પશ્ચિમ બંગાળ સરકારને ઓબીસી (અન્ય પછાત વર્ગો) ની નવી યાદી અંગે કોલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટની એક ડિવિઝન બેન્ચે સોમવારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જારી કરાયેલ નવી જાહેરનામા પર વચગાળાનો સ્ટે લગાવ્યો છે, જેમાં ૧૪૦ નવા સમુદાયોનો ઓબીસી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ન્યાયાધીશ તપોબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ સૂચના કોર્ટના અગાઉના આદેશોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં આ મુદ્દા પર ચારથી પાંચ આવા નોટિફિકેશન જારી કર્યા છે, જે સીધા કોર્ટના નિર્દેશોની વિરુદ્ધ છે. મે ૨૦૨૩ માં, કોલકાતા હાઈકોર્ટે તેના ઐતિહાસિક નિર્ણયમાં ૨૦૧૦ પછી જારી કરાયેલા ૬૬ ઓબીસી સમાજોના લગભગ ૧૨ લાખ પ્રમાણપત્રો રદ કર્યા. કોર્ટે સ્વીકાર્યું કે રાજ્ય સરકારે યોગ્ય પ્રક્રિયા અને બંધારણીય જોગવાઈઓનું પાલન કર્યા વિના આ યાદી તૈયાર કરી હતી.
આ પણ વાંચો: હવે ‘જજનો દીકરો જજ’ નહીં બને, સુપ્રીમ કોર્ટ Nepotism પર બ્રેક લગાવશે?
જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ૨૦૧૦ પહેલા જારી કરાયેલા ઓબીસી પ્રમાણપત્રોને માન્ય ગણવામાં આવશે. રાજ્ય સરકારે આ ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર કોઈ સ્ટે આપ્યો ન હતો. આ મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારબાદ રાજ્ય સરકારે એક નવું જાહેરનામું બહાર પાડ્યું, જેમાં ૧૪૦ સમાજોને OBC યાદીમાં સમાવવામાં આવ્યા હતા, પરંતુ અરજદારોએ કોર્ટમાં નવી અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે રાજ્યએ વ્યાપક સર્વેક્ષણ વિના ઉતાવળમાં આ નવી યાદી જારી કરી છે. તે જિલ્લા સ્તરે અને મર્યાદિત વસ્તી વચ્ચે સર્વેક્ષણ કરીને તૈયાર કરવામાં આવી હતી.
૨૦૧૦ પહેલા અને પછી યાદીમાં રહેલા સમાજો વચ્ચે ખૂબ જ ઓછો તફાવત છે. વિધાનસભામાં બિલ રજૂ કર્યા વિના નવી યાદી બહાર પાડવામાં આવી હતી. અરજદારોનું કહેવું છે કે જો કોઈ નવા સમાજને ઓબીસી યાદીમાં સમાવવાનો હોય, તો તે એક બંધારણીય પ્રક્રિયા છે, જેના માટે કાયદાકીય મંજૂરી જરૂરી છે. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ રાજશેખર મંથાએ રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો કે તમે ૨૦૧૨ ના કાયદા મુજબ કામ શરૂ કર્યું, પરંતુ પછી ૧૯૯૩ ના જૂના કાયદા પર પાછા ફર્યા, આ કેમ કરવામાં આવ્યું? તમે ૨૦૧૨ ના કાયદામાં સુધારો કેમ ન કર્યો? તે જ સમયે, ન્યાયાધીશ તપોબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે પહેલાથી જ સ્પષ્ટતા કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી ૬૬ સમુદાયો સામે કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ, પરંતુ તમે નવી યાદી બહાર પાડી.
રાજ્ય સરકારે કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે OBC વિવાદને કારણે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા અને સરકારી ભરતીઓ પ્રભાવિત થઈ રહી છે. આના પર, કોર્ટે સ્પષ્ટતા કરી કે કોર્ટે ક્યાંય કહ્યું નથી કે ભરતી કે પ્રવેશ બંધ કરવો જોઈએ.
આ મામલે પ્રતિક્રિયા આપતા, તૃણમૂલ કોંગ્રેસના નેતા જયપ્રકાશ મજુમદારે કહ્યું કે હવે શું થશે, તે હાઇકોર્ટે નક્કી કરવું પડશે. કોર્ટના હસ્તક્ષેપના બે મુખ્ય કારણો હોઈ શકે છે. પ્રથમ, આ યાદી સામે વિરોધ છે. બીજું, કોર્ટ કહી રહી છે કે જે રીતે કામ કરવામાં આવ્યું તે યોગ્ય નહોતું. આનો અર્થ એ છે કે યાદી સાચી છે, પરંતુ કામ કરવાની રીત સાચી નથી. તેથી સરકાર પણ કોર્ટના નિર્દેશો મુજબ કામ કરશે.
આ પણ વાંચો: નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા