કેટલાક ગુનેગારો એટલા ઘાતકી અને ખતરનાક હોય છે કે તેમણે કરેલી હત્યાઓ અને તેની ચાલાકીઓ સાંભળીને આપણું મગજ બહેર મારી જાય. દિલ્હી ક્રાઈમ બ્રાંચે આવા જ એક સીરિયલ કિલર આયુર્વેદિક ડોક્ટરને ઝડપી પાડ્યો છે જેણે 50 થી વધુ ટેક્સી ડ્રાઈવરોની હત્યા કરીને તેમની લાશો મગરને ખવડાવી દીધી છે. ગુનાઈત જગતમાં તેને ‘ડૉક્ટર ડેથ’ના નામે ઓળખવામાં આવે છે.
પોલાસીના હાથે ચઢેલા આરોપી દેવેન્દ્ર શર્મા પર હત્યા સિવાય કિડની રેકેટમાં પણ સામેલ હોવાનો આરોપ છે. તેના પર દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરવા સિવાય 1994થી 2004 વચ્ચે ગેરકાયદે રીતે 125થી વધુ કિડની ટ્રાન્સપ્લાંટ કરવાનો પણ આરોપ છે. દેવેન્દ્ર શર્મા પેરાલ લઈને ફરાર થયા બાદ રાજસ્થાનના દૌસાના એક આશ્રમમાં પુજારી બનીને રહેતો હતો. પોલીસ આરોપી સાથે પૂછપરછ કરીને તેના નેટવર્કની તપાસ કરી રહી છે.
50થી વધુ ટેક્સી ડ્રાઈવરોની હત્યા કરી
આરોપી આયુર્વેદિક ડોક્ટર 67 વર્ષીય દેવેન્દ્ર શર્મા મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. તેની સામે હત્યા, અપહરણ, લૂંટ સહિત 27 કેસ દાખલ છે અને તેને દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં સાત અલગ-અલગ મામલે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ગુડગાંવની કોર્ટે ટેક્સી ચાલકની હત્યાના મામલે તેને મોતની સજા સંભળાવી હતી. તેણે 50થી વધારે લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: માણાવદરના ટીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થશે?
ગુનાઓના જાહેર થઈ ગયા બાદ તેણે 2004માં પોતાની પત્ની અને બાળકોને છોડી દીધા હતા. તે વર્ષ 2023માં તિહાડ જેલથી પેરોલ મળ્યા બાદ ફરાર થઈ ગયો હતો, ત્યારથી પોલીસ તેની તપાસ કરી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચે અલીગઢ, આગ્રા, પ્રયાગરાજ, જયપુર અને દિલ્હીમાં તેના ઠેકાણા તેમજ નેટવર્ક પર નજર રાખી રહી હતી. પોલીસને બાતમી મળી હતી કે, દેવેન્દ્ર શર્મા રાજસ્થાનના દૌસા સ્થિત એક આશ્રમમાં પુજારીના રૂપે સંતાયેલો છે.
કેવી રીતે પકડાયો?
SP ઉમેશ બડથવાલની ટીમે આયોજનબદ્ધ રીતે દૌસા સ્થિત આશ્રમમાં અનુયાયી હોવાનો ડોળ કરી આરોપીની મુલાકાત કરી હતી. એ પછી તેના પર નજર રાખવામાં આવી કે તે ડૉ. દેવેન્દ્ર શર્મા છે કે બીજું કોઈ. છેલ્લે તે દેવેન્દ્ર શર્મા જ હોવાનું કન્ફર્મ થતા ક્રાઈમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાઈત ભૂતકાળની કબૂલાત કરી અને સ્વીકાર કર્યો હતો કે તે ક્યારેય જેલમાં પરત ન ફરવા માટે ઈરાદાપૂર્વક પેરોલ પર બહાર આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, અમદાવાદમાં 7 કેસ નોંધાયા
આયુર્વેદિક ડૉક્ટરની ડિગ્રી મેળવી ખૂનના રવાડે ચડ્યો
ઉત્તર પ્રદેશના અલીગઢ નિવાસી આરોપી દેવેન્દ્ર શર્માના પિતા સિવાનમાં એક દવાની કંપનીમાં કામ કરતા હતા. 1984માં શર્માએ બિહારથી બેચલર ઑફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (BAMS)ની ડિગ્રી હાંસલ કરી. સ્નાતક થયા બાદ રાજસ્થાનના બાંદીકુઈમાં જનતા ક્લિનિક ખોલ્યું હતું, જેને 11 વર્ષ સુધી ચલાવ્યું હતું.
1995થી 2004 વચ્ચે અનેક હત્યાઓ કરી
આરોપી ડૉ. દેવેન્દ્ર શર્માએ 1995થી 2004 વચ્ચે ગેરકાયદે ગેસ એજન્સી, કિડની રેકેટ અને ટેક્સી ચાલકોનું અપહરણ કરી તેમની હત્યા કરી હતી. આરોપી પોતાના સાથીઓ સાથે મળીને ટેક્સી અને ટ્રક ચાલકોની હત્યા કરી મૃતદેહોને ઉત્તર પ્રદેશના કાસગંજમાં હઝારા નહેરમાં મગરને ખવડાવી દેતો, જેથી કોઈ પૂરાવા ન મળે. આરોપ છે કે, 1998થી 2004 વચ્ચે દેવેન્દ્રએ એક અન્ય ડૉક્ટર અમિત સાથે મળીને ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાંટનું રેકેટ ચલાવ્યું હતું.
આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો