આંબલીયાળાના દલિત યુવકને જીવતો સળગાવનારને આજીવન કેદ

ગીર સોમનાથના આંબલીયારીના દલિત યુવક ભરત ગોહેલને જીવતો સળગાવી દેવાના કેસમાં આરોપી દેવાયત જોટવાને વેરાવળ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
dalit atrocity

કાયદો જ્યારે કાયદાનું કામ કરે છે ત્યારે ભલભલાં દાદાઓની દાદાગીરી અને ગુંડાગીરી સોંસરી નીકળી જતી હોય છે. ડો.આંબેડકરે સાચું જ કહ્યું હતું કે, કાયદો અને બંધારણ કાગળ પર ગમે તેટલું મજબૂત હોય પરંતુ તેનું પાલન કરનારા લોકો જ્યાં સુધી તેનો યોગ્ય અમલ નહીં કરે ત્યાં સુધી તેની ધારી અસર કદી નહીં થાય. એટ્રોસિટીના કેસોમાં આરોપીઓ દ્વારા દલિતો પર જઘન્ય અત્યાચારો કરવામાં આવતા હોય છે અને છતાં અનેક કેસોમાં તેઓ નિર્દોષ છૂટી જાય છે. પણ જ્યારે કાયદો તેની રીતે સાચી દિશામાં કામ કરે ત્યારે પીડિતોને જે ન્યાય મળતો હોય છે તે ખરાં અર્થમાં તેમને ન્યાય મળ્યાનો અનુભવ કરાવે છે.

કંઈક આવો જ ન્યાયનો અનુભવ હાલ વર્ષ 2018માં સવર્ણ ગુંડાઓના અત્યાચારનો ભોગ બનેલા ગીર સોમનાથ જિલ્લાના આંબલીયાળા ગામના યુવક ભરત ગોહેલના પરિવારજનો અનુભવતા હશે. અનુસૂચિત જાતિના નિર્દોષ યુવાન ભરત ગોહેલને જીવતો સળગાવી દેવાના કેસમાં આરોપી દેવાયત જોટવાને વેરાવળની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
વેરાવળ સેશન્સ કોર્ટનો મજબૂત ચૂકાદો

આ પણ વાંચો:  આખા રાજ્યમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓને તાળાં મારવા પડ્યાં

વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસમાં પોતાનો ચૂકાદો આપતા આરોપી દેવાયત જોટવાને આઈપીસીની કલમ 302 અને 435 હેઠળ દોષી ઠેરવી કલમ 302 હેઠળ આજીવન સખત કેદ અને કલમ 435 હેઠળ સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ. 25000 દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ નિયત સમયમર્યાદામાં ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 235(2) મુજબ ફરમાવવામાં આવી છે. કોર્ટે આરોપીને બંને સજા એક સાથે ભોગવવા હુકમ કર્યો છે.

ઘટના શું હતી?

ગીર સોમનાથ જિલ્લાના આંબલીયાળા ગામના દલિત યુવક ભરત ગોહિલે મનોજ પ્રેમજીભાઈ નામના શખ્સ પાસેથી રૂ. 3.30 લાખમાં કાર ખરીદી હતી. જેના બાકી નીકળતા રૂ. 50 હજાર તા. 5-5-2018ના રોજ આપવાનું નક્કી થયું હતું. પરંતુ આરોપી તે પહેલા જ તેની ઉઘરાણી કરવા લાગ્યો હતો.

આ પણ વાંચો: એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ

એ પછી તેણે તેના બનેવી ભગવાન ભીમજી વાઘેલા અને જયેશ ભેડા મારફત ટેલિફોન પર ઉઘરાણી કરી જાનથી મારી નાખી કાર સળગાવી દેવાની ધમકી આપી હતી. જેને લઈને મૃતક ભરત ગોહિલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી. જેની દાઝ રાખીને આરોપીઓ ભરત ગોહિલને મારી નાખવાનો મોકો શોધતા ફરતા હતા.

રાત્રે કાર રોકી હુમલો કર્યો

તા. 23 ફેબ્રુઆરી 2018ના રોજ રાત્રે ભરત ગોહિલ પોતાની કાર લઈને વેરાવળથી તાંતીવેલા ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે આહિર સમાજની વંડી પાસે બે લોકોએ તેમની કાર ઉભી રખાવી હતી. ભરતભાઈને એમ હતું કે તેમને લિફ્ટ જોઈતી હશે, આથી તેમણે કાર ઉભી રાખી હતી. પણ એ પછી બંને આરોપીઓએ તેમને પૂછ્યું હતું કે, “તું દેવાયત જોટવાને ઓળખે છે? તે મારો ભાઈ થાય છે.” એમ કહીને બંને આરોપીઓએ ભરતભાઈના કાઠલો પકડીને કારમાંથી બહાર ખેંચી કાઢ્યા હતા અને “તેમને દેવાયત જોટવા વિરુદ્ધ કેમ અરજી કરી છે, આજે તો તને પતાવી દેવાનો છે ઢે#@” કહી જાતિસૂચક ગાળો ભાંડી ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. આરોપીઓએ ભરતભાઈના ખિસ્સામાંથી રૂ. 500 કાઢી લીધા હતા અને ઝપાઝપીમાં તેમનો ફોન પણ પડી ગયો હતો.

કારને સળગાવી દીધા બાદ ભરતભાઈને સળગાવ્યા

એ દરમિયાન એક શખ્સ દૂર ઉભો હતો અને તેના હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું કેન હતું. જે તેણે ભરતભાઈની કાર પર છાંટીને આગ ચાંપી દીધી હતી. એ પછી આરોપીઓએ ભરતભાઈને છોડી મૂકતા તેઓ જીવ બચાવવા વેરાવળ તરફ ભાગ્યા હતા. એ દરમિયાન આરોપીઓએ સળગતો કાકડો ભરતભાઈ પર ફેંકતા તેઓ પણ સળગાવા લાગ્યા હતા. આગમાં તેઓ ગંભીર રીતે દાઝી જતા વેરાવળ, જૂનાગઢ અને પછી રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જો કે, તેમણે પોલીસને તેમનું નિવેદન નોંધાવી દીધું હતું અને તેના આધારે આરોપીને સખત કેદની સજા થઈ શકી હતી.

આ પણ વાંચો: ‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં SC-ST-OBC યુવકોને અન્યાય થાય છે?
0
Would love your thoughts, please comment.x
()
x