ઉત્તરપ્રદેશના હાથરસમાં એક દલિત અધિકારીની બે બ્રાહ્મણ યુવકોએ જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. હાથરસના અર્જુનપુર ગામમાં છ મહિના પહેલા થયેલા વિવાદની દાઝ રાખીને બંને બ્રાહ્મણ યુવકોએ પ્રાણીઓના નિષ્ણાત(પશુમિત્ર) ગણાતા દલિત અધિકારી વિનય કુમારની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ ચંદપા પોલીસ સ્ટેશન સામે આગ્રા-અલીગઢ હાઇવે બ્લોક કરી દીધો હતો. પોલીસે આ કેસમાં આરોપી બે બ્રાહ્મણ યુવાનોની ધરપકડ કરી છે.
બીજી તરફ, ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો અને આરોપીઓના ઘરોમાં તોડફોડ કરી. પોલીસે પથ્થરમારો કરનારાઓને રોક્યા હતા. ગામમાં પ્રવર્તતા જાતિગત તણાવને ધ્યાનમાં રાખીને પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મૃતક અને આરોપીઓના ઘરો પર પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે.
હૃદય પર છરીના ઘા વાગતા મોત થયું
આ ઘટનાની મળતી માહિતી મુજબ ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારના અર્જુનપુરનો રહેવાસી વિનય કુમાર (48), મુરસન પશુચિકિત્સા હોસ્પિટલમાં પ્રાણી મિત્ર તરીકે કામ કરતો હતો. તેના ભાઈ લિતેશએ જણાવ્યું કે 9 સપ્ટેમ્બરની સાંજે લગભગ છ વાગ્યે, વિનય તેના ઘરથી લગભગ 100 મીટર દૂર બનેલા એક ઘેર પ્રાણીઓ જોવા ગયો હતો, જ્યાં ગબ્બર ઉર્ફે શિવ, રાજેશ કૌશિક અને ગામના તેમના ત્રણ સાથીઓ પહેલેથી જ તેની રાહ જોઈ રહ્યા હતા. તેમણે વિનયને એકલો જોઈને તેને પકડી લીધો અને પછી તેના પર છરી વડે હુમલો કર્યો. છરી તેના હૃદય પર વાગતા વીંધાઈ ગયું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું.
આ પણ વાંચો: ગર્ભવતી પત્નીની હત્યા કરી પતિએ માથું-હાથ નદીમાં ફેંક્યા, ધડ ઘરે રાખ્યું
છ મહિના પહેલાની બબાલનો બદલો લીધો
પરિવારે પોલીસને જણાવ્યું કે લગભગ છ મહિના પહેલા આરોપીઓ સાથે નાની વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ આરોપીઓ જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું. એ પછી તેઓ સતત વિનયને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને છેલ્લે એવું જ થયું. ઘટનાની માહિતી મળતા ચંદપા પોલીસ સ્ટેશન અને નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગબ્બર ઉર્ફે શિવ, રાજેશ કૌશિકની ધરપકડ કરી છે.
દલિતો રસ્તા પર ઉતર્યા, હાઈવે ચક્કાજામ કર્યો
બીજી તરફ, ઘટનાની માહિતી મળતાં, અર્જુનપુર અને નજીકના ગામોના દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ચંદપા પોલીસ સ્ટેશન સામેનો રસ્તો રોકી દીધો. જેથી પોલીસે ટ્રાફિકને સદાબાદથી મુરસન તરફ વાળ્યો હતો. થોડી વાર પછી, પોલીસ અધિકારીઓએ તેમને સમજાવીને જામ હળવો કરાવ્યો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી હતી.
हाथरस में हुई हत्या की घटना का मामला पुलिस ने कार्रवाई करते हुए दो आरोपियों को किया अरेस्ट पूरे मामले में एसपी का बयान। pic.twitter.com/BoeXbKKIEZ
— Dinesh shukla (Journalist) 🇮🇳 (@Dinehshukla) September 9, 2025
પોલીસે શું કહ્યું?
હાથરસના એસપી ચિરંજીવનાથ સિંહાએ જણાવ્યું છે કે, આ કેસમાં હત્યાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેમાં, જૂની દુશ્મનાવટનો કોઈ મામલો સામે આવ્યો નથી. ગામમાં કોઈ નાનો ઝઘડો થયો હશે, પરંતુ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ મળી નથી. આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: દલિત યુવતીની ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી