ચંદુ મહેરિયા
Manyavar Kanshi ram birthday special: બાબાસાહેબ ડો.આંબેડકરે દલિતોને ‘હુકમરાન સમાજ’ બનાવવાનું જે સોણલું જોયું હતું તેનો જ્ઞાતિવાદથી ખદબદતી હિંદી પટ્ટીમાં અમલ કરાવી જાણનાર રાજનેતા એટલે માન્યવર કાંશીરામ (જન્મ 15મી માર્ચ, ૧૯૩૪, અવસાન 9મી ઓકટોબર, ૨૦૦૬). ભારતના દલિત ચળવળના ઈતિહાસ પર અમીટ છાપ મૂકી જનાર કાંશીરામ (Kanshi Ram) ની સૌથી મોટી ઓળખ બહુજન સમાજ પાર્ટી(BSP)ના સ્થાપક અને દેશની બહુજન રાજનીતિના જનકની છે.
૧૯૩૨ના પૂના કરારના બે વરસ બાદ પંજાબના દલિત રૈદાસી શીખ પરિવારમાં કાંશીરામ(Kanshi Ram) નો જન્મ થયો હતો. તેમનું જન્મસ્થળ પંજાબના હોંશિયારપુર ઈલાકાના રોપડ જિલ્લાનું ખવાસપુર ગામ. ખાધેપીધે સુખી દલિત ખેડૂત પરિવારના બાળક-કિશોર કાંશીરામને ન તો જ્ઞાતિપ્રથાનો કે ન તો ગરીબી-અભાવનો કોઈ અનુભવ થયો હતો. ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું તેમનું કુટુંબ જેમ આર્થિક તેમ શારીરિક તાકાતે પણ સંપન્ન હતું. બાળપણથી જ ‘કોઈની શું મજાલ કે અમને હાથ લગાડી શકે’ એવી તાકાત મળી હતી. નાત બિરાદરીના પહેલા સાયન્સ ગ્રેજ્યુએટનું બહુમાન મેળવનાર માન્યવર કાંશીરામ (Kanshi Ram) પણ અન્ય દલિતોની જેમ સરકારી નોકરીમાં લાગી ગયા હતા.
૧૯૫૬માં બાબાસાહેબના નિર્વાણના શોકે સહકાર્યકર ગૈનીને ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા ના જોયા ત્યાં સુધી તેમને બાબાસાહેબનો પણ કશો પરિચય નહોતો. ૧૯૫૮માં પંજાબથી વાયા દહેરાદૂન પૂનામાં તેઓ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મિલિટરી એક્સ્પ્લોઝીવમાં સંશોધન અધિકારીના પદે નોકરીમાં હતા. ૧૯૬૪માં તેમના સંસ્થાને જાહેર રજાઓની યાદીમાંથી ડો. આંબેડકર અને ગૌતમ બુધ્ધ જયંતીની જાહેર રજાઓ રદ કરી નાખી. ૧૯૫૬માં 22 વરસના કાંશીરામને ડો.આંબેડકરના જીવનકાર્યનો પરિચય થયો હતો. પરંતુ તેના એકાદ દાયકે પણ આ જાહેર રજાઓની કમીના વિરોધમાં અવાજ ઉઠાવવા જેટલા એ જાગ્રત અને સક્ષમ નહોતા. રાજસ્થાની દલિત એવા સંસ્થાનના વર્ગ ૪ના કર્મચારી દીના ભાણા (Dina Bhana) એ આ નિર્ણયનો વિરોધ કર્યો અને બરતરફી વહોરી તે ક્ષણ માન્યવર માટે સાક્ષાત્કારની હતી. તેમણે દીના ભાણાનું સમર્થન કર્યું અને તે ઘડીથી દલિત જાગ્રતિ માટે પાછું વળીને જોયું નહીં. દીના ભાણાને ન્યાય અપાવવા તે એવા તો લાગી ગયા કે નોકરીને પણ તિલાંજલી આપી દીધી અને આજીવન અપરિણિત રહી દલિત ઉત્થાનમાં લાગી જવાના સંકલ્પ સાથે પરિવારનો પણ ત્યાગ કરી દીધો હતો.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BSP એ નવી આશા જન્માવી
દીના ભાણા પ્રકરણ વખતે એક જ રાતમાં ત્રણ વાર ડો.આંબેડકરના ‘એનીહિલેશન ઓફ કાસ્ટ’ નું તેમણે વાચન કર્યું. એ રીતે બાબાસાહેબના વિચારવારસાએ કાંશીરામનો પથ અજવાળ્યો હતો. અનામતજીવી ગણાતી અને નવા બ્રાહ્મણની ગાળો ખાતી દલિત સરકારી અધિકારીઓ-કર્મચારીઓની જમાતને તેમણે દલિત ચળવળ માટે ખપમાં લીધી. ચૌદમી ઓકટોબર ૧૯૭૧ના રોજ કાંશીરામે પૂનામાં દલિત, આદિવાસી, અન્ય પછાત વર્ગો અને લઘુમતી વર્ગના કર્મચારીઓનું ‘બામસેફ’ – પૂના સંગઠન બનાવ્યું હતું. સાઈકલ પર જ એ ફરતા અને પોતાના વિચારો કર્મચારીઓને જણાવતા. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ દિલ્હીમાં ‘બામસેફ’ (ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન- BAMCEF) ની રાષ્ટ્રીયસ્તરે સ્થાપના કરી અને પે બેક ટુ સોસાયટીનો નિયમ સૌને સમજાવ્યો હતો.
