તમારા મગજ પર થોડો ભાર આપો અને યાદ કરો કે તમે અત્યાર સુધીમાં ક્યાંય કોઈ એવો જાહેર કાર્યક્રમ જોયો છે જેમાં સ્ટેજ પર બધી મહિલાઓ બેઠી હોય અને સ્ટેજની સામે જમીન પર બધાં પુરૂષો બેઠાં હોય? મહિલાઓ આખા કાર્યક્રમનું સંચાલન કરતી હોય અને પુરૂષો બધાં સામાન્ય પ્રેક્ષક તરીકે બેસીને આખો કાર્યક્રમ જોતા હોય? નહીં ને..? પુરૂષપ્રધાન ભારત દેશમાં આ પ્રકારનું દ્રશ્ય આપણી કલ્પનામાં પણ આસાનાથી આવતું નથી ત્યારે ધંધુકા તાલુકાના દલિત સમાજે તેને હકીકતમાં પરિવર્તિત કરી બતાવ્યું છે.
બાવન ગામ રોહિદાસ વંશી સમાજનો પ્રગતિશીલ નિર્ણય
ધંધુકામાં બાવન ગામ રોહિદાસ વંશી સમાજે આ મામલે ઈતિહાસ રચ્યો છે. હાલમાં જ તેમણે પોતાના સમાજનું બંધારણ જાહેર કર્યું છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ આખું બંધારણ સમાજની મહિલાઓએ તૈયાર કર્યું છે. એટલું જ નહીં, આ બંધારણના લોન્ચિંગ કાર્યક્રમમાં સ્ટેજ પર પણ બધી મહિલાઓ જ હતી. પુરૂષો સૌ નીચે જમીન પર બેઠા હતા.
દલિત તો ઠીક, ગુજરાત કે ભારતના ઈતિહાસમાં પણ કદાચ આ પહેલી ઘટના હશે, જેમાં કોઈ સમાજનું બંધારણ મહિલાઓએ તૈયાર કર્યું હોય અને તેનું લોન્ચિંગ પણ મહિલાઓએ કર્યું હોય. એ રીતે રોહિદાસ વંશી સમાજે ખરા અર્થમાં મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરના વિચારોને સાકાર કરવા પ્રયત્ન કર્યો છે.
બંધારણયાત્રા કાઢી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી
ધંધુકામાં તા. 27 એપ્રિલ 2025ને રવિવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી ધનાભા પરમાર પરિવાર તેમજ બાવન ગામ રોહિદાસ વંશી સમાજ બંધારણ વિમોચન સમિતિ ધોળી (ભાલ) દ્વારા સમાજના બંધારણ વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ‘તેઓ ચૂંટણી કમિશનર નહીં, મુસ્લિમ કમિશનર હતા’
કાર્યક્રમની શરૂઆતમાં રામાપીર મંદિરથી આંબેડકરનગર સુધી બંધારણ યાત્રા કાઢવામાં આવી હતી. એ પછી દીપ પ્રાગટ્ય કરી પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મહિલાઓ સ્ટેજ પર બેઠી, પુરૂષો જમીન પર બેઠાં
એ પછી સમાજની મહિલાઓએ સ્ટેજ પર મૂકેલી ખુરશીઓ પર બેસીને સમાજનું બંધારણ રજૂ કર્યું હતું. આ આખું બંધારણ મહિલાઓએ તૈયાર કર્યું છે અને તેના ડ્રાફ્ટથી લઈને લોન્ચિંગ સુધીની તમામ જવાબદારીઓ મહિલાઓએ સંભાળી હતી. પુરૂષો અહીં માત્ર પ્રેક્ષક તરીકે હાજર હતા અને તેમણે સમાજની મહિલાઓએ તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કરી હતી.
સામાન્ય રીતે નાત કે સમાજના બંધારણના લોન્ચિંગ કાર્યક્રમમાં મોટાભાગે સ્ટેજ પર પુરૂષો જ હોય છે. પણ રોહિદાસ વંશી સમાજે આ રૂઢીને તોડીને સમાનતાની શરૂઆત કરતા મહિલાઓને સ્ટેજ પર સ્થાન આપ્યું હતું અને પોતે જમીન પર બેઠા હતા. જમીન પર બેસનારામાં ઉદ્યોગપતિ રતિલાલ સેઢ, ગુલાબભાઈ પરમાર વગેરે પણ હતા.
મહિલાઓએ સમાજનું બંધારણ લોન્ચ કર્યું
મહિલાઓએ સમાજનું બંધારણ લોન્ચ કર્યા બાદ સૌએ સાથે મળીને ધંધુકા અને આસપાસના વિસ્તારમાં દલિત સમાજ ભવન બનાવવા અને શૈક્ષણિક સંકૂલ ઉભું કરવા માટે દિલ ખોલીને દાન આપ્યું હતું. એ પછી સંત શ્રી ધનાભા પરમાર અને બાવન ગામ રોહિદાસ વંશી સમાજ બંધારણ વિમોચન સમિતિ ધોળી (ભાલ) દ્વારા બાવન ગામના તમામ પંચોને એક શિલ્ડ તેમજ ભારતનું બંધારણ અને ભગવાન બુદ્ધની પુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ બૌધ વિહાર સુરેન્દ્રનગર દ્વારા 2500 ચકલી ઘર વહેંચવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રોહિદાસ વંશી સમાજના 1500થી વધુ લોકો હાજર રહીને મહિલા સશક્તિકરણના આ ઈતિહાસના સાક્ષી બન્યા હતા.
દલિત સમાજ પ્રગતિશીલ નિર્ણય લેતો થયો છે
આ કાર્યક્રમ એ વાતની સાબિતી છે કે, બહુજન મહાપુરૂષોએ ચીંધેલા રસ્તે ચાલીને દેશનો બહુજન સમાજ ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિશીલ નિર્ણયો લેતો થયો છે. દલિત સમાજમાં ડો.આંબેડકર, ફૂલે, પેરિયાર અને તથાગત ગૌતમ બુદ્ધના વિચારોનું મહત્વ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. છેવાડાના ગામડાઓમાં વસતા દલિતો પણ હવે એ સમજી ચૂક્યા છે કે, મહિલાઓ, દીકરીઓને સમાન હક આપ્યા વિના સમાજ કે દેશની પ્રગતિ શક્ય નથી. આથી જ તેઓ ડો.આંબેડકર અને જ્યોતિબા-સાવિત્રીબાઈ ફૂલેએ ચીંધેલા માર્ગે મહિલાઓને વધુને વધુ સત્તાઓ આપતા થયા છે. આવા વધુને વધુ કાર્યક્રમો થાય તે દલિત-બહુજન સમાજ માટે જરૂરી છે.
આ પણ વાંચો: કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી