Mayur Nadia passes away: ગુજરાત અને ગુજરાતીઓ જ્યાં પણ વસે છે, ત્યાં જો કોઈ વરઘોડો, લગ્ન પ્રસંગ, ડીજે પાર્ટી હોય તો તમને આટલા ગીતો ચોક્કસ સાંભળવા મળશે. જરા આ યાદી પર નજર કરો,
રોણા શેરમા રે…
અમે ગુજરાતી લહેરી લાલા…
છોટે રાજા…
મોજમાં રે મોજ માં….
હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી…
તું તો ગાડીમાં કોલેજ જાય…
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે…
આ તો મારી આબરૂનો સવાલ…
મહોબત ખપે બીજું કંઈ ન ખપે…
આ તમામ ગીતો ગુજરાતી પોપ જગતમાં સુપરડુપર હિટ ગણાય છે. યુટ્યુબ પર આ દરેક ગીતના 300-400 મિલિયન વ્યૂઝ છે. જી હા…300-400 મિલિયન. ગુજરાતી સંગીત જગતમાં જ્યારે કોઈ મિલિયનના આંકડા સુધી પહોંચવાનું વિચારી પણ શકતું નહોતું ત્યારે દલિત સમાજમાંથી આવતા એક તદ્દન સાધારણ લાગતા યુવકે ગુજરાતીઓને મિલિયનનો આંકડો બતાવ્યો હતો. આજની તારીખે મિલિયન તો દૂર, 1 લાખ વ્યૂઝ સુધી પહોંચતા અર્બન ગુજરાતી ગીતો દમ તોડી દે છે ત્યારે એક 30 વર્ષનો દલિત યુવક ઈતિહાસ પર ઈતિહાસ રચી રહ્યો હતો અને તેનું નામ હતું મયૂર નાડિયા.
કમનસીબે બરાબર 14મી એપ્રિલે માત્ર 35 વર્ષની ઉંમરે મયૂર નાડિયાનું અવસાન થયું. તેની સંગીત કરિયર બરાબર મધ્યાહને તપતી હતી, એ જ વખતે કાર્ડિયાક અરેસ્ટથી મયૂરનું નિધન થતાં ગુજરાતી સંગીત જગત સ્તબ્ધ થઈ ગયું છે. અત્યાર સુધી વિક્રમ ઠાકોરથી લઈને કિંજલ દવે, ગીતા રબારી, કાજલ મહેરિયા, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ, વિજય સુંવાળા, દેવ પગલી, સહિતના કલાકારોના ગીતમાં મયૂર નાડિયાનું સંગીત સફળતાની સો ટકા ગેરંટી ગણાતું હતું. પણ હવે આ તમામ કલાકારોએ પોતાના ગીતોની સફળતા માટે નવેસરથી એકડો ઘૂંટવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.
આ પણ વાંચોઃ ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની

મયૂર નાડિયાનું સંગીત કેટલું લોકપ્રિય હતું તેનો અંદાજ જો તમારે મેળવવો હોય તો તેણે સંગીતબદ્ધ કરેલા ગીતોના માત્ર યુટ્યુબ પર કેટલા વ્યૂઝ છે તેના પર નજર કરશો તો પણ સમજાઈ જશે. યુટ્યુબ પર ગુજરાતી ગીતોમાં સૌથી વધુ જોવાયેલું ગીત ગીતા રબારનું જ ‘રોણા શેરમાં રે…’ છે. રોણા શેરમાં ગીત યૂટ્યૂબ પર અધધધ… 593 મિલિયનથી વધારે એટલે કે 59 કરોડથી વધારે લોકોએ જોયું છે.
કિંજલ દવેને સ્ટાર બનાવવામાં મયૂર નાડિયાના સંગીતનો સિંહફાળો છે. તેના ‘અમે ગુજરાતી લેરી લાલા…’ ગીતના યુટ્યુબ પર 147 મિલિયન વ્યૂઝ છે. જ્યારે ‘છોટે રાજા’ ગીતના 397 મિલિયનથી વધુ વ્યૂઝ છે.
ગાયક દેવ પગલીએ ગાયેલું ‘મા મારી આબરૂનો સવાલ’ ગીત પણ મયૂર નાડિયાએ સંગીતબદ્ધ કરેલું. તેના હાલ યૂટ્યૂબ પર 161 મિલિયનથી વધારે વ્યૂઝ છે.
આ પણ વાંચોઃ ‘ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી Prime Minister નહીં બન સકતા..’

