સૌરાષ્ટ્રમાં દલિત અત્યાચારની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અહીંના જૂનાગઢના કાથરોટા ગામે કાપડની ફેરી કરતા એક દલિત યુવકને માથાભારે શખ્સે તેની જાતિ પૂછીને લાકડીથી જુવલેણ હુમલો કર્યો હતો. આ મામલે દલિત સમાજ રોષે ભરાયો છે અને કડક કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
મામલો શું છે?
ઘટના ગઈકાલ તા. 26 જુલાઈ 2025ની છે.લક્ષ્મણ પરમાર નામનો દલિત યુવક કાથરોટા ગામે કાપડ વેચવા માટે ગયા હતા. આ દરમિયાન ગામના વિકાસ જમનભાઈ ડાવરીયા નામના શખ્સે લક્ષ્મણને તેની જાતિ વિશે પૂછપરછ કરી. લક્ષ્મણે પોતે દલિત હોવાનું જણાવતા જ વિકાસ તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. આ હુમલામાં લક્ષ્મણને હાથ, પીઠ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગ્રામજનોની મદદથી લક્ષ્મણને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ, તેમણે જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ઈડર-વિજયનગરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા
દલિત યુવકની જાતિ પૂછી જીવલેણ હુમલો કર્યો
લક્ષ્મણ પરમારે જણાવ્યું હતું કે, “હું કાથરોટા ગામે કાપડ વેચવા ગયો હતો. ત્યાં વિકાસ ડાવરીયાએ મારી જાતિ પૂછી હતી. મેં ‘હું દલિત છું’ એવું કહ્યા પછી તેણે લાકડીથી માર મારવાનું શરૂ કરી દીધું હતું. હું બચાવ કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પણ તેણે મારી પીઠ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.”

દલિતોએ આરોપીનું સરઘસ કાઢવા માંગ કરી
કાથરોટના પૂર્વ સરપંચ મૂળજી ચૌહાણે જણાવ્યું હતું કે, વિકાસ ડાવરિયા અગાઉ પણ 15થી વધુ ફેરિયાઓને માર માર્યો છે તથા તેમનાં વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. દલિત સમાજના આગેવાનો અને ગ્રામજનોની માગ છે કે વિકાસ ડાવરીયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને તેને ગામમાં ફૂલેકું ફેરવીને કાયદાનું ભાન કરાવવું જોઈએ, નહીં તો સમાજ દ્વારા આંદોલનના મિજાજે પગલાં લેવામાં આવશે. લક્ષ્મણ પરમારની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કાથરોટા ગામમાં શાંતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
આ પણ વાંચો: પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું













*જાતિવાદી માનસિકતા ધરાવતાં અસામાજિક તત્વો સામે ગુજરાત સરકાર અંતર્ગત પોલીસ પ્રશાસનની શું શું
નૈતિક જવાબદારી હોય શકે? જયભીમ નમો બુદ્ધાય!