ગુજરાતમાં દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારો મુદ્દે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારતા અનામત સીટ પર ચૂંટાયેલા અનુસૂચિત જાતિ સમાજના ધારાસભ્યો-સાંસદો સામે દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. થોડા દિવસ પહેલા એક પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. જેમાં દલિત ધારાસભ્યો-સાંસદોનું બારમું કરવાની વાત હતી. આ પોસ્ટર વાયરલ થયા બાદ પહેલીવાર સુરતમાં દલિત સમાજે સાંસદો-ધારાસભ્યોની નનામી કાઢી હતી. આજે સુરતમાં દલિત સમાજના અગ્રણીઓ દ્વારા અનુસૂચિત જાતિ સમાજની અનામત સીટ પર ચૂંટાયેલા 11 ધારાસભ્ય અને બે સાંસદના ફોટા સાથેનું બેનર લગાવી નનામી કાઢી હતી. એ દરમિયાન પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.
દલિત ધારાસભ્યો-સાંસદોની નનામી નીકળી
સામાજિક કાર્યકર ધનુ ચૌહાણે જણાવ્યું હતું કે, “આજે અનામત બેઠક ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો નમાલા બનીને ચૂપ બેઠા છે. સમાજ પરના અત્યાચાર મામલે એક-બે લોકોને છોડીને તમામ એક શબ્દ પણ બોલતા નથી. ગુજરાતભરના ભાજપ-કોંગ્રેસના અનુસૂચિત જાતિ સમાજના નમાલા અને મરી ગયેલા સમાજ માટે જે ધારાસભ્યો છે, તેની અંતિમક્રિયા માટે ઠાઠડી કાઢી કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે, સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના 13-13 વ્યક્તિ પ્રતિનિધિત્વ કરી રહ્યાં હોય અને 13 ધારાસભ્ય-સાંસદમાંથી એકાદ વ્યક્તિ અમારા સમાજનું ખેંચે તો તે વ્યક્તિને અમે માથે રાખીએ છીએ.
હાલ ગુજરાતની અંદર અમારી વિધાનસભાની સીટો છે, તેમાંથી એક સીટ ખાલી છે અને 12 સીટમાંથી ફક્ત એક ધારાસભ્યએ અનુસૂચિત જાતિ ઉપર અત્યાચાર થયો ત્યારે અવાજ ઉઠાવ્યો. એ કઈ પાર્ટીના છે એ તમે જાણો છો. એવી જ રીતે કોંગ્રેસના હોય કે ભાજપના હોય 11 ધારાસભ્ય અને બે સાંસદે અવાજ નથી ઉઠાવ્યો. અમરેલીના નિલેશ રાઠોડની હત્યા થયા બાદ સમગ્ર ગુજરાતના અનુસુચિત જાતિ સમાજની અંદર રોષ છે, પણ આ નમાલા ધારાસભ્યો એમના મોઢામાંથી ‘મ’ શબ્દ નથી બોલ્યા. આવી તો અનેક ઘટના ગુજરાતની અંદર અવારનવાર બની છે. ઉનાકાંડ હોય, થાનગઢકાંડ હોય કે અનેક ઘટના હોય પણ અત્યાર સુધીમાં એકપણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા.”
આ પણ વાંચો: દારૂ પીવા પૈસા ન આપતા ગુંડાઓએ દલિત યુવકના કાન કાપી નાખ્યા
આ લોકો પુના કરારની ઓલાદો છે: ધનુ ચૌહાણ
ધનુ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, “વર્તમાનમાં જે ધારાસભ્યો-સાંસદો બોલતા નથી તેમને મારે એજ કહેવું છે કે, તમે જે સીટ પર બેઠા છો એ સીટ તમને વારસામાં તો મળી નથી. આ સીટ દલિત સમાજની છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અથાગ મહેનતના કારણે મળી છે. જો કે, તમે જાણો જ છો કે પુના કરારના લીધે આ સીટ પર બેઠાં છો. પુના કરાર ન થયો હોત તો અમારા સમાજને સ્વતંત્ર મતનો અધિકાર મળ્યો હોત. આ અધિકાર હતો જ પણ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે પુના કરાર બાબા સાહેબને મજબૂરીમાં કરવો પડ્યો એ હિસાબે આ પુના કરારની ઓલાદો છે એ સમાજ સાથે ગમે તેટલા અત્યાચાર થાય તો પણ બોલતા નથી. જેથી અમે આ લોકોની અંતિમવિધિ માટે ઠાઠડી કાઢી તેમનો વિરોધ કર્યો છે.”
ધનુ ચૌહાણે આગળ જણાવ્યું હતું કે, સુરતના અમરોલીમાં અમારા લોકેશનના આધારે પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો. પરંતુ તેમ છતાં અમારા કાર્યકર્તાઓએ એકઠા થઈને નમાલા ધારાસભ્યો-સાંસદોની નનામી કાઢી હતી. હવે સમગ્ર ગુજરાતના જિલ્લાઓ-તાલુકાઓમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો, બેસણાના કાર્યક્રમો કરવામાં આવશે. પછી થોડા જ દિવસોની અંદર ઈડર, બારડોલી વિધાનસભા છે, રાજકોટ વિધાનસભા છે, આ બધી વિધાનસભાની અંદર પણ કાર્યક્રમો થશે.”
આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો તેના જ ધારાસભ્યો-સાંસદોનું બારમું યોજશે?
*આવા ધીમી ગતિના કાર્યક્રમોથી કાયર અને બિનકાર્યક્ષમ દલિત સમાજના સાંસદોનાં પેટનું પાણી પણ હાલવાનું નથી એટલે ભવિષ્યમાં આવનારી ચૂંટણીમાં ઈમાનદારીથી “વોટ” નો સદોપયોગ કરાવો જ રહ્યો…! જયભીમ જય સંવિધાન જય ભારત!
બંન્ને પેન્થર લડાકૂ મિજાજનાં દલિતોનાં હમદર્દને મારાં
હાર્દિક ધન્યવાદ સાધુવાદ…!
દિવંગત નારણ વોરા જીને મારાં હાર્દિક શત્ શત્ નમન!