોજીત કાવતરું ઘડીને ગેરકાયદે મંડળી બનાવીને મહંત પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચોઃ લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડતા રાજપૂતોએ હુમલો કર્યો
ફરિયાદી મહંતે જણાવ્યું કે સમાજના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોએ સમૂહલગ્નમાં પધારી આશીર્વાદ આપવા આમંત્રણ આપેલું. જેને અનુલક્ષીને આજે બપોરે બાર વાગ્યે તેઓ સાથી સંતો અને સેવકો સાથે સમૂહલગ્નમાં હાજરી આપવા ગયાં હતાં. આગેવાનોએ તેમને સ્ટેજ પર સ્થાન આપેલું.
મહંતના વાળ ખેંચી, ગળું પકડી હુમલો કર્યો
હોદ્દેદારોનું સન્માન થતું હતું અને જ્યારે તેમનું સન્માન કરવાની જાહેરાત થઈ ત્યારે તેઓ ઊભાં થયેલાં. સમાજે તેમને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું તે જ સમયે અચાનક રમણિક ગરવા ધસી આવ્યો હતો અને વાળ ખેંચી, ગળું પકડી, નીચે પાડીને તેમના પર સીધો હુમલો કર્યો હતો.
સમૂહલગ્નમાં સમાજના મહંત પર, સ્ટેજ પર, પોલીસ અને હજારો લોકોની હાજરીમાં એકાએક હુમલો થતાં ભારે ઉત્તેજના છવાઈ ગઈ હતી. રમણિકે મોમેન્ટો મહંતના માથામાં ફટકારી, અપશબ્દો બોલીને ‘આજે તો તને પૂરો જ કરી દેવો છે’ કહીને હત્યા કરવાના હેતુથી બે હાથથી મહંતનું ગળું દબાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગળામાં વાદળી ગમછો પહેરવા બદલ 6 દલિત યુવકો પર હુમલો
સ્ટેજ પર ઝપાઝપી થતા હોબાળો મચી ગયો
સ્ટેજ પર હાજર સમાજના આગેવાનો અને પોલીસ જવાનોએ દોડી જઈને તેમને બચાવ્યાં હતાં. આ સમયે રમણિકનું ઉપરાણું લઈને તેના અન્ય છ સાગરીતો ત્યાં ધસી આવ્યાં હતા. તેમણે ગાળો ભાંડીને મહંત તથા આગેવાનો જોડે ઝપાઝપી કરી હતી. વિશાલ ગરવા નામના શખ્સે સ્ટેજ પર ધસી જઈને ઝપાઝપી કરી હતી. હોબાળો મચી જતાં સાતે જણ સ્કોડા કારમાં બેસી સ્થળ પરથી જતાં રહ્યાં હતાં.
કોની કોની સામે ગુનો દાખલ થયો?
ભુજ નજીક કુકમા ગામે ત્રિકમ સાહેબના આશ્રમના મહંત તરીકે કામ કરતાં અને આશ્રમમાં રહેતા ગુરુ ગરવા સમાજના 52 વર્ષના મહંત રામગીરી ગુરુ મહેન્દ્રગીરી મહારાજે પોતાની હત્યાનો પ્રયાસ કરવા બદલ રમણિક ગરવા તથા તેના સાગરીતો વિશાલ રવિલાલ ગરવા (રહે. મિરજાપર, ભુજ), દીપક તુલસી ગરવા (રહે. અંગિયા, નખત્રાણા), પ્રકાશ દેવજી ગરવા (રહે. મથલ, નખત્રાણા), ભદ્રેશ ભવાનભાઈ ગરવા (રહે. માધાપર, ભુજ), ધવલ હિરાભાઈ દવે (રહે. નખત્રાણા) અને ભરતભાઈ પુંજાભાઈ ગરવા (રહે. નખત્રાણા) સામે આજે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ અસલાલીના ભાતમાં દલિતના લગ્નપ્રસંગમાં ઠાકોરોએ હુમલો કર્યો
કચ્છના નખત્રાણામાં ગુરૂ ગરવા સમાજના સમૂહ લગ્નમાં કુકમા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત પર હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.#kuchchh #Nakhatrana #attackonmahant #groupmarriage pic.twitter.com/YGhyplGGyi
— khabar Antar (@Khabarantar01) May 15, 2025
SP, DYSP ને લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં હુમલો થયો
મહંતે ફરિયાદમાં જણાવ્યું કે એકાદ વર્ષ અગાઉ રમણિકે તેમના આશ્રમ ખાતે આવીને માથાકૂટ કરેલી અને તે અન્વયે તેની સામે પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમૂહલગ્નમાં વિઘ્ન ઊભું કરવા રમણિક ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા તથા તેમના સાગરીતો વોટસએપ ગૃપોમાં ભડકાઉ લખાણ લખીને, સમૂહ લગ્નમાં આવનારા મહેમાનોનું અપમાન ઝઘડો કરવાના હેતુથી ખુલ્લેઆમ ધાક ધમકીઓ આપી રહ્યાં હોવાની રજૂઆત સાથે સમાજના હોદ્દેદારોએ ચાર દિવસ અગાઉ જ પશ્ચિમ કચ્છ SP, નખત્રાણા DySP અને નખત્રાણા PIને લેખીત રજૂઆત કરી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે તે જોવા વિનંતી કરી હતી. પોલીસને આગોતરી જાણ કરવા છતાં જે લોકો પર શંકા દર્શાવાયેલી તેમના દ્વારા થયેલો આ હુમલો સ્પષ્ટ રીતે જ એસપી અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની ઘોર બેદરકારી છતી કરે છે. જોવાનું એ રહેશે કે, મહંત પર હુમલાની આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ શું પગલાં લે છે.
સાથે જ આ ઘટનામાંથી દલિત સમાજે પણ સમજવું પડશે કે વ્યક્તિગત ધોરણે કોઈ વ્યક્તિ સાથે ગમે તેવી અદાવત, મતભેદ કે દ્વેષ હોય પરંતુ સમાજના જાહેર કાર્યક્રમમાં આ રીતે તેના પર હુમલો કરીને લોકોમાં દહેશત ફેલાવવાથી સમાજની જ આબરૂને ધક્કો લાગે છે. આવી ઘટનાને કારણે ફરીથી જાહેર કાર્યક્રમોમાં આવતા લોકો ડરશે. એટલું જ નહીં આયોજકો પણ સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો કરતા ડરશે. વ્યક્તિગત ગમા-અણગમાને સામાજિક કાર્યો પુરતા દૂર રાખીએ તે સમાજહિતમાં જરુરી છે.
આ પણ વાંચોઃ આંબલીયાળાના દલિત યુવકને જીવતો સળગાવનારને આજીવન કેદ