ધો. 10માં માત્ર 35 માર્ક્સ આવ્યા હતા, તેઓ આજે રાજકોટના કમિશનર છે

IAS Tushar Sumera: રાજકોટના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાને ધો. 10માં અંગ્રેજીમાં 100 માંથી 35, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં માત્ર 38 માર્ક્સ આવ્યા હતા, પણ તેમણે હિંમત નહોતી હારી.
IAS Tushar Sumera rajkot

IAS Tushar Sumera Success story: આવતીકાલથી એકબાજુ ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે અને રાજકોટ શહેરમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ચાલી રહ્યું છે. આ બંને ઘટનામાં એક બાબત કોમન છે, અને તે છે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર IAS તુષાર સુમેરા. સૌમ્ય ચહેરો અને શાંત ચિત્તના આ અધિકારીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સાથે ખાસ કનેક્શન છે. અને તેની જ વાત અહીં કરવી છે.

બોર્ડની પરીક્ષા એવો સમય છે જ્યારે દરેક ઘરમાં પુસ્તકોના પાના ઉથલાવવાનો અવાજ અને મનમાં અજ્ઞાત પરિણામની ચિંતાનો માહોલ હોય છે. વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરીને મહેનત કરે છે, જ્યારે વાલીઓ પોતાની અધૂરી ઈચ્છાઓ અને સામાજિક પ્રતિષ્ઠાનો ભાર આ કોમળ બાળકોના ખભા પર મૂકી દેતા હોય છે. બોર્ડની પરીક્ષાને જાણે જીવન-મરણનો પ્રશ્ન બનાવી દેવામાં આવે છે. પરંતુ, શું ખરેખર માર્કશીટમાં છપાયેલા થોડા આંકડાઓ કોઈ વ્યક્તિના આખા જીવનની દિશા અને દશા નક્કી કરી શકે છે? જવાબ છે – ના. જો તમને આ વાત ગળે ન ઉતરતી હોય, તો તમારે ગુજરાતના જ એક તેજસ્વી અને હિંમતવાન અધિકારી IAS અધિકારી તુષાર સુમેરા(IAS Tushar Sumera)ના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.

આ પણ વાંચો: EWS ના 140 ઉમેદવારોએ 1 કરોડ ફી ભરી મેડિકલમાં પ્રવેશ લીધો

રાજકોટના હાલના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા(IAS Tushar Sumera) આજે લાખો યુવાનો માટે રોલ મોડલ છે, પરંતુ તેમનો ભૂતકાળ કોઈ સામાન્ય વિદ્યાર્થી કરતા પણ વધુ સંઘર્ષમય રહ્યો છે. વર્ષ 2022માં જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ધોરણ 10ની માર્કશીટ શેર કરી, ત્યારે આખા દેશમાં તેની ચર્ચા થઈ હતી. સામાન્ય રીતે લોકો પોતાની સફળતા અને ગોલ્ડ મેડલના ફોટા મુકતા હોય છે, પણ તુષાર સુમેરાએ પોતાની ‘નબળી’ ગણાતી માર્કશીટ દુનિયા સામે મૂકી. તેમની માર્કશીટમાં ધોરણ 10માં અંગ્રેજીમાં માત્ર 35 માર્ક્સ, ગણિતમાં 36 અને વિજ્ઞાનમાં 38 માર્ક્સ હતા. આ આંકડાઓ જોઈને કોઈ પણ એમ જ કહે કે આ વિદ્યાર્થી માંડ-માંડ પાસ થયો છે.

તુષાર સુમેરા(IAS Tushar Sumera) જ્યારે ભણતા હતા ત્યારે માત્ર માર્કશીટે જ તેમને નબળા નહોતા કહ્યા, પણ આસપાસના લોકો અને સમાજે પણ તેમને નકારી દીધા હતા. તેમના ગામમાં અને ખાસ કરીને જે શાળામાં તેઓ અભ્યાસ કરતા હતા, ત્યાંના શિક્ષકો અને લોકોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, “આ છોકરો ભવિષ્યમાં કંઈ જ નહીં કરી શકે.” એક વિદ્યાર્થી માટે આનાથી મોટી નિરાશા બીજી કઈ હોઈ શકે? જ્યારે તમારી પોતાની શાળા અને સમાજ તમારી ક્ષમતા પર શંકા કરે, ત્યારે આત્મવિશ્વાસ ડગી જવો સ્વાભાવિક છે. પરંતુ તુષાર સુમેરાએ આ નકારાત્મકતાને પોતાના પર હાવી થવા ન દીધી. તેમણે એ સ્વીકારી લીધું કે કદાચ પુસ્તકિયા જ્ઞાન કે ગોખણપટ્ટીમાં તેઓ પાછળ હોઈ શકે, પણ તેમની શીખવાની ધગશ અને મહેનત કરવાની તૈયારી ક્યારેય ઓછી નહીં થાય.

