ક્યારેક વાસ્તવિકતા કલ્પના કરતા પણ વધારે ભયાનક હોય છે. મહેસાણા જિલ્લાના કડીની એક 15 વર્ષની સગીર દલિત દીકરી સાથે જે બન્યું તે આપણી કલ્પના કરતા પણ અનેકગણું ભયાનક, ક્રૂર અને આઘાતજનક છે. કડીનો જ એક યુવક તેને અમદાવાદ લઈ આવ્યો અને ત્યાં તેને મૂકીને ભાગી ગયો. પછી એક રિક્ષાચાલક તેને તેના ઘરે મૂકી જવાના બહાને પોતાના ઘરે લઈ ગયો અને ત્યાં તેણી પર બળાત્કાર ગુજાર્યો. એ પછી તેણે બીજા એક શખ્સને વેચી દીધી, તેણે ત્રીજાને વેચી. એમ સગીરા એક પછી એક 5 લોકોને વેચી દેવાઈ. દુઃખથી કણસતી સગીરા જ્યારે બગીચામાં બેઠી હતી ત્યારે સિક્યોરિટી ગાર્ડનું તેના પર ધ્યાન ગયું અને તેણે પોલીસને જાણ કરતા આખરે તેના માતાપિતા સાથે મિલન થયું. પરંતુ એ પછી જે થયું તે તેનાથી પણ કરૂણ હતું.
મહેસાણાના કડીની કરૂણ ઘટના
આ ઘટનાની મળતી માહિતી મુજબ મહેસાણાના કડીની એક 15 વર્ષની દલિત સગીરા તા. 12 માર્ચ 2025ના રોજ સવારે 11 વાગ્યા આસપાસ તેના બોયફ્રેન્ડે મોકલેલી રિક્ષામાં બેસીને ઘરેથી નીકળી ગઈ હતી. સગીરા અમદાવાદ પહોંચી અને ત્યાં તેનો બોયફ્રેન્ડ તેને મળ્યો. બંનેએ ગેસ્ટહાઉસમાં રૂમ મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ સગીરાના ઓળખકાર્ડમાં તેની ઉંમર ઓછી હોવાનું જણાતા એકપણ જગ્યાએ તેમને રૂમ ન મળ્યો. ગભરાયેલો તેનો બોયફ્રેન્ડ તેને મૂકીને ભાગી ગયો. એ દરમિયાન સગીરાના માતાપિતાએ તેના ગુમ થવાથી બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.
સિક્યોરિટી ગાર્ડનું ધ્યાન ગયું અને પોલીસને જાણ કરી
પોલીસ સગીરાને શોધી રહી હતી પરંતુ તેનો પત્તો મળતો નહોતો. ત્યારબાદ 19-3-2025ના રોજ સગીરાના માતાપિતાને રાત્રે બાવલું પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારી દીકરી અમદાવાદથી મળી આવી છે. તે રાતના સમયે એક બગીચામાં બેઠી હતી. બગીચાનો સિક્યુરિટી ગાર્ડ ગેટ બંધ કરવા જતો હતો ત્યાં તેણે દીકરીને જોઈ હતી. તેણે તેને ક્યાં જવું છે અને આટલી મોડી રાત્રે કેમ અહીં બેઠી છે તેમ પૂછ્યું હતું. જેમાં તેણે પોતાની આપવીતી સંભળાવી હતી. એ પછી સિક્યોરિટી ગાર્ડે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેણે બાવલુ પોલીસને જાણ કરતા તેણે સગીરાનો કબ્જો મેળવીને તેના માતાપિતાને સોંપી હતી. જો કે આટલા ઘટનાક્રમ પરથી સગીરા પર જે વીત્યું તેનો અંદાજ ન આવી શકે. વાંચો તેની સાથે શું વીત્યું હતું.
આ પણ વાંચો: કડીની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરબારને આજીવન કેદ
ગેસ્ટહાઉસમાં રૂમ ન મળતા યુવક મૂકીને ભાગી ગયો
તા 12 થી 19 મે 2025 સુધીના 8 દિવસમાં આ દલિત દીકરી સાથે જે બન્યું હતું તે ભલભલા કઠણ કાળજાના માણસને પણ ધ્રુજાવી દે તેવું છે. સગીરાએ પોલીસને જણાવ્યા મુજબ તેના ગામનો રોનક નામનો એક યુવક તેને આધારકાર્ડ લઈને રિક્ષામાં બેસી અમદાવાદ આવી જવા કહ્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ રોનક નક્કી કરેલી જગ્યાએ તેને મળ્યો હતો. બંનેએ રાત્રિરોકાણ માટે ગેસ્ટહાઉસની શોધ કરી હતી પરંતુ આધારકાર્ડમાં દીકરી સગીર હોવાનો ખ્યાલ આવતા એકેય ગેસ્ટહાઉસે તેમને રૂમ આપ્યો નહોતો. આથી રોનક ગભરાઈ ગયો હતો અને સગીરાને મૂકીને ભાગી ગયો હતો.
