સોશિયલ મીડિયાને આધુનિક સમયમાં એક એવા ક્રાંતિકારી સાધન તરીકે જોવામાં આવતું હતું જે સમાજના અંતિમ છેડે ઉભેલા વ્યક્તિને અવાજ આપશે. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ડિજિટલ ક્રાંતિ જાતિ, ધર્મ અને વર્ગના પરંપરાગત બંધનો તોડીને દરેક નાગરિકને સમાન તક અને સુરક્ષા પ્રદાન કરશે. જોકે, યુનિવર્સિટી ઓફ બાથના ‘સ્કૂલ ઓફ મેનેજમેન્ટ’ દ્વારા કરવામાં આવેલ તાજેતરનો અભ્યાસ આ આશાવાદી ચિત્ર પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. સંશોધકોનું કહેવું છે કે ભારતમાં પ્રચલિત જાતિ વ્યવસ્થા હવે માત્ર ભૌતિક અંતર કે સામાજિક રિવાજો પૂરતી સીમિત નથી રહી, પરંતુ તે ફેસબુક, એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ પર એક નવું ‘ડિજિટલ સ્વરૂપ’ ધારણ કરી ચૂકી છે.
ભારતની અંદાજે 1.47 બિલિયન વસ્તીમાં 20 કરોડથી વધુ લોકો દલિત સમાજના છે. બંધારણીય અધિકારો અને દાયકાઓથી ચાલતી અનામત પ્રથા હોવા છતાં, સામાજિક અને આર્થિક સ્તરે તેઓ આજે પણ અનેક અદ્રશ્ય પડકારોનો સામનો કરી રહ્યા છે. અભ્યાસના લીડ રિસર્ચર ડૉ. પ્રદીપ અત્રી જણાવે છે કે, “ભારતમાં પ્રગતિ તો થઈ રહી છે, પણ તેની ગતિ અત્યંત ધીમી છે. આર્થિક રીતે સક્ષમ બનેલા દલિત મધ્યમ વર્ગ માટે સોશિયલ મીડિયા એક આશાનું કિરણ હતું, પરંતુ કમનસીબે આ માધ્યમે તેમની મુશ્કેલીઓ ઘટાડવાને બદલે તેમને માનસિક હિંસાના નવા શિકાર બનાવ્યા છે.”

સોશિયલ મીડિયા કેવી રીતે દલિતોને બહાર કરી દે છે?
“યુ બિલોન્ગ ટુ ગટર, નોટ ફેસબુક યા ટ્વિટર: રિકવરીંગ દલિત હિસ્ટ્રીઝ ફ્રોમ ધ શેડોઝ ઓફ સોશિયલ મીડિયા” શીર્ષક હેઠળના આ સંશોધનમાં દલિતોના ઓનલાઇન અનુભવોનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિસર્ચ ટીમ મુજબ, દલિતોને ઓનલાઇન ત્રણ સ્તરે વ્યવસ્થિત રીતે બાકાત રાખવામાં આવે છે.
આ પણ વાંચો: સાચા ‘બ્રાહ્મણ’ કોણ, નહેરુ કે આંબેડકર?

1. અદ્રશ્ય અસ્તિત્વ (Invisibility):
સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ પક્ષપાત વગરના હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે એવી સામગ્રીને વધુ પ્રોત્સાહન આપે છે જે પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ અથવા મુખ્ય પ્રવાહના હિતોને અનુરૂપ હોય. પરિણામે, દલિતોનો ઇતિહાસ, તેમનું સાહિત્ય અને તેમના પાયાના સામાજિક પ્રશ્નો ડિજિટલ સ્પેસમાં ‘ટ્રેન્ડ’ થઈ શકતા નથી. પ્લેટફોર્મ્સ ઘણીવાર દલિત કલાકારો અથવા કાર્યકર્તાઓની રીચ (Reach) ઘટાડી દે છે, જેને ટેકનિકલ ભાષામાં ‘શેડો બેનિંગ’ કહેવામાં આવે છે.
2. દલિતોની સામાન્ય અભિવ્યક્તિ તરફ આંખ આડા કાન(Unheard):
જ્યારે કોઈ દલિત યુઝર ઓનલાઇન હેરેસમેન્ટ કે જાતિગત ગાળાગાળીની ફરિયાદ કરે છે, ત્યારે પ્લેટફોર્મ્સની રિપોર્ટિંગ સિસ્ટમ મોટેભાગે મૌન સેવે છે. આ પ્લેટફોર્મ્સ પાસે એવી ટેકનોલોજી કે સંવેદનશીલ માનવ સંસાધન નથી જે ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાની બારીકીઓને સમજી શકે. મોડરેટર્સ ઘણીવાર ઉચ્ચ જાતિના સામાજિક દ્રષ્ટિકોણથી કન્ટેન્ટનું નિરીક્ષણ કરે છે, જેના કારણે દલિતોની વાસ્તવિક પીડાને ‘સામાન્ય અભિવ્યક્તિ’ કહીને નજરઅંદાજ કરવામાં આવે છે.
