અમરેલીના લાઠી તાલુકાના જરખીયા ગામના 4 દલિત યુવકો પર 15 જેટલા ભરવાડોએ કરેલા જીવલેણમાં હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક દલિત યુવકનું ગઈકાલે મોડી રાત્રે ભાવનગર જનરલ હોસ્પિટલમાં મોત થઈ ગયું. આરોપીઓએ ટોળું રચીને ચારેય દલિત યુવકો પર અઠવાડિયા પહેલા ચાની કીટલીએ વેફર માગવા જેવી નજીવી બાબતે ધારિયા, કુહાડીઓ, લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ દલિત યુવકોના હાથપગ ભાંગી ગયા હતા અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ભાવનગર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ગઈકાલે રાત્રે તેનું મોત થઈ જતા હુમલાનો મામલો હત્યામાં ફેરવાયો હતો.
આ ઘટનાના સમગ્ર સૌરાષ્ટ્રના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. અમરેલીના દલિત સંગઠનો અને સામાજિક કાર્યકરોએ આ મામલે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી મૃતક દલિત યુવક અને તેના પરિવાર માટે ન્યાયની માગણી કરી છે.
મામલો શું હતો?
તા. 16 મે 2025 શુક્રવારના રોજ લાઠીના જરખીયા ગામના અનુસૂચિત જાતિ સમાજના મજૂરીકામ કરતા ચાર યુવકો અમરેલી-સાવરકુંડલા બાયપાસ પાસે આવેલા નવા માર્કેટિંગ યાર્ડ નજીક ચા પીવા ઉભા હતા. જ્યાં વેફરનું પડીકું આપવાને લઈને ભરવાડ સમાજના શખ્સે તેમની સાથે માથાકૂટ કરી હતી. એ પછી 15 થી વધુ ભરવાડોનું ટોળું આવી પહોંચ્યું હતું અને ચારેય દલિત યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં આરોપીઓએ ત્રણ દલિત યુવકોના હાથપગ ભાંગી નાખ્યા હતા. જ્યારે નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના યુવકને ગંભીર રીતે ઘાયલ કરતા તેને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં એક અઠવાડિયા સુધી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ ગઈકાલે રાત્રે તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: તરસ્યા દલિત યુવકને નિર્વસ્ત્ર કરી જાહેરમાં માર્યો, 7 સામે ફરિયાદ
સૌરાષ્ટ્રના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં
આ ઘટનાને લઈને સમગ્ર દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને સામાજિક આગેવાનોએ યુવકને ન્યાય અપાવવા માટે કમર કસી છે. મળતી માહિતી મુજબ અમરેલીના સામાજિક કાર્યકરો, આગેવાનોએ આ માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આહ્વાન કર્યું છે. જો એ પછી પણ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગર-અમરેલીના દલિત આગેવાનો હોસ્પિટલ પહોંચ્યાં
ઘટનાની જાણ થતા જ ભાવનગર અને અમરેલીના દલિત આગેવાનો સર ટી હોસ્પિટલ ખાત પહોંચી ગયા છે અને મૃતકના પરિવારજનોની પડખે ઉભા રહીને દુઃખની આ ઘડીમાં સહાનુભૂતિ પુરી પાડી છે. બહુજન સમાજ પાર્ટીના પી.એલ.રાઠોડે પણ પક્ષના કાર્યકરોને ભાવનગર ખાતે પહોંચી જવા આદેશ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અમરેલી ખાતેનો પોતાનો કાર્યક્રમ અધવચ્ચે પડતો મૂકીને ભાવનગર જવા માટે નીકળી ગયા છે. જ્યારે અમરેલીના સામાજિક કાર્યકરોએ આ મામલે આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી, આકરી સજાની માંગ કરી છે. જો એમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વેફર જાતે તોડવા જેવી બાબતે હુમલો કર્યો
આ ઘટનાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 16 એપ્રિલની રાત્રે જરખીયાના ચાર દલિત યુવકો અમરેલી-સાવકુંડલા બાયપાસ પર આવેલી ભરવાડની દુકાને ચા પીવા માટે ગયા હતા. આ દુકાને હાજર છોકરો કોઈ કામમાં હોવાથી દલિત યુવકે તેને “બેટા તું તારું કામ કર, હું જાતે વેફર તોડી લઉં છું” તેમ કહ્યું હતું. જેને લઈને દુકાનના માલિકે યુવકને “તેં દલિત થઈને મારા છોકરાને બેટા કેમ કહ્યું?” એમ કહીને 15 જેટલા ભરવાડોએ મળીને ધારિયા, કુહાડી અને લાકડીઓથી ચારેય દલિત યુવકો પર હુમલો કરી દીધો હતો.