આ પણ વાંચોઃ જાતિવાદીઓએ દલિત વરરાજાની જાન રોકી, બસપા નેતાને વટ રાખ્યો
અનામતના લાભાર્થી દલિત-આદિવાસીઓ સાથે તેમણે પછાતવર્ગો-લઘુમતીઓને જોડી બહુજન એકતાની સંકલ્પના કરી હતી. ‘બામસેફ’ ને કાંશીરામ બિનરાજકીય, બિનધાર્મિક અને બિનઆંદોલનાત્મક સંગઠન રાખવા માંગતા હતા. તેથી ૧૯૮૧માં તેમણે કર્મચારીઓ સિવાયના દલિતોને પણ સંગઠનમાં જોડવા DS4 (દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ) ની રચના કરી હતી. કાંશીરામે બામસેફ અને DS4 મારફત પોતાના વિચારોને બૌધ્ધિક અને આંદોલનકારી માર્ગે ફેલાવવા દેશભરમાં પ્રયાસો કર્યા. “ઓપ્રેસ્ડ ઈન્ડિયન” અને “બહુજન સંગઠક” નામક છાપાં- સામયિકો કાઢ્યા. શું આ નામો જ તેમની વિચારધારાના ધ્યોતક નથી?.
કાંશીરામને માત્ર રાજકીય નેતા કે ગઠબંધન રાજનીતિના માહોલમાં અવસરવાદી સત્તાશૂરા તરીકે ખતવી નાખનારાઓએ તેમની આરંભિક અને થોડી મર્યાદિત એવી સામાજિક ચળવળોને પણ સંભારવી જોઈએ. ‘આપણી બુધ્ધિ, આપણો પૈસો અને આપણી મહેનત’ ના સૂત્રે ચાલતા કાંશીરામની ઉત્તરપ્રદેશની ફતેહના મૂળમાં દલિત મહિલાઓનું દારૂબંધી અભિયાન રહેલું છે. માયાવતીની દોમદોમ સાહ્યબીની વાતો માધ્યમોમાં ખૂબ ચગે છે પણ કાંશીરામની સાઈકલ માર્ચ અને ‘બે પૈડાં બે પગ’ ઝુંબેશ વિશે ભેદી મૌન પળાય છે. યોગેન્દ્ર યાદવે તેમના અંજલિ લેખમાં કાંશીરામની સભાઓમાં સભા સ્થળ જેટલી જ મોટી જગ્યા સાઈકલોના પાર્કિંગ માટે રાખવામાં આવતી હોવાનું અને તેમના દલિત ચાહકો કેટલાય કિલોમીટર દૂરથી સાઈકલો પર સભામાં આવતા હોવાનું નોંધ્યું હતું.
जय भीम
pic.twitter.com/rNNRAG0oUh— BSP (@Bsp4u) March 13, 2025
રાજકીય સત્તાને વંચિતો-બહુજનોના સઘળા દુ:ખોની ગુરુચાવી માનતાં કાંશીરામે ‘ભાઈચારા બનાવો’, ‘જાતિ તોડો, સમાજ જોડો’ જેવાં સામાજિક આંદોલનો પણ કર્યા હતા. ‘સામાજિક પરિવર્તન અને આર્થિક મુક્તિ’ કાંશીરામના આંદોલનના અનિવાર્ય ભાગ હતા. રાજકીય અનામતોને કારણે દલિત રાજકારણીઓનો ‘ચમચાયુગ’ જન્મ્યો હોવાનું તેઓ ભાર દઈને કહેતા હતા. તેમણે ચમચાયુગની ટીકા તો કરી છે પણ તેની નાબૂદીના ટૂંકા ગાળાના, લાંબા ગાળાના અને કાયમી ઉપાયો પણ બતાવ્યા હતા.
આ પણ વાંચોઃ શા માટે દલિતો રાજકીય પક્ષો માટે મહોરું બનીને રહી જાય છે?
