Mass burial fair of tribals : ઉત્તર ગુજરાતનો આદિવાસી સમાજ આજે અંબાજીના કોટેશ્વર ખાતે યોજાતા નવહતીના મેળામાં પોતાના મૃતક સ્વજનોના સામૂહિક અસ્થિ વિસર્જન માટે ભેગો થયો હતો. દર વર્ષે ફાગણ વદ તેરસે ભરાતા આ મેળામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આદિવાસી સમાજ પોતાના મૃતક સ્વજનોના અસ્થિ વિસર્જન માટે એકઠો થાય છે અને સ્વજનોની યાદમાં આક્રંદ કરે છે.
અંબાજીના કોટેશ્વર ખાતે આસ્થા સાથેનો આ શોકમેળો આજે વહેલી સવારથી શરૂ થયો હતો. જે દર ફાગણવદ તેરસના રોજ ભરાય છે. આ મેળો અંબાજી પાસેના કોટેશ્વર ખાતે ભરાય છે. આ નવહતી મેળામાં આદિવાસી સમાજે પોતાના મૃતક સ્વજનોની યાદમાં ભારે આક્રંદભર્યું રૂદન કર્યું હતું.

કોટેશ્વર ખાતે ભરાતા આ નવહતીના મેળામાં આદિવાસી સમાજ પોતાના સ્વજનોના સામુહિક અસ્થિ વિસર્જન કરવા આવે છે. આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિના ફૂલ સાચવી રાખવામાં આવે છે, અને નવહતીનો મેળો ભરાય ત્યારે કોટેશ્વરમાં આવેલી સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનવાળા ગૌમુખ કુંડમાં સામુહિક વિસર્જન કરવામાં આવે છે. જેમાં ઉત્તર ગુજરાત ઉપરાંત આસપાસના ત્રણ રાજ્યોમાંથી આદિવાસી સમાજ આવી પહોંચે છે.
આ પણ વાંચો: મોદી દેશ-વિદેશમાં ફરે છે, મણિપુર કેમ નથી જતા?
બનાસકાંઠા, સાબરકાંઠા સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના આદિવાસીઓ અહીં પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે. આદિવાસી સમાજમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.
અંબાજીના કોટેશ્વર ખાતે ભરાતા આ નવહતીનો મેળો મોટી આસ્થા સાથે જોડાયેલો છે. જ્યાં આદિવાસી લોકો સ્વજનોના અસ્થિ વિસર્જન કરી તેમને યાદ કરે છે. સામાન્ય રીતે આદિવાસી સમાજને હોળી આસપાસ યોજાતા મેળાઓમાં મહાલતો જોવો એક અલગ જ લહાવો છે. પણ કોટેશ્વરનો આ મેળો શોકનો મેળો છે અને અહીં આવતા લોકો હર્ષ સાથે નહીં પરંતુ પોતાના સ્વજનોને યાદ કરવા માટે, તેમના અસ્થિઓના વિસર્જન માટે આવે છે.
અગાઉ આ મેળો બે દિવસ સુધી ભરાતો હતો. પણ તેમાં અસામાજિક તત્વોની રંજાડ વધતા તેને ટૂંકાવીને એક દિવસનો કરી દેવામાં આવ્યો છે. સામાન્ય મેળાઓથી વિરુદ્ધ આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ વગેરે પણ ઓછા જોવા મળે છે. આ એટલું ખરું કે, મોજમસ્તીથી પ્રકૃતિ સાથે જીવન જીવતો આદિવાસી અહીં સ્વજનોને યાદ કરીને રડતો જોવા મળે છે.
આ પણ વાંચો: દલિત વૃદ્ધને મહિલાઓ સામે નગ્ન કરી મોં પર પેશાબ કર્યો