રાજસ્થાનમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મજૂરી કરીને ઘરે પરત ફરી રહેલા એક દલિત યુવકને કેટલાક અસામાજિક તત્વોએ રસ્તામાં રોકીને પહેલા ચંપલથી માર માર્યો અને પછી લાકડી-દંડા લઈને તેના પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
યુવકને માર મારવાની આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવકના મોતને લઈને દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને યુવકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.

ઘટનાની મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે કુચામન જિલ્લાના મકરાણા બોરાબાદ વિસ્તારમાં કામ પરથી પરત ફરી રહેલા દલિત યુવાન અશોક મેઘવાલને કેટલાક અસામાજિક તત્વોએ રસ્તામાં આંતરીને નિર્દયતાથી માર માર્યો હતો. આરોપ છે કે રાકેશ અમલા નામના એક યુવકે તેને રસ્તામાં રોક્યો હતો અને પહેલા ચપ્પલથી માર માર્યો, અને પછી તેના મિત્રો સાથે મળીને લાકડી-દંડાથી હુમલો કર્યો હતો. આરોપીના સાથીઓએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, અશોક જમીન પર બેઠો છે અને હુમલાખોરો તેને માર મારી રહ્યા છે. ગુરુવારે મોડી રાત્રે, અશોકના પરિવારજનો તેને કુચામનની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત વધુ ખરાબ થઈ જતા ડોક્ટરોએ તેને અજમેરની JLN હોસ્પિટલ રેફર કર્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અશોકનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: આદિવાસી બાળકીને જંગલમાં ખેંચી જઈ બે નરાધમોએ ગેંગરેપ કર્યો

પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો
અશોકના મોતથી પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મૃતકના પરિવારે જણાવ્યું છે કે જ્યાં સુધી બધા આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ પોસ્ટમોર્ટમ કે અંતિમ સંસ્કાર નહીં કરે. પરિવારે પોલીસ અને વહીવટીતંત્રને ચેતવણી આપી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આ ઘટના બાદથી આ વિસ્તારમાં માહોલ તંગ છે.
મુખ્ય આરોપી કસ્ટડીમાં, પોલીસે અન્ય આરોપીઓની શોધ શરૂ કરી
સૂત્રોના જણાવ્યા મુજબ મકરાણા પોલીસે અશોકની હત્યાના વીડિયોમાં દેખાતા મુખ્ય આરોપી રાકેશની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધ ચાલુ કરી છે. પોલીસે ખાતરી આપી છે કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, પોલીસ ગ્રામજનોને શાંત પાડવા અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરી રહી છે.
અશોકના મૃત્યુ બાદ દલિત સમાજમાં ભારે રોષ છે. અખિલ મેઘવંશ મેઘવાલ મહાસભાના ઉપપ્રમુખ સંજીવ ખિંચી સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી નિષ્પક્ષ તપાસ નહીં થાય ત્યાં સુધી મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં કે મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે.
આ પણ વાંચો: “તારા જેવી સત્તર સાથે મારા પુત્રને સંબંધ છે, તું અઢારમી છો…!”












જાતિવાદ ભારત નેં અંધકારમાં ડુબાડી રહ્યા છે,
જાતિવાદ ને જન્મ દેનાર ભારત નો અસલી દુશ્મન છે…