3. મૌન ધારણ કરવાની મજબૂરી (Unspoken):
સતત થતી ટ્રોલિંગ અને ડિજિટલ લિંચિંગના ડરથી ઘણા દલિત યુઝર્સ કાં તો પોતાની ઓળખ છુપાવે છે અથવા સોશિયલ મીડિયા પર સક્રિય થવાનું જ બંધ કરી દે છે. આ એક પ્રકારની ‘ડિજિટલ દેશનિકાલ’ જેવી સ્થિતિ છે. જ્યારે કોઈ દલિત વ્યક્તિ તાર્કિક મુદ્દો ઉઠાવે ત્યારે વિરોધીઓ તથ્યો પર વાત કરવાને બદલે તેમની જ્ઞાતિ અને પૂર્વજો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરે છે, જે તેમને માનસિક રીતે તોડી નાખે છે.
કોડેડ લેંગ્વેજ અને ડિજિટલ હિંસાનું સ્વરૂપ
અભ્યાસમાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ઓનલાઇન જાતિવાદ હવે ઘણો સ્માર્ટ અને છૂપો બની ગયો છે. ટ્રોલ્સ સીધી જ્ઞાતિસૂચક ગાળો આપવાને બદલે ‘કોડેડ લેંગ્વેજ’ કે ‘હિંગ્લિશ’નો ઉપયોગ કરે છે જેથી એલ્ગોરિધમ તેમને પકડી ન શકે. ‘ભીમટે’ કે ‘કોટા ફેક્ટરી’ જેવા શબ્દોનો ઉપયોગ ડૉ. બી.આર. આંબેડકરના અનુયાયીઓ અને અનામતનો લાભ લેતા વિદ્યાર્થીઓની મજાક ઉડાવવા માટે હથિયાર તરીકે થાય છે.
આ પણ વાંચો: આઝાદીના 78 વર્ષ બાદ દલિત વરરાજા હાથમાં બંધારણ સાથે ઘોડે ચડ્યાં
હેશટેગ્સનું હાઈજેકિંગ
વધુમાં, હેશટેગ્સનું હાઈજેકિંગ એ દલિતોને દબાવવાની નવી તરકીબ છે. દાખલા તરીકે, જ્યારે દલિત સમુદાય #AmbedkarJayanti જેવા હેશટેગ દ્વારા પોતાના વિચારો રજૂ કરે છે, ત્યારે ચોક્કસ વિચારધારા ધરાવતા ટ્રોલ્સ આ હેશટેગ પર હજારો નકારાત્મક પોસ્ટ્સનો મારો ચલાવે છે. આનાથી મૂળ ચર્ચા દબાઈ જાય છે અને દલિતોનો અવાજ મુખ્ય પ્રવાહમાં પહોંચતો અટકી જાય છે. અભ્યાસમાં ભાગ લેનાર સુમન નામની યુવતીએ કહ્યું કે, “ઉચ્ચ જાતિના લોકો ડિજિટલ ક્ષેત્રમાં એટલા સંગઠિત છે કે તેઓ પળવારમાં અમારી ચર્ચાઓ પર કબજો કરી લે છે અને અમને ડિજિટલ પ્લેટફોર્મ પરથી ગાયબ કરી દે છે.”
સ્ટીરિયોટાઇપિંગ અને ખોટું ચિત્રણ
સોશિયલ મીડિયા પર દલિતોની રજૂઆત આજે પણ સદીઓ જૂના ઢાંચામાં કેદ છે. સફાઈકામ કે ગંદા ગણાતા કામોને ‘પરંપરા’ અથવા ‘સેવા’ તરીકે દર્શાવીને તેને ગૌરવવંતું કરવાનો પ્રયાસ થાય છે, પરંતુ તેની પાછળ રહેલી સામાજિક મજબૂરી અને શોષણને જાણીજોઈને છુપાવવામાં આવે છે. દલિત યુવાનોની સફળતાને હંમેશા શંકાની નજરે જોવામાં આવે છે. જો કોઈ દલિત યુઝર મોંઘી કાર કે કપડાં સાથે ફોટો મૂકે, તો પણ તેમને તેમની જાતિને લઈને ટાર્ગેટ કરવામાં આવે છે. આ પ્રકારની માનસિકતા દર્શાવે છે કે ડિજિટલ સ્પેસમાં હજુ પણ દલિતોને ‘ગરીબ અને લાચાર’ તરીકે જ જોવાની માનસિકતા પ્રબળ છે.