એક પછી એક 5 લોકોએ રેપ કરી 20-20 હજારમાં વેચી દીધી
સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, “એ પછી હું અમદાવાદમાં એક જગ્યાએ ઉભી હતી ત્યારે એક રિક્ષાવાળો આવ્યો હતો. જેનું નામ (૧) સાહિલ ઉર્ફે જાડો જુનાભાઈ(ઉંમર વર્ષ ૨૩, મૂળ વતન સુરેન્દ્રનગર ફિરદોષ સોસાયટી, હાલ રહે. અમદાવાદ, ફતેવાડી ત્રણ માળીયા) હતું. તેણે મને કહ્યું કે તારે ક્યાં જવાનું છે? મેં કહ્યું કે મારે મારા ઘરે જવું છે. તેણે કહ્યું, ચાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. એમ કહીને તે મને રિક્ષામાં સુરેન્દ્રનગર લઈ ગયો. ત્યાં તેણે મને એક દિવસ રાખી અને મારી સાથે અનેકવાર બળાત્કાર કર્યો. ત્યાર પછી બીજા દિવસે સાહિલ મને (૨) ઇમરાન ફિરોજભાઈ મુલતાની પિંજારો (ઉંમર વર્ષ ૩૪, રહે. સુરેન્દ્રનગર, રતનપર ઢાળ, ચાર માળીયા ફ્લેટ નંબર 8) પાસે લઈ ગયો. તેણે મને બે દિવસ રાખી અને મારી ઉપર બળાત્કાર કર્યો. એ પછી ઈમરાને મને (૩) અકબર ઉર્ફે બાપુ રહેમાન(મૂળ વતન મોરબી, હાલ રહે. સુરેન્દ્રનગર મિલ રોડ, ચાર માળિયા, પ્રથમ માળ, રૂમ નંબર 18) ને સોંપી દીધી. તેણે મને બે દિવસ રાખી અને વારંવાર બળાત્કાર કર્યો.
એ પછી તેણે મને (૪) ભાવિન ઉર્ફે ભીમો સુરેશભાઈ શાહ (ઉંમર વર્ષ 35, હાલ રહે અમદાવાદ ગોતા, ચાણક્ય એપાર્ટમેન્ટ આવાસ, બ્લોક રૂમ નંબર 25. મૂળ વતન સુરેન્દ્રનગર, સરગમ હોટલ પાસે, દેવાનંદ સોસાયટી)ને સોંપી દીધી. તેણે પણ મને એક દિવસ રાખીને મારી સાથે અનેકવાર બળાત્કાર કર્યો. ત્યાર પછી આ વ્યક્તિએ મને (૫) રાવળ રાહુલ નટવરભાઈ, (ઉંમર વર્ષ 24, અમદાવાદ, 59 મેલડી નગર સરસ્વતીનગરની બાજુમાં, ન્યુ રાણીપ)ને સોંપી દીધી અને તેણે પણ મારા પર બળાત્કાર કર્યો. આ તમામ નરાધમોએ 20-20 હજારમાં મારો સોદો કર્યો હતો.
ભાવિન અને સાહિલ સગીરાને બગીચામાં મૂકીને જતા રહ્યા
સગીરા આગળ કહે છે, તારીખ 19/ 3/ 2025 ના રોજ ભાવિન શાહ અને સાહિલ રાવળ મને એક અજાણ્યા બગીચામાં મૂકીને જતા રહ્યા હતા. તેવામાં રાત્રિના સમયે બગીચાના સિક્યુરિટી ગાર્ડ ગેટ બંધ કરવા આવેલા તે દરમિયાન તે મને જોઈ ગયેલા. તેમણે પૂછ્યું કે બેટા તારે ક્યાં જવાનું છે? મેં તેમને મારા ઘરે જવું હોવાનું જણાવ્યું. એ પછી તેઓ મને બાજુના પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાંથી બાવલુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને હું મારા માતાપિતાને મળી.
