Four tribal mla suspend: રાજ્યના આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ બંધ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેને રાજ્ય સરકાર દ્વારા ફરી ચાલુ કરવામાં આવશે કે નહીં? તેવા ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાના સવાલના પ્રત્યુત્તરમાં આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર દ્વારા હા કે ના માં જવાબ આપવાના બદલે ગોળ-ગોળ વાતો કરતાં વિપક્ષ ‘આપ’ અને કોંગ્રેસનાં આદિવાસી ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, ચૈતર વસાવા, અનંત પટેલ, તુષાર ચૌધરી અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવતા તેમને ટીંગાટોળી કરીને ગૃહની બહાર મોકલાયા હતા અને તેમને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા હતા. જેના કારણે આપ અને કોંગ્રેસનાં ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી સમય દરમિયાન આમ આદમી પાર્ટી-‘આપ’ના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સવાલ કરાયો હતો કે, રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વર્ષ 2024-25થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે બંધ કરવાનું ઠરાવવામાં આવ્યું છે તે હકીકત સાચી છે? અને જો હા, તો ઉક્ત યોજના બંધ કરવાના શા કારણો છે?
ચૈતર વસાવાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, હા, જી. ભારત સરકાર દ્વારા પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ મેરિટોરિયસ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો છે અને આ યોજના કેન્દ્ર સરકાર પુરસ્કૃત હોય, તે મુજબ અમલવારી કરવાની રહે છે.
આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરના આ લેખિત જવાબને લઈને ચૈતર વસાવા તેમજ કોંગ્રેસનાં આદિવાસી ધારાસભ્યો ડૉ. તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી દ્વારા સરકાર આ યોજના ચાલુ રાખવા માંગે છે કે નહીં? તે અંગે હા કે નામાં જવાબ આપે તેવી માંગણી કરી હતી.
આ પણ વાંચો: પ્રક્રિયા અઘરી બનતા સેંકડો ગરીબ બાળકો શિષ્યવૃત્તિ નહીં મેળવી શકે
જે અંગે મંત્રી કુબેર ડિંડોર દ્વારા સીધો જવાબ આપવાના બદલે ગોળ ગોળ વાતો કરતાં વિપક્ષના ધારાસભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા હતા. જેના કારણે ગૃહમાં ભારે હંગામો મચી જવા પામ્યો હતો. જેથી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ સભ્યોને તેમની જગ્યા પર જવા માટે વારંવાર જણાવાયું હતું. તેમ છતાં આ ધારાસભ્યો પોતાની જગ્યાએ ન જતાં અધ્યક્ષ દ્વારા સાર્જન્ટ બોલાવ્યા હતા. જેથી સાર્જન્ટો દ્વારા વિપક્ષના ચારેય સભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર લઈ ગયા હતા.
ગૃહમાં વિપક્ષના સભ્યો દ્વારા કરાયેલા હંગામાને લઈને ટ્રેજરી બેન્ચના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ ચારેય ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી આજના દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. જેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સ્વીકારીને વિપક્ષના સભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડીને આજના એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. અધ્યક્ષ દ્વારા વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા બાકી રહેલા આપ અને કોંગ્રેસનાં ધારાસભ્યોએ નારાજગી દર્શાવીને સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા બાદ ‘આપ’ અને કોંગ્રેસના ધારાસભ્યો ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દ્વારા તા. 1-4-2010માં પરિપત્ર કરીને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેના અંતર્ગત આદિવાસી સમાજનો વિદ્યાર્થી ખાનગી સંસ્થાઓમાં મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવી શકતો હતો.
પરંતુ ગુજરાત સરકારે ગત તા. 18-10-2024 ના રોજ એક પરિપત્ર કરીને ઉક્ત ઠરાવને રદ કર્યો હતો. જેના કારણે વર્ષ 2024-25માં પ્રવેશ મેળવનારા 50 હજારથી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ પર અસર પડી છે. જે અંગે રાજ્ય સરકારના મંત્રી દ્વારા આ યોજના ફરી શૌર કરવામાં નહીં આવે તેવું જણાવાયું હતું. જેનો વિરોધ કરતાં અમને સસ્પેન્ડ કરાયા હતા.
આ પણ વાંચો: SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