આર્થિક અવરોધો અને ડિજિટલ ખાઈ (Digital Divide)
ભારતમાં દલિતોને હાંશિયામાં ધકેલવા પાછળ આર્થિક કારણો પણ એટલા જ જવાબદાર છે. ડૉ. અત્રી જણાવે છે કે, “આજે પણ ભારતનો મોટો દલિત વર્ગ આર્થિક રીતે પછાત છે, જેના કારણે તેમની પાસે હાઈ-એન્ડ સ્માર્ટફોન કે હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સુવિધા નથી. આ ડિજિટલ અસમાનતા તેમને ઓનલાઇન ચર્ચાઓના મુખ્ય પ્રવાહમાંથી કુદરતી રીતે જ બહાર કરી દે છે. જેઓ આર્થિક રીતે સક્ષમ થઈને ઓનલાઇન આવ્યા છે, તેમની વાતને પણ ‘એજન્ડા’ અથવા ‘દેશવિરોધી’ કહીને ફગાવી દેવામાં આવે છે.”
આ પણ વાંચો: કેન્દ્ર સરકારમાં કામ કરતા 66% સફાઈકર્મીઓ SC-ST-OBC વર્ગના
પ્રતિકારનો નવો માર્ગ – #DalitLivesMatter
આટલા અવરોધો છતાં, આધુનિક દલિત યુવા પેઢી હવે ડિજિટલ હિંસાનો સામનો કરવા તૈયાર થઈ રહી છે. તેઓ હવે પ્લેટફોર્મના પક્ષપાતી અલ્ગોરિધમ પર નિર્ભર રહેવાને બદલે પોતાની સ્વતંત્ર ડિજિટલ આર્કાઈવ્સ અને વેબસાઈટ્સ બનાવી રહ્યા છે. #DalitLivesMatter જેવા હેશટેગ્સ દ્વારા તેઓ વૈશ્વિક કક્ષાએ જાતિવાદના મુદ્દાને ઉઠાવી રહ્યા છે. તેઓ હવે ઇતિહાસના પુસ્તકોમાં જેમને સ્થાન નથી મળ્યું તેવા દલિત નાયકોની ગાથા સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને ખોટી માહિતીનો તથ્યો સાથે જવાબ આપી રહ્યા છે.
સંસ્થાકીય સુધારાની જરૂરિયાત
યુનિવર્સિટી ઓફ બાથના આ સંશોધન દ્વારા ટેક કંપનીઓ અને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંશોધન ટીમમાં સામેલ પ્રોફેસર સારા ગ્લોઝર અને વિવેક સુંદરરાજનનું માનવું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ હવે માત્ર ‘નફા’ અને ‘યુઝર બેઝ’ પર ધ્યાન આપવાને બદલે ‘સામાજિક ન્યાય’ની જવાબદારી સ્વીકારવી પડશે. પ્લેટફોર્મ્સ પર એવા એન્જિનિયરો અને મોડરેટર્સની નિમણૂક કરવી અનિવાર્ય છે જેઓ ભારતની સામાજિક વાસ્તવિકતા અને જાતિવાદના વિવિધ પાસાંઓને સમજે છે.
આ પણ વાંચો: મહેસાણામાં સુથાર સમાજે માત્ર 31 હજારમાં ‘દૈનિક લગ્ન યોજના’ શરૂ કરી
અસમાનતા ઘટાડવી એ માત્ર પ્લેટફોર્મ પર દલિતોને એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવા પૂરતું મર્યાદિત નથી; તે દરેક સમુદાયને પોતાની સામાજિક અને ઐતિહાસિક ઓળખને સુરક્ષિત રાખવાની અને અભિવ્યક્તિ કરવાની ગેરંટી આપવા વિશે છે. જો ટેકનોલોજી કંપનીઓ આ બાબતે પારદર્શક નીતિ નહીં બનાવે, તો સોશિયલ મીડિયા લોકશાહીના સશક્તિકરણને બદલે જાતિવાદી માનસિકતાને પોષવાનું માધ્યમ બની રહેશે.
ભારતના 20 કરોડથી વધુ દલિતોને ડિજિટલ ન્યાય આપવો એ માત્ર એક સમુદાયનો પ્રશ્ન નથી, પરંતુ તે ભારતીય લોકશાહીની તંદુરસ્તીનો પ્રશ્ન છે. ડિજિટલ વિશ્વમાં જાતિવાદના ઝેરને અટકાવવા માટે કડક કાયદાકીય માળખું અને ટેકનોલોજીકલ સંવેદનશીલતા બંનેનો સમન્વય થવો અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?











https://www.instagram.com/reel/DUDReK-CbKL/?igsh=MTZpZzZ2bWFyenB5cg==