તેમણે પોતાની સફર અટકાવી નહીં. ઓછા માર્ક્સ છતાં હિંમત હાર્યા વગર આગળ અભ્યાસ ચાલુ રાખ્યો. ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી શિક્ષક તરીકે સેવા આપી. પરંતુ તેમનું લક્ષ્ય કંઈક મોટું કરવાનું હતું. જે લોકોએ તેમને નકામા ગણ્યા હતા, તેમને શબ્દોથી નહીં પણ પરિણામથી જવાબ આપવો હતો. તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો અને UPSC જેવી ભારતની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી આઈએએસ (IAS) ઓફિસર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. જે વિદ્યાર્થીને વિજ્ઞાન અને ગણિતમાં પાસ થવાના ફાંફા હતા, તે આજે વહીવટી તંત્રના વડા બનીને જટિલ પ્રશ્નો ઉકેલે છે. આ ઘટના સાબિત કરે છે કે બુદ્ધિ પ્રતિભા કોઈ માર્કશીટની મોહતાજ નથી.

આ પણ વાંચો: રેતીમાં ઉછરેલો દલિત યુવક ‘સૂરજ’ હવે ‘આકાશ’ના તારા ગણશે

આવતીકાલથી પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ સમજવાની જરૂર છે કે પરીક્ષા એ માત્ર તમારા છ મહિના કે વર્ષની મહેનતનું પ્રતિબિંબ છે, તમારા આખા જીવનનું નહીં. જો ગણિતના કોઈ દાખલામાં કે અંગ્રેજીના કોઈ નિબંધમાં તમારા માર્ક્સ ઓછા આવે, તો તેનો અર્થ એ નથી કે તમે જીવનમાં નિષ્ફળ છો. દુનિયામાં એવા અસંખ્ય ઉદાહરણો છે જેઓ શાળામાં ઠોઠ ગણાતા હતા પણ આજે વિશ્વને નવી દિશા આપી રહ્યા છે. તુષાર સુમેરાની કહાની શીખવે છે કે “નિષ્ફળતા એ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં.”

વાલીઓને પણ ખાસ વિનંતી છે કે, તમારા બાળક પર માર્ક્સ માટે દબાણ ન કરો. જો પરિણામ ધાર્યા મુજબ ન આવે, તો તેને પ્રોત્સાહન આપો. IAS તુષાર સુમેરાના કિસ્સામાં જો તેમના પરિવારે તેમને તે સમયે સાથ ન આપ્યો હોત, તો કદાચ આજે આપણને આટલા કુશળ અધિકારી ન મળ્યા હોત. બાળકોને એ સમજાવો કે બોર્ડની પરીક્ષા એ જીવનનો એક નાનો હિસ્સો છે, આખું જીવન નથી. આત્મવિશ્વાસ એ સૌથી મોટી મૂડી છે. જે વિદ્યાર્થી પાસે આત્મવિશ્વાસ છે, તે 35 માર્ક્સ લાવ્યા પછી પણ IAS બની શકે છે, અને જેની પાસે આત્મવિશ્વાસ નથી તે 90 ટકા લાવ્યા પછી પણ જીવનના નાના સંઘર્ષોમાં હારી શકે છે.

આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો

પરીક્ષાના આ દિવસોમાં તણાવમુક્ત રહીને પેપર લખો. યાદ રાખો કે IAS તુષાર સુમેરાની માર્કશીટ આજે માત્ર એક કાગળનો ટુકડો છે, કારણ કે તેમની અસલી ઓળખ તેમની મહેનત અને લોકોની સેવા કરવાની ભાવના છે. જો તમે મહેનત કરશો, તો આજે નહીં તો કાલે સફળતા તમારા કદમ ચૂમશે. બોર્ડની પરીક્ષાના પરિણામથી ડરવાને બદલે તેને એક તક તરીકે જુઓ. ઓછા માર્ક્સ આવે તો નિરાશ થવાને બદલે IAS તુષાર સુમેરાનો એ હસતો ચહેરો યાદ કરજો જે આજે આખા રાજકોટ શહેરનો વહીવટ સંભાળે છે.

અંતે, દરેક વિદ્યાર્થીને એટલું જ કહેવાનું કે, તમારું શ્રેષ્ઠ આપો, પૂરી પ્રામાણિકતાથી મહેનત કરો અને પરિણામ ગમે તે આવે તેને સ્વીકારવાની હિંમત રાખો. જીવનમાં એવા અનેક રસ્તાઓ ખુલશે જ્યાં તમારી માર્કશીટના આંકડા નહીં પણ તમારી આવડત અને તમારું વ્યક્તિત્વ બોલશે. IAS તુષાર સુમેરાની માર્કશીટ એ આશાનું પ્રતીક છે કે નિષ્ફળતામાંથી જ સફળતાનો માર્ગ નીકળે છે. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ.

આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x