ડો.બાબાસાહેબ આંબેડકરના વતન મહારાષ્ટ્રમાં મહાર જાતિના એક દલિત યુવક પર મરાઠા લોકોએ હુમલો કરી દીધો. દલિત યુવકનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પડોશમાં રહેતા દલિત કિશોરને બીમાર હોવાથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તેની આ મદદ કરવાની ભાવના જાતિવાદી તત્વોને ગમી નહોતી અને તેમણે યુવકના ઘરે આવીને તેને લોખંડના સળિયા, લાકડીઓથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. એટલું જ નહીં, જાતિવાદી તત્વો યુવકના ઘરમાંથી ઘરેણાં, રોકડ રકમ પણ લૂંટી ગયા હતા.
મામલો મહારાષ્ટ્રના બીડ જિલ્લાના શિરૂર કાસાર તાલુકાના શિરાપુર ગટ ગામનો છે. અહીં દલિત યુવક વૈભવ ખાંડગલે અને તેના પરિવાર પર મરાઠા જાતિના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. વૈભવ પર આ હુમલો ફક્ત એટલા માટે કરવામાં આવ્યો, કારણ કે તેણે પડોશમાં રહેતા એક દલિત કિશોરને મદદ કરી હતી.
વૈભવ ખાંડગલે 4 જૂનના રોજ સાંજે 6 વાગ્યે પોતાની ઓફિસથી ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પડોશમાં રહેતા દલિત કિશોરની તબિયત ખરાબ હતી અને કોઈ તેને મદદ કરી રહ્યું નહોતું. આથી વૈભવ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયો હતો અને તેની સારવાર કરાવી હતી. સાંજે 7:30 વાગ્યે જ્યારે તે ઘરે પાછો ફર્યો અને બહાર બેઠો હતો, ત્યારે 10-12 મરાઠાઓ અચાનક કારમાં તેના ઘરે ધસી આવ્યા અને તેના પર હુમલો કરી દીધો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, હુમલાખોરોમાં વૈભવના કેટલાક જૂના સહાધ્યાયી પણ હતા.
આ પણ વાંચો: બ્રાહ્મણ દુકાનદારે 5 દલિત બાળકોને નગ્ન કરી ગામમાં ફેરવ્યા?
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ વૈભવને જાતિસૂચક ગાળો ભાંડી કહ્યું, “આ મહારો બહુ ઘમંડી થઈ ગયા છે. આને પૈસાનો બહુ પાવર છે.” એ પછી તેમણે વૈભવને લોખંડના સળિયાથી માર માર્યો, તેના પાકીટમાંથી રૂ. 8000 હજાર લૂંટી લીધાં અને ઘરની અંદરથી તેની માતાના સોનાના દાગીના પણ ચોરી લીધા. મરાઠાઓએ વૈભવને રસ્તા વચ્ચે ઢસડીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઘટના બની ત્યારે 200 થી વધુ લોકો ત્યાં હાજર હતા પણ કોઈ વૈભવને બચાવવા આવ્યું નહોતું.
જ્યારે વૈભવના માતાપિતાને આ મામલાની જાણ થઈ ત્યારે તેઓ તરત ઘરે પહોંચી ગયા અને તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આરોપીઓએ તેમને પણ જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો હતો. આરોપીઓએ સમગ્ર દલિત સમાજનો સામાજિક બહિષ્કાર કરવાની ધમકી આપી હતી.
વૈભવના ભાઈ ધનંજયે કહ્યું, “જ્યારે પરિવાર વૈભવને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મરાઠાઓ રસ્તો રોકી દીધો હતો. મેં રાત્રે 8:17 વાગ્યે પોલીસ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો પરંતુ મદદ ન મળી. મધરાત સુધીમાં વૈભવને બીડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અમારા ગામમાં દલિત સમાજના ફક્ત 4-5 ઘરો છે. મોટાભાગના ઘરો મરાઠાઓના છે, જેના કારણે તેઓ પ્રભુત્વ ધરાવતા હોવાથી દલિતો અન્યાય સામે બોલાવી હિંમત કરી શકતા નથી.
હુમલાની ગંભીરતા હોવા છતાં હોસ્પિટલ વહીવટીતંત્રે મેડિકો-લીગલ કેસ (MLC) નોંધ્યો ન હતો. પોલીસ અધિક્ષક (SP) ની ઓફિસ નજીક હોવા છતાં કોઈ તપાસ કરવામાં આવી ન હતી. જ્યારે પોલીસ આવી ત્યારે પણ તેમના અધિકારીઓએ પીડિત સાથે અસંવેદનશીલતાથી વાત કરી. વૈભવનો ચહેરો સૂજી ગયો હતો અને તે આઘાતને કારણે બોલી શકતો ન હતો પરંતુ બીજા દિવસે હોસ્પિટલે વૈભવને તપાસ્યા વિના રજા આપી દીધી – જે દર્શાવે છે કે તેઓ FIR ટાળવા માંગતા હતા.”
આ પણ વાંચો: જ્યારે જજે કહ્યું, ‘પીડિતા પાસે રાખડી બંધાવે તો જામીન આપું’
બીજા દિવસે પરિવારને શિરુર કાસર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, પરંતુ PSI અને PI ના આવવા માટે સાંજે 5 વાગ્યા સુધી રાહ જોવામાં આવી. શરૂઆતમાં પોલીસે FIR નોંધવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ દબાણ બાદ, રાત્રે 8 વાગ્યે FIR નોંધવામાં આવી. દરમિયાન, આરોપીઓના પરિવારોએ દલિત નેતાઓ સાથે હાથ મિલાવ્યા અને પોલીસની હાજરીમાં ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું.
જવાબમાં મુખ્ય આરોપીની પત્નીએ રાત્રે 11 વાગ્યે ખોટો વળતરનો કેસ દાખલ કર્યો. તેણીએ દાવો કર્યો કે તે જ દિવસે રાત્રે 8 વાગ્યે, વૈભવ, તેના પિતા અને અન્ય એક દલિત યુવકે તેણીને ધમકી આપી અને તેના ઘરમાંથી ₹50,000 ચોરી લીધા. પરિવાર કહે છે કે આ SC/ST કાયદા હેઠળ કેસને નબળો પાડવાનું કાવતરું છે. ખાંડગલે પરિવારે પોલીસ પર ઉચ્ચ જાતિના આરોપીઓની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓ SC/ST (અત્યાચાર નિવારણ) કાયદા, 1989 હેઠળ તાત્કાલિક કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી