એકબાજુ બહુજન સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો રસ્તા પર ઉતરીને યુજીસી બિલના સમર્થનમાં દેશભરમાં દેખાવો કરી રહ્યા છે તેને મનુવાદી મીડિયા છુપાવી રહ્યું છે. આવું જ દર વખતે જાતિવાદી ગુંડાઓ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરની પ્રતિમા(Dr. Ambedkar’s statue vandalize)ને તોડવામાં આવે ત્યારે બનતું હોય છે. મનુવાદી મીડિયા આવી ઘટનાઓને પણ કદી ગંભીરતાથી નથી લેતું. જેના કારણે બહુજન સમાજ સુધી આવી ઘટનાઓ કદી પહોંચતી નથી.
આવી જ એક ઘટના ગઈકાલે ઉત્તર પ્રદેશ(UP)ના ચંદૌલી (Chandauli)જિલ્લાના મનિયારપુર ગામમાં બની હતી. ગામની દલિત વસ્તીમાં વર્ષોથી સ્થાપિત ભારતરત્ન ડો.આંબેડકરની પ્રતિમાને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ક્ષતિગ્રસ્ત(Dr. Ambedkar’s statue vandalize) કરવામાં આવી હોવાની જાણકારી મળતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રતિમાનો જમણો હાથ તોડી પાડવામાં આવ્યો હોવાનું જોતા જ ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું.

આ પણ વાંચોઃ મનુવાદી તત્વોએ મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા પર હુમલો કર્યો
દલિતોના સ્વાભિમાનના પ્રતિક ઉપર મનુવાદીઓનો ઘા
મનિયારપુર ગામના વડીલો અને રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આ પ્રતિમા માત્ર પથ્થર કે ધાતુનું માળખું નથી, પરંતુ ગ્રામજનોની આસ્થા અને સન્માનનું પ્રતીક છે. આ પ્રતિમા આજથી આશરે 26 વર્ષ પહેલા, એટલે કે વર્ષ 2000માં ગામના લોકોએ પોતે ફાળો ઉઘરાવીને અને પરસ્પર સહયોગથી સ્થાપિત કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી જે સ્થળે આ પ્રતિમા આવેલી છે, ત્યાં નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. પ્રતિમાની આસપાસ સુરક્ષા અને સુંદરતા વધારવા માટે ગ્રામજનો દ્વારા જ છત બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ માટે ત્યાં મજૂરો અને કડિયાઓ રાત-દિવસ કામ કરી રહ્યા હતા. શુક્રવારે રાત્રે પણ આશરે 11 વાગ્યા સુધી કેટલાક ગ્રામજનો અને મજૂરો ત્યાં હાજર હતા. તે સમયે બધું બરાબર હતું. મોડી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે અંધારાનો લાભ લઈને કોઈએ આ કૃત્ય આચર્યું હોવાનું મનાય છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં સ્વામીનારાયણના લોકોએ ડો.આંબેડકરની પ્રતિમા તોડી નાખી!
જાતિવાદી ગુંડાઓએ પ્રતિમાનો હાથ તોડી નાખ્યો
શનિવારે સવારે જ્યારે ગામના લોકો આરતી અથવા દર્શન માટે ત્યાં પહોંચ્યા, ત્યારે પ્રતિમાની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રતિમાનો જમણો હાથ તૂટીને નીચે પડેલો હતો. આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા અને ગામના મહોલ્લાઓમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. ટૂંક સમયમાં જ સેંકડો લોકો ત્યાં જમા થઈ ગયા અને અસામાજિક તત્વો વિરુદ્ધ નારાબાજી શરૂ કરી હતી.

દલિત-બહુજન સમાજ રોષે ભરાયો
ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કૃત્ય ગામની શાંતિ ડહોળવા અને જ્ઞાતિવાદનું ઝેર ફેલાવવાના ઈરાદે કરવામાં આવ્યું છે. લોકોએ માંગ કરી હતી કે જ્યાં સુધી નવી પ્રતિમા સ્થાપિત કરવામાં નહીં આવે અને દોષિતોની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાંત નહીં બેસે. સ્થિતિ વણસતી જોઈને સકલડીહા કોતવાલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વધતા જતા રોષને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પણ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ UNESCO માં ડૉ. આંબેડકરની પ્રતિમા લાગી, મનુવાદીઓને લપડાક!
તંત્ર દ્વારા કડક કાર્યવાહીનું આશ્વાસન
પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સકલડીહા કોતવાલી પ્રભારી ભૂપેન્દ્ર કુમાર નિષાદે સ્થળ પર પહોંચીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. “આ કોઈ સામાન્ય તોડફોડ નથી, પરંતુ લોકોની લાગણી દુભાવવાનું કૃત્ય છે. અમે આસપાસના સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તપાસ કરી રહ્યા છીએ. જે કોઈ પણ આમાં સંડોવાયેલ હશે, તેની સામે સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
વહીવટીતંત્ર દ્વારા એવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે ક્ષતિગ્રસ્ત પ્રતિમાના સ્થાને વહેલી તકે નવી અને સુંદર પ્રતિમા સ્થાપિત કરવાની જવાબદારી લેવામાં આવશે. પોલીસ અધિકારીઓ વરુણેન્દ્ર રાય, રોહિત કુમાર અને દુલારે રામ કનૌજિયા પોતે ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
આ ઘટનાએ ફરી એકવાર સામાજિક સૌહાર્દ સામે સવાલ ઉભા કર્યા છે. જોકે, પોલીસ અને સ્થાનિક નેતાઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિનંતી કરી છે. ગ્રામજનોએ પણ સંયમ જાળવીને ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી છે. હાલમાં મનિયારપુર ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ છે, પરંતુ તંત્રની તત્પરતાને કારણે સ્થિતિ કાબૂમાં છે.
આ પણ વાંચોઃ તોફાની તત્વોએ આદિવાસી યોદ્ધા ટંટ્યા મામાની પ્રતિમા તોડી નાખી










