દેશભરમાં જાહેર કાર્યક્રમોમાં દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના બંધારણીય હકોની વાત કરતા રાહુલ ગાંધીના હાથમાં બંધારણ અને બગલમાં છરી છે. – અમદાવાદમાં બહુજન સમાજ પાર્ટીના આગેવાન અને બામસેફના સિનિયર કાર્યકર પી.એલ. રાઠોડનો આ મત છે.
પી.એલ. રાઠોડનું કહેવું છે કે, તેલંગાણામાં એસસી પેટા વર્ગીકરણ લાગુ કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસે અનુસૂચિત જાતિની અનામતની ઘોર ખોદવાની શરૂઆત કરી દીધી છે.
પોતાના મતને વિસ્તૃત રીતે સમજાવતા નિવૃત્ત સરકારી અધિકારી અને બીએસપી કાર્યકર પી.એલ. રાઠોડ કહે છે કે, ગત લોકસભાની તેમજ વિવિધ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધી પોતાના હાથમાં અને માથા પર બંધારણ લઈ અને બંધારણ બચાવવાની બૂમો પાડી અનુસૂચિત જાતિના લોકોના જથ્થાબંધ વોટ મેળવવામાં સફળતા મેળવી છે. ભાજપ સરકાર તરફથી બંધારણને ખતરો છે એટલે બંધારણને બચાવવું હોય તો કોંગ્રેસ અને PDA ને વોટ આપો એવી જોરશોરથી જાહેરાત કરનાર રાહુલ ગાંધીની તેલંગાણા કોંગ્રેસ સરકારે તાજેતરમાં અનુસૂચિત જાતિ પેટા વર્ગીકરણ લાગુ કરી તેમજ અનુસૂચિત જાતિમાં ક્રીમી લેયર લાગુ કરવાની ભલામણ કરી અનુસૂચિત જાતિના યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
આ પણ વાંચોઃ ‘કોમરેડ’ કન્હૈયા કુમારે મંદિરમાં પૂજા કરી, મનુવાદીઓએ મંદિર ધોયું
તેલંગાણા સરકારે આ રાજ્યમાં અનુસૂચિત જાતિને કુલ ૧૫ ટકા મળતી આરક્ષણને ત્રણ વિભાગમાં વેચી નાખી છે. જેમાં સમૂહ એકમાં જે 15 જાતિઓ છે તેને 1 ટકા લેખે, સમૂહ બે માં જે 18 જાતિઓ છે તેને 9 ટકા અને સમૂહ ત્રણ માં જે 26 જાતિઓ છે તેને 5 ટકા લેખે પેટા વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
આ વર્ગીકરણની સૌથી ઘાતક અસરો હવે પછીની ભરતીમાં જોવા મળશે કારણ કે આ અગાઉ અનુસૂચિત જાતિ વર્ગ પૈકીની કોઈ પણ જાતિનો ઉમેદવાર સરકારની નોકરીઓની જાહેરાતમાં રોસ્ટર ક્રમાંક સાત પર પોતાની દાવેદારી નોંધાવી શકતો હતો, પરંતુ નવું પેટા વર્ગીકરણ લાગુ થતા નવું રોસ્ટર ક્રમાંક બનતા પ્રથમ તો મોટું નુકસાન અગાઉની જૂની બેક લોગની તમામ જગ્યાઓ તો રદ થશે તે થવાનું છે.

બીજું નુકસાન એ છે કે સમૂહ એકમાં આવેલી 15 જાતિઓને માત્ર એક ટકા અનામત ફાળવવાથી આવી જાતિના યુવાનો જુના રોસ્ટર ક્રમાંક 7ને બદલે નવા રોસ્ટર ક્રમાંક 100 પરની જગ્યા પર દાવેદારી નોંધાવી શકશે. અર્થાત સરકાર 100 જગ્યાઓ બહાર પાડશે અને સરકારમાં 100 જગ્યાઓ ખાલી હશે તો રોસ્ટર ક્રમાંકમાં અગાઉ 7મી જગ્યાએ દાવો નોંધાવનાર આ ઉમેદવાર હવે 100 નંબરના ક્રમ પર ધકેલાઈ જશે. એટલે બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે ક્લાસ વન, ક્લાસ ટુ કે વિશેષ જગ્યાઓ જ્યાં 100 કરતાં ઓછી ભરતીઓ આવતી હોય છે ત્યાં દાવેદારી કરવાના દરવાજા આ વર્ગ માટે બંધ થઈ જવાના છે.
તે જ રીતે સમૂહ બે માં આવેલી 18 જાતિઓને ૯ ટકા લેખે લાભ આપવાની જાહેરાત પણ છેતરામણી છે. એટલા માટે કે અગાઉ જુના રોસ્ટરમાં 7માં ક્રમે દાવેદારી નોંધાવનાર આ સમૂહના ઉમેદવાર હવે પછી 11મી કે 12મી જગ્યા પર પોતાની દાવેદારી નોંધાવી શકશે.
એ જ રીતે સમૂહ ત્રણમાં આવેલી 26 જાતિઓને 5% અનામત ફાળવતા આ સમૂહની જાતિનો ઉમેદવાર અગાઉ જુની રોસ્ટરના 7માં ક્રમાંકને બદલે હવે નવા રોસ્ટરની 20 મી જગ્યા પર દાવેદારી નોંધાવી શકશે.
આમ એકંદરે તેલંગણાની કોંગ્રેસ સરકારે અનુસૂચિત જાતિની પેટા વર્ગીકરણને લાગુ પાડી અનુસૂચિત જાતિના યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ તો મૂકી જ દીધું છે પરંતુ ઉચ્ચ કક્ષાની ક્લાસ વન ક્લાસ ટુ તેમજ યુનિવર્સિટીઓની પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર જેવી વિશેષ જગ્યાઓ પર દાવેદારી કરવાના દરવાજા હંમેશને માટે બંધ કરી દીધા છે.
આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ
આટલું ઓછું હોય તેમ રાહુલ ગાંધીની કોંગ્રેસ સરકારે અનુસૂચિત જાતિમાં ક્રિમિલેયર લાગુ કરવાની ભલામણ કરીને પણ અનુસૂચિત જાતિના યુવાનોના ભવિષ્ય પર કુઠારાઘાત કર્યો છે.
ભારતીય બંધારણના આર્ટિકલ 15 તેમજ આર્ટિકલ 15 ના વિવિધ પેટા આર્ટિકલ થકી સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ધર્મ, નસ્લ, જાતિ, લિંગ તેમજ જન્મસ્થાનને ધ્યાને લઈને સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
આ આર્ટીકલના આધારે ભારતમાં અનુસૂચિત જાતિ(SC), અનુસૂચિત જનજાતિ(ST) અને અન્ય પછાત વર્ગ(OBC)ના લોકોને નોકરીઓમાં પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈઓ માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.
ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતીય સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં લઈને જાતે આધારિત થતા ભેદભાવને ધ્યાને રાખી પ્રતિનિધિત્વ આપવાની વાત કરી છે. ભારતીય બંધારણમાં ક્યાંય પણ ક્રિમિલેયર અંગે ઉલ્લેખ નથી, પરંતુ જાતિવાદી માનસિકતાથી ખદબદતી આ સરકારી વ્યવસ્થા અને ન્યાયતંત્ર તરફથી બંધારણની વિભાવનાને વિરુદ્ધમાં આર્થિક આધાર અર્થાત ક્રિમિલેયરને લાગુ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?
ભારતીય જનતા પાર્ટીની સરકારે 103મો બંધારણીય સુધારો 2019 લાગુ કરી EWS અનામત માટે દરવાજા ખોલી નાખ્યા છે. અને આજે ભાજપના નકશે કદમ પર ચાલીને તેલંગાણાની કોંગ્રેસ સરકાર પણ અનુસૂચિત જાતિની અનામતોમાં ક્રીમી લેયર લાગુ કરવાની ભલામણ કરી રહી છે.
ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે ચૂંટણીઓ વખતે બંધારણ માથે લઈને બંધારણ બચાવોની બૂમો પાડતા કોંગ્રેસના આ મુખિયા રાહુલ ગાંધીને તેમના જ પક્ષની સરકાર દ્વારા અનુસૂચિત જાતિના યુવાનોના ભવિષ્યને બરબાદ કરનાર પેટા વર્ગીકરણને લાગુ કરવાના અને ક્રિમિલેયરની ભલામણ કરવાના નિર્ણય બાબતે શું ખબર નહીં હોય? કે પછી કોંગ્રેસના હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ અલગ છે? તેલંગાણામાં કોંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે જે પગલું ભર્યું છે તેનાથી એ સાબિત થઈ ગયું છે કે, કોંગ્રેસ પણ અન્ય સવર્ણ પાર્ટીઓની જેમ દલિતોના હકોને ખતમ કરવામાં પુરેપુરું યોગદાન આપી રહી છે. અને એટલે જ દેશના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજે કોંગ્રેસના આવા બેવડાં ધોરણોથી ચેતી જવું જોઈએ. કોંગ્રેસ ભૂતકાળમાં પણ દલિત-આદિવાસી-ઓબીસી વિરોધી હતી અને આજે પણ એ જ છે, તે તેલંગાણામાં લાગુ થયેલા એસટી પેટા વર્ગીકરણ પરથી સાબિત થાય છે.
પી. એલ. રાઠોડ (બામસેફ/BSP કાર્યકર્તા, અમદાવાદ)
આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસ બંને અનામત વિરોધી છે, વિશ્વાસ ન કરશોઃ Mayawati
*બહુજન સમાજ કે દલિતોમાં એકતાનો સંપૂર્ણ અભાવ છે! તેનો લાભ આપણે સામેથી મનુવાદી, બ્રાહ્મણવાદી ક્રૂરનીતિ કરનારાને આપીએ છીએ. આપણાં સૌનો પનારો પડ્યો છે! એટલે કોંગ્રેસ કે બીજેપી ખરાબ છે એવું મંતવ્ય રજૂ કરવું તે યોગ્ય લાગતું નથી. એટલે સૌ પ્રથમ સમગ્ર દેશના દલિતોએ એક બેનર હેઠળ ભેગા થવું બહુજ મહત્વનુ છે! જયભીમ જય સંવિધાન!