આ પણ વાંચો: આદિવાસી સમાજે શરૂ કર્યું mission d-3: દારૂ, ડીજે, દહેજ પર પ્રતિબંધ
અમરેલીના દલિત આગેવાનો કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરશે
નિલેશ રાઠોડના મોતને લઈને હવે અમરેલી જિલ્લાના દલિત સમાજના આગેવાનો અને સંગઠનોએ મળીને તા. 25 મે 2025ના રોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ સામૂહિક આત્મવિલોપનની જાહેરાત કરી છે. અમરેલીના સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળાએ આ મામલે જાહેરાત કરતા એક વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયામાં મૂક્યો છે. જેમાં તેમણે આત્મવિલોપન કાર્યક્રમ વિશે માહિતી આપી છે.
આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક દાખલ કરવા માંગ
એકસાથે ચાર દલિત યુવકો પર હુમલાની આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પરિવાર અને દલિત આગેવાનોએ માથાભારે ભરવાડ આરોપીઓ વિરુદ્ધ GUJCTOC(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ તેની ગેરકાયદે મિલકતો તોડી પાડવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. આ સાથે જ મૃતક યુવકના પરિવારને વળતર આપવા અને આર્થિક મદદ કરવા માટે પણ આહ્વાન કરાયું છે.
કાંતિભાઈ વાળાએ શું કહ્યું?
અમરેલીના સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળાએ જણાવ્યું છે કે, આરોપીઓ માથાભારે છે 302ની કલમો આરોપ છે. તેમના પર અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓના આરોપીઓ રહી ચૂક્યા છે ત્યારે આવા લોકો સમાજ માટે જોખમરૂપ છે. તેમના પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. સાથે જ સરકારે મૃતકના પરિવારને તાત્કાલિક સરકારી ધોરણે સહાય આપવી જોઈએ. જો આવું નહીં થાય તો અમે તીવ્ર આંદોલન કરીશું. આગામી 25મી મે અમે મૃતક નિલેશ રાઠોડને ન્યાય અપાવવા અને તંત્રને જગાડવા માટે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન કરીશું.
અમરેલીમાં 15 જેટલા ભરવાડોએ ચાર દલિત યુવકો પર કરેલા જીવલેણ હુમલામાં લાઠીના જરખીયા ગામના નિલેશ રાઠોડનું મોત થયું છે. મૃતકને ન્યાય અપાવવા અને આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા અમરેલીના દલિત સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.#DalitLivesMatter #Amreli #dalityouthmurder pic.twitter.com/akDSqq3CAu
— khabar Antar (@Khabarantar01) May 23, 2025
પાંચ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
ભરવાડ સમાજના ગુંડાઓએ કરેલા જીવલેણ હુમલામાં એક અઠવાડિયા સુધી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ મોતને ભેટલો દલિત યુવક નિલેશ રાઠોડ તેના પરિવારમાં એકનો એક દીકરો હતો. તેના પિતા અને કાકાની દીકરીઓ થઈને પાંચ બહેનો વચ્ચે તે એક જ ભાઈ હતો. હવે આ પાંચ બહેનો ભાઈવિહોણી થઈ ગઈ છે. નિલેશની હત્યાને લઈને માત્ર જરખીયા ગામ જ નહીં પરંતુ સમગ્ર અમરેલી પંથકના દલિત સમાજમાં સોંપો પડી ગયો છે. સમાજમાં ભારે રોષ છે અને તેઓ આરોપીઓની વહેલીતકે ધરપકડ થાય અને મૃતક અને તેના પરિવારજનોને ન્યાય મળે તેવી આશા સેવી રહ્યા છે.
આ પણ વાંચો: એટ્રોસિટીના ગંભીર કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આઘાતજનક ચૂકાદો
*વેફરનુ પડીકું તેની કિમંત કેટલી? સામાન્ય માથાકૂટ! યુવાન નિલેશ રાઠોડનું કરૂણ મોત, વિચરતી જાતિ ભરવાડો દ્વારા થયું છે, પ્રમાણિત પુરાવાઓની કશી જ લેવાદેવા નથી એટલે હત્યારાઓ પ્રત્યે સખતાઈ ભર્યા પગલાં લેવામાં આવે એવી પ્રાર્થના. જયભીમ!
સરહદ પાર ના આતંકવાદી હુમલાઓથી પણ વધુ ઘાતક ગુજરાત માં થઈ રહેલા જાતિવાદી હુમલાઓ છે,
અને સરહદ પાર ની સુરક્ષા કરતા પણ વધુ સુરક્ષા દેશ માં રહેલા નાગરિકો ની કરવાની જરૂર છે,આતંકવાદી લોકો એ દેશમાં મજબૂર લોકો ઉપર મૌત નું તાંડવ મચાવ્યો છે,
આવાં નરાધમ ગુંડાઓને પકડી ને ફાંસી સુધી પહોંચાડવા માટે સરકાર નેં નમ્ર વિનંતી..