આ પણ વાંચો: 6000 રૂ. માટે દલિત મજૂરને ઝાડ સાથે બાંધીને મારતા મોત
આ કરૂણ કહાની આટલેથી પુરી થતી નથી. જ્યારે દીકરીને તેના માતાપિતાને મળવા માટે બોલાવી ત્યારે અત્યંત ગભરાયેલી અને બેચેન હાલતમાં હતી. તે કંઈ બોલીચાલી શકે તેવી સ્થિતિમાં પણ નહોતી. સગીર દીકરીની આવી હાલત જોઈને તેના માતાપિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો દલિત પરિવારની વ્હારે આવ્યા
ઘટનાની જાણ થતા નવસર્જન સંસ્થાના કાર્યકરોએ દીકરી અને તેના પરિવારની મદદે આવ્યા હતા. તેમણે કાયદાકીય મદદ કરીને ફરિયાદ નોંધાવતા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે દરેક આરોપીઓએ 20-20 હજારમાં દીકરીનો સોદો કરી દીધો હતો. સગીરાને તેના ગામેથી ભગાડી જનાર યુવકને ગેસ્ટહાઉસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી ઝડપી પાડ્યો હતો.
આઘાત લાગતા સગીરાએ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો
આ સમગ્ર ઘટનાક્રમથી દીકરી અને તેના પરિવારને ભારે આઘાત લાગ્યો હતો. સગીરા ખૂબ જ અપસેટ થઈ ગઈ હતી. ઘરે પરત આવ્યાના 10 દિવસ બાદ એક બાજુ કોર્ટમાં તેનો કેસ ચાલતો હતો ત્યારે તા. 7 એપ્રિલ 2025ના રોજ નવસર્જન કાર્યકરે થોડી માહિતી મેળવવા માટે સગીરા સાથે વાત કરવાનું કહેતા તેની માતા ફોન લઈને તેના રૂમમાં ગયા હતા. પણ ત્યાં જઈને જોયું તો સગીરાએ ગળેફાંસો ખાઈ લીધો હતો અને તેની લાશ લટકતી હતી.
આ પણ વાંચો: 34 વર્ષ જૂના એટ્રોસિટીના કેસમાં 36 આરોપીઓને સજા થશે
દીકરીના વિરહમાં પિતાએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો
એ દરમિયાન દીકરીને ન્યાય અપાવવા માટે તેના મજૂર પિતા અને આખો પરિવાર સતત લડત આપી રહ્યો હતો. છતાં સગીરાના પિતાએ પોતાની લાડકી દીકરી સાથે જે બન્યું તેના આઘાતમાં ખાવાપીવાનું છોડી દીધું હતું. પરિવારની બીજી દીકરીઓના લગ્ન કરવાના બાકી હોવાથી અને સમાજમાં બદનામીના ડરથી તેઓ અન્ય શહેરમાં રહેવા જતા રહ્યા હતા. જો કે પોતાની લાડકી દીકરી સાથે જે થયું હતું તે તેમનો પીછો છોડી રહ્યું નહોતું. તેના પિતા સતત આઘાતમાં રહેતા હતા. તેઓ સતત કહેતા કે મારી દીકરી સાથે જે બન્યું તે હું ભૂલી શકતો નથી. મારી દીકરી અને તેની લાજ ગઈ, તેને ન્યાય અપાવજો. એમ કહીને તેઓ 8 મે 2025ના રોજ ખિસ્સામાં આધારકાર્ડ લઈને મજૂરીએ જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા. એ પછી 17 મે 2025ના રોજ બેચરાજી પોલીસ સ્ટેશનમાંથી તેમની લાશ મળ્યાનો ફોન આવ્યો.
પરિવાર નોંધારો થઈ ગયો, વિધવા માતા પર બધી જવાબદારી
નર્મદા કેનાલમાં પડવાથી તેમની લાશ ફોગાઈ ગઈ હતી અને ઓળખાય એવી પણ નહોતી. પરંતુ ખિસ્સામાં રાખેલા આધારકાર્ડે તેમની ઓળખ થઈ. આમ એક દલિત પરિવારનો માળો વીંખાઈ ગયો. મજૂરી કરીને પેટિયું રળતા દલિત પરિવારની દીકરી અને ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિ દુનિયા છોડી જતા આ પરિવાર નોંધારો બની ગયો છે. પરિવારના દીકરાના લગ્ન થઈ ગયા છે પરંતુ બે દીકરીઓ હજુ પણ કુંવારી છે. હવે વિધવા માતા પર પરિવારની જવાબદારી સાથે આરોપીઓને સજા કરાવવાની બેવડી જવાબદારી આવી પડી છે. કાચી ઉંમરે થતા આકર્ષણને પ્રેમ સમજી ઘર-પરિવાર છોડી જનારા યુવક-યુવતીઓએ આ ઘટનામાંથી બોધપાઠ લેવો રહ્યો.
(વિશેષ માહિતી- ભરતભાઈ પરમાર, કલોલ)
આ પણ વાંચો: ભાજપ ધારાસભ્યે કાર્યકર પર ગેંગરેપ કરાવી વાયરસનું ઈન્જેક્શન માર્યું