ગઢડાની અનુસૂચિત જાતિ અનામત સીટ પરના ધારાસભ્ય શુંભનાથ ટુંડિયા પર તેમના જ પક્ષના ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જાહેર મંચ પરથી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરના વલ્લભીપુરના લીમડા ગામે તાજેતરની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભાવનગર જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખે જાહેર મંચ પરથી ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
સરપંચોના સન્માન કાર્યક્રમમાં મંચ પરથી આક્ષેપો કર્યા
પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના અઘ્યક્ષસ્થાને ‘સેવા હી સંગઠન’ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં વલ્લભીપુર તાલુકાના 54 પૈકી 37 સરપંચ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં મુકેશ લંગાળિયાએ સંબોધન દરમિયાન ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા સામે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા અને તેમના માણસો સરકારી બાંધકામોમાં હપ્તાઓ લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘આ ડાકણ છે’ કહી એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દેવાયા
મુકેશ લંગાળિયાએ શંભુનાથ ટુંડિયા વિશે શું કહ્યું?
મુકેશ લંગાળિયાએ વધુમાં શંભુનાથ ટુંડિયા પર આક્ષેપ કરતા કહ્યું કે, ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા બહારથી આવ્યા છે, તેમને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી, કાર્યકર્તાઓના ફોન ઉપાડતા નથી. આ આક્ષેપોથી સરપંચ સન્માનનો આખો કાર્યક્રમ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોમાં ફેરવાઈ ગયો હતો. સૂત્રોના મતે શંભુનાથ ટુંડિયાથી સ્થાનિક સરપંચો પણ નારાજ હોવાથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ન જવા માટે સ્થાનિક ભાજપ સંગઠને કાર્યકરો અને સરપંચોને ના પાડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે, ગઢડા વિધાનસભા બેઠકમાં વલ્લભીપુરનો સમાવેશ થાય છે અને કાર્યકરોના કામ નહીં થતા વિવાદ થયો છે. આ મામલે હજુ સુધી શંભુનાથ ટુંડિયા દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા કે ચોખવટ કરવામાં આવી નથી.
જિલ્લા ભાજપ પ્રમુખે શું કહ્યું?
બીજી તરફ આ બાબતે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માઘ્યમથી મને આ બાબતની જાણકારી મળી છે. પરંતુ ધારાસભ્ય સામેના આક્ષેપમાં તથ્ય જણાતું નથી અને આ બાબતે પ્રદેશ ભાજપ સંગઠનને જાણ કરવામાં આવશે, ત્યારબાદ તેમની સૂચના મુજબ પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો: ભાજપ શાસિત રાજ્યોમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં 35%નો વધારો