અમરેલી તાલુકાના બાબાપુર ગામે અનુસૂચિત જાતીની મંડળીની ખાલસા કરેલ જમીન રીગ્રાન્ટ કરવા જિલ્લા કલેક્ટરને સંબોધી અનુસૂચિત જાતિના આગેવાનો અને મંડળીના પ્રમુખ અને સભાસદો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
અમરેલી તાલુકાના બાબાપુર ગામે અનુસૂચિત જાતિ વર્ગના લોકોની સામુદાયિક ખેત મંડળીની જમીનનો લાંબા ગાળાથી સવાલ છે. અમરેલી પ્રાંત કલેકટર દ્વારા હકીકત અને ખામીયુક્ત દોષ રાખી ૯૦ એકર જમીન 1978 માં ખાલસા કરેલ છે. જેમાં ગામમાં જમીન પર હકીકતે ૧૯૫૭થી અનુસુચિત જાતિની મંડળીના ૨૭ સભ્યોનો આ જમીન પર સતત કબજો છે. તમામ સભ્યો પોતે કબ્જો ધરાવે છે અને દર વર્ષે આ જમીનમાં બે પાક લેવા વાવેતર કરે છે અને નિયમિત પાક પણ લે છે.
આ અંગેનો નામદાર સરકારશ્રી સામે, વિવાદ અંગે અપીલ થતા અમદાવાદ, મહેસૂલ સચિવ (વિવાદ)માં કેસ ચાલતા વર્ષ 2012 માં ૨૦ એકર જમીન બાદ કરતા ૭૦ એકર વાવેતર લાયક જમીન મંડળીને જરૂર પડે તો રાજ્ય સરકારની મજુરી લઇ પરત આપવા હુકમ કરેલ છે પણ સરકાર દ્વારા ખોટા મનઘડત બહાના બતાવી હુકમનું પાલન કરવામાં આવતું નથી.
આ મુદ્દે અમદાવાદ, મહેસૂલ સચિવ (વિવાદ)માં, કેસ ચાલી જતા મહેસૂલ સચિવ દ્વારા મૂળ જમીન ખાલસા કરવાનો હુકમ જ ક્ષતિ ભરેલો અને ખામી ભરેલો હોય તે હુકમ રદ કરેલ છે અને રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી મંજૂરી લઇ અનુસૂચિત જાતિના લોકોની મંડળીને જમીન રીગ્રાન્ટ કરવા હુકમ કરેલ છે.
આ પણ વાંચો: ધ્રંગમાં મેકરણદાદા અખાડાએ દબાવેલી 300 વીઘા જમીન દલિતોને મળશે
આ બાબતે સ્થાનિક જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા બાબાપુર ખાતે આવેલ નદી પર બનતી સાતલી સિચાઈ યોજનાની વાત કરી સ્થાનિક સતા તંત્રએ જમીન આપવા માટે નેગેટીવ અભિપ્રાય આપેલ પણ સાતલી સિચાઈ યોજના સરકારે વધુ ખર્ચ થવાને લીધે નકારી કાઢી છે તો આ બાબતે ખાલસા કરેલ જમીન બાબાપુર અનુસૂચિત જાતિ સામુદાયિક મંડળીને અમદાવાદ, મહેસૂલ સચિવ (વિવાદ)ના હુકમ મુજબ રી-ગ્રાન્ટ કરવા માટે આજ રોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિના આગેવાનો ભરત કટારીયા, ભાનુભાઇ ચૌહાણ, ડી.કે. મકવાણા, ભીમજીભાઈ બગડા, બી. બી. રાણવા, જેન્તીભાઇ ગોહિલ, દિપકભાઈ ઝાલા, મગનભાઈ માધડ,રમેશ પરમાર, માવજીભાઈ પરમાર, રાકેશ ચાવડા,, અને બાબાપુર અનુસૂચિત જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ દેવરાજભાઇ ચાવડા અને સભ્યો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને જિલ્લા ચીટનીશ મારફતે જમીન મહેસુલ અધિનિયમની કલમ 211 હેઠળ ફેર તપાસ કરવા અને જમીન પરત સોંપવા તેમજ 27 પરિવારની આજીવિકા જેની સાથે જોડાયેલ છે તે જમીન રીગ્રાન્ટ કરવા સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારનાં માર્ગદર્શન હેઠળ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.એમ કાંતિલાલ પરમારની અખબારી યાદી જણાવે છે.
આ પણ વાંચો: Telangana માં OBC અનામત 23 ટકાથી વધારી 42 ટકા કરાઈ
અરજદારોને ન્યાય મળવો જ જોઈએ.