કાંશીરામે દલિતોને રાજકીય સત્તા તરીકે સ્થાપવા ‘બહુજન સમાજ પાર્ટી’ ની સ્થાપના કરી હતી. તેના પાયામાં બહુજન કર્મચારીઓનું ‘બામસેફ’ સંગઠન હતું તે ભૂલવું ન જોઈએ. જોકે બહુજન સમાજ પાર્ટીને રાજકીય સત્તાનું કેન્દ્ર બનાવવા માટે તેમના સામાજિક-આર્થિક આંદોલનો ભૂલાઈ ગયા એટલે દલિતોને માત્ર રાજકીય સત્તા તરીકે સ્થાપતી મૂલ્યહીન અને વિચારધારા વગરની રાજસત્તા જ કેટલાક વરસોથી શેષ રહી છે.
બહુજન સમાજ પાર્ટીએ કાંશીરામના ગૃહરાજ્ય અને અનેક સામાજિક આંદોલનો પચાવી ચૂકેલા પંજાબ, ફુલે-આંબેડકરની ભૂમિ મહારાષ્ટ્રને બદલે જ્ઞાતિવાદ અને સામંતવાદથી ખદબદતા ઉત્તરપ્રદેશમાં કાઠું કાઢ્યું તેનો માયનો પણ સમજવા જેવો છે. બસપા રાષ્ટ્રીય પક્ષની માન્યતા મેળવી શકી અને યુ.પી.માં માયાવતી એકાધિકવાર મુખ્યમંત્રીનો તાજ પહેરી શક્યા છે, દેશના સૌથી મોટા રાજ્યમાં BSP ને લગભગ ચોથા ભાગના મતદારોનું સમર્થન મળતું થયું અને કાશ્મીરથી અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ કાંશીરામનો કઠિન પરિશ્રમ રહ્યો છે.
“जब आदमी ईमानदारी से काम करता है तो उसके परिणाम भी बेहतर आते है। इसलिए आप लोगो को भी मेरी राय है कि आप लोग भी अपना समय व्यर्थ न गवाए और काम करे। जब तुम ईमानदारी से काम करोगे तो कामयाबी तुम्हे सलाम करेगी।”
~ मान्यवर कांशीराम साहब pic.twitter.com/lA0UNG4HCN
— BSP (@Bsp4u) March 13, 2025
કાંશીરામે ઈચ્છ્યું હોત તો તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કે ભાજપની કૃપાથી રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ તેઓ દલિત સમાજને ‘હુકમરાન સમાજ’ બનાવવા માટે વડાપ્રધાનની ખુરશીથી ઓછું કશું જ ઈચ્છતા નહોતા. ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જેવા જુદી જુદી રાજકીય વિચારધારાના પક્ષો સાથે તેમણે રાજકીય ગઠબંધનો કર્યા હતા. સાપનાથ અને નાગનાથની લડાઈમાં તેઓ દલિત નોળિયારૂપી સત્તા નિયંત્રણ ઈચ્છતા હતા. આંબેડકરની બૌધ્ધિકતા અને જગજીવન રામની અસીમિત રાજકીય સત્તા કરતાં કાંશીરામે જુદો માર્ગ પસંદ કર્યો હતો. એકાદ દસકામાં જ તેમણે બહુજન સમાજ પાર્ટીને દેશભરમાં ગાજતી કરી મૂકી હતી. પરંતુ કાંશીરામ તેનો લોકશાહી ઉછેર કે મૂલ્યલક્ષી વિચારધારાવાળી રાજકીય પાર્ટી તરીકેનો વિસ્તાર કરી શક્યા નહીં. તેઓએ માયાવતીને ઉત્તરપ્રદેશના રાજપથ પર સ્થાપ્યાં અને પોતાના રાજકીય ઉત્તરાધિકારી પણ બનાવ્યાં હતાં. જોકે માયાવતીની મહત્વાકાંક્ષાઓ અને રાજકીય પ્રોઢિનો અભાવ કાંશીરામના અધૂરા કાર્યને આગળ ધપાવશે કે કેમ એવો સવાલ બસપાની વર્તમાન હાલતા જોતાં તેના સમર્થકો અને ચાહકોને થાય છે.
ભારતની દલિત રાજકીય ચળવળોનો ‘ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ થી આરંભાયેલા ઈતિહાસને કાંશીરામ ‘બહુજન સમાજ પક્ષ’ સુધી લાવ્યા છે. બહુજન સુપ્રીમો તરીકે જ નહીં, દલિત ચેતના કે શક્તિનું રાજકીય તાકાતમાં, રાજસત્તામાં રૂપાંતર કરનાર અને તે માટે અનામતલાભાર્થીઓનો યોગ્ય ઉપયોગ કરી જાણનાર વિચારક તરીકે પણ કાંશીરામ કાયમ યાદ રહેશે.
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચોઃ ‘દીના, તને 14મી એપ્રિલની જાહેર રજા અને નોકરી બંને અપાવીશ..’