રામની નગરી અયોધ્યાના મિલ્કીપુર તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાથી મોટું નુકસાન થયું છે. ગઈકાલે ઇનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગુરૌલી ફત્તેસિંહ ગામમાં અચાનક લાગેલી આગમાં નવ દલિત પરિવારોના ઘરો આગની ઝપટમાં આવી ગયા હતા.
આગ લાગ્યાની માહિતી મળતા જ તાલુકા વહીવટીતંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ગ્રામજનો સાથે મળીને આગ પર કાબુ મેળવ્યો હતો. એ દરમિયાન પન્ના લાલ નામના દલિત યુવકના 12 બકરા અને આખું ઘર બળી ગયું હતું. આ સિવાય નવાદિન, સુરેશ, સુનીલ, ઈશ્વર રામ, આશારામ, સહજ રામ, પ્રવેશ, રામ બહાદુર અને પ્રદીપ કુમારના ઘર પણ સંપૂર્ણપણે બળી ગયા હતા.
આ પણ વાંચો: પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું
આગને કારણે રાજેન્દ્ર સિંહના ત્રણ વિઘાના ઘઉં અને ભૂસું અને ઇન્દ્રદેવ સિંહના ચાર વિઘાના ખેતરમાં ઉભેલા ઘઉં અને ભૂસું પણ બળીને રાખ થઈ ગયું. ગામલોકોના જણાવ્યા મુજબ, સુરેશ નામની વ્યક્તિના ઘરમાં રાખેલો ગેસ સિલિન્ડર ગરમ થઈને વિસ્ફોટ થતાં આગ વધુ વિકરાળ બની હતી.
બીજી ઘટના ખંડાસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શાહજાનમઉં ગામમાં બની હતી. અહીં ત્રણ લોકોની 6-6 વીઘા જમીનમાં વાવેલા લગભગ 300 સાગના વૃક્ષો અને કંચનની 3 વીઘા જમીન બળી ગઈ. તેવી જ રીતે, લગભગ અડધો ડઝન ખેડૂતોની 38 વીઘા જામીન પર ઉભેલો ઘઉંના પાક બળીને રાખ થઈ ગયો હતો.
મિલ્કીપુર સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુધીર કુમાર અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દેવેન્દ્ર પાંડે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અધિકારી તરુણ મિશ્રા ટૂંક સમયમાં નુકસાનનું મૂલ્યાંકન કરશે અને તાલુકા વહીવટીતંત્રને રિપોર્ટ સુપરત કરશે. ઓમ પ્રકાશ સુમિત અને બીજા લોકોના ઘઉં કાપવામાં આવ્યા હતા પણ તેના પૂળા નહોતા વાળ્યા. પરિણામે બધું બળી ગયું હતું. પ્રાદેશિક એકાઉન્ટન્ટે નુકસાનીનો આકારણી અહેવાલ તૈયાર કર્યો છે અને તે તાલુકા વહીવટીતંત્રને સુપરત કર્યો છે. તેના આધારે લોકોને ચૂકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત સમાજમાંથી આવતા Justice B R Gavai દેશના નવા CJI બનશે