ભારતમાં દલિતો-આદિવાસીઓ અને લઘુમતીઓ પર અત્યાચારો વધ્યાં છે. ખાસ કરીને ટોળાં દ્વારા ગમે તે આરોપસર હુમલો કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આવી જ એક ઘટના ઝારખંડમાંથી સામે આવી છે. જ્યાં એક દલિત યુવકને ટોળાંએ બેટરી ચોરીની શંકામાં માર મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક પવન રામ પડવા અહીંના મુરમા ગામનો રહેવાસી હતો. શનિવારે મધ્યરાત્રિએ આશરે 12.30 વાગ્યે પોલીસને બાતમી મળી હતી કે તેલિયાહી ગામમાં ગ્રામજનોએ એક યુવકને વાહનની બેટરી ચોરતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. જ્યારે પોલીસની પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી. ગ્રામજનોએ પવનને પકડીને દોરડાથી બાંધી દીધો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ તેને લાકડીઓ અને લાતોથી બેરહેમીથી માર માર્યો હતો.

આ પણ વાંચો: 70 વર્ષથી વસેલા 40 દલિત પરિવારોને 7 દિવસમાં મકાન ખાલી કરવા આદેશ
પલામૂના પોલીસ અધિક્ષક (SP) રીષ્મા રમશેને મીડિયાને જણાવ્યું કે, “પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવકને ગુસ્સે ભરાયેલા ટોળાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. તેની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ડોક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.”

પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક
આ મામલે પોલીસે અત્યાર સુધીમાં એક મુખ્ય આરોપી પારસનાથ મહેતા (35 વર્ષ) ની અટકાયત કરી છે. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં એક નવો વળાંક પણ સામે આવ્યો છે. એસપી રીષ્મા રમશેને શંકા વ્યક્ત કરી છે કે પવન રામ કદાચ કોઈ યુવતીને મળવા માટે તે ગામમાં ગયો હોઈ શકે છે. પરંતુ ગ્રામજનોએ તેને ત્યાં જોઈને ટ્રેક્ટરની બેટરી ચોરવાનો પ્રયાસ કરતો હોવાનું માની લીધું હતું અને કાયદો હાથમાં લઈને તેની હત્યા કરી દીધી હતી.
આ પણ વાંચો: મહેસાણામાં દલિત વિદ્યાર્થીને 4 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો
પોલીસે સ્વીકાર્યું – આ મોબ લિંચિંગની ઘટના છે
મેદિનીનગરના એસડીપીઓ (SDPO) રાજેશ કુમારે પુષ્ટિ કરી છે કે આ સ્પષ્ટપણે ‘મોબ લિંચિંગ’ એટલે કે ટોળા દ્વારા કરવામાં આવેલી હત્યાનો મામલો છે. પોલીસે આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(2) અને અન્ય સંબંધિત કઠોર કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટુકડીઓ દરોડા પાડી રહી છે.
ઘટના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું
આ ઘટના બાદ ઝારખંડનું રાજકારણ પણ ગરમાયું છે. ઝારખંડ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ મરાંડીએ આ ઘટના અંગે ઘેરા આઘાતની સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, “પલામૂ જિલ્લામાં એક દલિત યુવકની આ રીતે ટોળા દ્વારા હત્યા થવી તે અત્યંત આઘાતજનક અને શરમજનક છે.” તેમણે હેમંત સોરેન સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં ગુનેગારો બેખોફ બન્યા છે અને દલિતો પર અત્યાચાર વધી રહ્યો છે. જો કે, આ જ બાબુલાલ મરાંડી જ્યારે ભાજપશાસિત રાજ્યોમાં બજરંગદળ અને વિહિપ જેવા કથિત હિંદુત્વવાદી સંગઠનોના ગુંડાઓ દલિતો, મુસ્લિમો પર હુમલા કરે છે, વેલેન્ટાઈન ડે પર યુવાનોને માર મારે છે, ત્યારે કશું બોલતા નથી.
આ પણ વાંચો: કોડીનારમાં SIR પ્રક્રિયામાં 6700 મુસ્લિમોના નામ કમી કરી દેવાયા!
ગામમાં પોલીસ ખડકી દેવામાં આવી
હાલ તેલિયાહી અને મુરમા ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે. પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પવન રામના પરિવારે ન્યાયની માંગ કરી છે અને તમામ દોષિતોને કડક સજા થાય તેવી અપીલ કરી છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને ગામના અન્ય શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પ્રકારની મોબ લિંચિંગની ઘટનાઓ સામાજિક સુરક્ષા સામે મોટો પ્રશ્નચિહ્ન ઉભો કરે છે. પોલીસ વહીવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને પકડીને કાયદો હાથમાં ન લેવો, તુરંત પોલીસને જાણ કરવી.
આ પણ વાંચો: બિહારમાં 5 દલિત સગીરાઓ ઝેર ગટગટાવ્યું, 4 ના મોત, એક ગુમ










