Dalit News Gujarat: જાતિવાદનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં વધુ એક દલિત અત્યાચારની ઘટના સામે આવી છે. જૂનાગઢના ખંભાળિયા નજીકના ઓઝત ગામે એક દલિત યુવકને પાંચ જાતિવાદી તત્વોએ તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે તેમ પૂછીને હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ યુવકની સાથે તેનો બચાવ કરવા આવેલા તેના સસરાને પણ માર માર્યો હતો. આ મામલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ ઘટનાના એક અઠવાડિયા પછી પણ પોલીસે એકેય આરોપીની ધરપકડ કરી નથી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક અને તેના સસરાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ગઈકાલે રજા આપી દેવામાં આવી છે.
મામલો શું હતો?
ભોગ બનનાર દલિત યુવક સાગર મકવાણાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે ઓઝત ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગત તા. 11 ઓગસ્ટ 2025ના રોજ સાગર મકવાણા પોતાનું બંધ પડી ગયેલું બાઈક રિપેર કરાવવા માટે ખંભાળિયા ગામે ગયા હતા. પરંતુ ગેરેજ બંધ હોવાથી તે પાન-મસાલો ખાવા માટે દુકાને ઉભા રહ્યા હતા. એ દરમિયાન તેઓ પોતાની મૂછોને તાવ દઈ રહ્યા હતા. જે દુકાને હાજર કેટલાક જાતિવાદી તત્વોને ગમ્યું નહોતું. એ પછી યુવક સાગર મકવાણા પોતાના ગામ માંગનાથ પીપળી પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજના લગભગ સવા સાત વાગ્યાના અરસામાં વાજળી ગામના રસ્તે રેલવેના પુલ પાસે નવી ચાવંડનો શૈલેષ જેબલીયા નામનો શખ્સ મોટરસાયકલ લઈને તેની પાસે આવી પહોંચ્યો હતો અને તેને અટકાવીને “તું અમારા જેવી દાઢી-મૂછ કેમ રાખે છે? તે અમારે(દરબારો) હોય, તમને(દલિતો)ને થોડી હોય?” કહીને સાગરનું બાઈક નીચે પાડી દીધું હતું અને જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કરવા લાગ્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો

આરોપીઓએ સાગર અને તેના સસરાને માર માર્યો
એ દરમિયાન સાગર મકવાણાએ તેના સસરા જીવણભાઈને ઘટનાની જાણ કરતાં તેઓ સમજાવવા માટે સ્થળ પર આવ્યા હતા. જીવણભાઈ આરોપી શૈલેષ જેબલીયાને શા માટે તે સાગરને હેરાન કરે છે તે વિશે પૂછપરછ કરી રહ્યા હતા. એ દરમિયાન વાજળી ગામના રસ્તેથી એક સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી I-20 ફોરવ્હીલ ગાડી આવી હતી. તેમાંથી લાલો ભૂપત કાઠી દરબાર અને બીજા ત્રણ અજાણ્યા શખ્સો ઉતર્યા હતા અને સાગર મકવાણા અને તેના સસરા જીવણભાઈને જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યા હતા. એ પછી આરોપીઓએ બંનેને ઢીંકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ સાગર મકવાણાને ગાડીના પાના વડે સાથળ અને પીઠના ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું. બે જણાએ સાગરને પકડી રાખ્યો હતો, જ્યારે બાકીનાએ તેના સસરાને મોઢા, માથા અને કાનના ભાગે મુક્કા અને થપ્પડો મારી નીચે પાડી દીધા હતા.
ગામલોકો આવી જતા અપહરણની ધમકી આપી ભાગી ગયા
આ સમયે સાગરનો સાળો અને ગામના અન્ય લોકો ભેગા થઈ જતાં આરોપીઓએ તેમની કારમાં બેસાડી જવાની ધમકી આપી હતી. જોકે, વધારે લોકો ભેગા થતાં આરોપીઓ પોતાની કારમાં બેસીને ખંભાળીયા ગામ તરફ ભાગી ગયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવક અને તેના સસરાને ખાનગી ઇકા કાર મારફતે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના કાથરોટામાં દલિત યુવકની જાતિ પૂછી જીવલેણ હુમલો

પોલીસે શું કહ્યું?
આ મુદ્દે વિસાવદરના ASP રોહિત કુમાર ડગરે માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં અનુસૂચિત જાતિના યુવક અને તેના સસરા પર જ્ઞાતિવાદી અપમાન સાથે મારપીટનો મામલો નોંધાયો છે. વિસાવદર પોલીસે શૈલેષ જેબલીયા, લાલો કાઠી દરબાર અને ત્રણ અજાણ્યા શખ્સો સામે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓ હાલ ફરાર છે, અને તેમને ઝડપવા તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ ત્રણ આરોપીઓની ઓળખ કરવાની બાકી છે. તેમની જલદીથી ઓળખ કરવામાં આવશે. હજુ તેઓ ફરાર છે. તેમને જલદી પકડી લેવામાં આવશે.”
આ પણ વાંચોઃ ‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો
*માણસ મૃત્યુ પછી નરકમાં પ્રવેશે છે, ત્યારે તેનો કુળદેવતા તેને પૂછે છે કે અલ્યા તું દાઢી મૂછ સાથે કેમ અંદર આવ્યો છે? તું શા માટે સ્વર્ગમાં પ્રવેશ કરી શક્તો નથી? મૃત માણસ પાસે શમ ખાવાં પણ તેની પાસે જવાબ નથી…! આ દેશમાં પાગલ લોકોનો પાર નથી!
આતંકવાદ સામે જાતે લડવાનો સમય આવી ગયો છે, સરકાર કાનુન કે એટ્રોસિટી ના ભરોસે અન્યાય બંધ થશે નહીં….