જિજ્ઞેશ કવિરાજે ગાયેલું ‘હાથમાં વ્હિસ્કી’ ગીત પણ લોકપ્રિય થયું હતું, જે મયૂર નાડિયાએ જ સંગીતબદ્ધ કર્યું હતું. તે 231 મિલિયનથી વધુ દર્શકોએ નિહાળ્યું છે.
આમ મયૂર નાડિયા એકમાત્ર સંગીતકાર હતા, જેણે ગુજરાતી ગાયક કલાકારોને મિલિયનોમાં વ્યૂઝ અપાવી ઘર ઘર સુધી જાણીતા કર્યા.
લગ્નમાં બેંડવાજા વગાડતા મયૂરે ગુજરાતને નાચતું કર્યું.
આ પણ વાંચોઃ મુસ્લિમો પ્રત્યે નફરત હિન્દુ બાળકોનો સ્વભાવ બની રહી છે, તમને ફરક પડે છે?
મયૂર નાડિયાનો જન્મ અમદાવાદના નરોડામાં થયો હતો. તેઓ લગ્નમાં બૅન્ડવાજામાં વગાડતા હતા અને ધીમેધીમે સંગીતની દિશામાં આગળ વધ્યા હતા. તેમના પિતા પણ સંગીત સાથે સંકળાયેલા હતા અને પરિવારમાં પણ સંગીતનો માહોલ હતો. મયૂર નાડિયાએ સંગીતનો કોઈ ચોક્કસ તાલીમ લીધી નહોતી પણ તેની કોઠાસૂઝ ગજબની હતી અને આપમેળે બધું શીખતા રહ્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં તેમનો શિવધારા સ્ટુડિયો આવેલો છે જ્યાં તેઓ રાતદિવસ જોયા વિના કામ કરતા રહેતા હતા. મયૂર નાડિયાએ લાઇવ કાર્યક્રમો પણ ખૂબ આપ્યા હતા. તેમણે અન્ય સંગીતકાર સાથે સહાયક સંગીતકાર તરીકે પણ કામ કર્યું હતું. અન્યના સ્ટુડિયોમાં જઈને વાજિંત્ર વગાડતા સ્ટુડિયો આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. એક બેન્ડ આર્ટિસ્ટના સંગીત પર આજે આખું ગુજરાત ડોલી રહ્યું છે તે કેટલી મોટી વાત ગણાય?
મિત્ર દેવ પગલીને પણ મયૂરના સંગીતે સ્ટાર બનાવ્યો
ગાયક દેવ પગલી સાથે મયૂર નાડિયાને સારી મિત્રતા હતી. બીબીસી ગુજરાતીની આપેલા ઈન્ટરવ્યૂમાં દેવ પગલીએ કહ્યું હતું કે, “જ્યારે મિલિયન વ્યૂઝની કોઈ કલાકારને ખબર નહોતી ત્યારે મયૂર નાડિયાએ ગુજરાતી સંગીત ઇન્ડસ્ટ્રીને મિલિયનમાં વ્યૂઝ લાવીને બતાવ્યા હતા. હું હોઉં કે જિજ્ઞેશ કવિરાજ કે ગીતા રબારી કે કિંજલ દવે, રાકેશ બારોટ, વિજય સુંવાળા- આ બધાનાં નામ ઊંચકાયાં હોય તો તેમાં મયૂરના સંગીતનો મોટો ફાળો છે. મયૂર માટે તેનાં રાતદિવસ સંગીત જ હતાં. તેનો સ્ટુડિયો તેની દુનિયા હતો. મને યાદ છે એક વખત તેણે એક ગીતના રેકૉર્ડિંગ માટે સવારે ચાર વાગ્યે બોલાવ્યો હતો.”
આ પણ વાંચોઃ ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે

રાઘવ ડિજિટલ અને મયૂર નાડિયાની જોડી હતી
મયૂર નાડિયાને અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા રાઘવ ડિજિટલના ધ્રુવલ સૌદાગર અને દીપક પુરોહિત તથા ગીતકાર મનુ રબારી સાથે જબરી ભાઈબંધી હતી. આ ચાર લોકોએ મળીને ગુજરાતી સંગીત જગતને અનેક લોકપ્રિય ગીતો આપ્યા છે. મનુ રબારીના મોટાભાગના ગીતોમાં મયૂર નાડિયાએ સંગીત આપ્યું છે. જેમાં રોણા શેરમાં, એકલો રબારી, લેરી લાલા, ગામડાનું દિલ વગેરેનો સમાવેશ થાય છે.
બીબીસી ગુજરાતીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મનુ રબારી મયૂર નાડિયા વિશે કહે છે કે, “મેં દોઢસોથી વધારે ગીતો મયૂર માટે લખ્યાં છે. પહેલાં હું ગીત લખતો તેના પર મયૂર સંગીત બેસાડતો. મયૂરની વિશેષતા એ હતી કે ગીત લઈને જઈએ કે તરત એ તેના પર ટ્યૂન બેસાડીને ગીત તૈયાર કરી શકતો. એ ત્વરિત સંગીતકાર હતો. તેની સ્પીડ ગજબની હતી. કોઈ ગીતમાં તે ટ્યૂન સેટ કરીને સંભળાવે અને એ કોઈ કલાકારને માફક ન આવે તો એ બીજી ટ્યૂન પણ તરત જ બનાવી આપે. હું શાંતિથી ટ્યૂન બનાવીશ કે વિચારવાનો સમય જોઈશે એવા કોઈ જવાબ તે ક્યારેય ન આપે.”
ગીતા રબારીને મયૂર નાડિયાના સંગીતે સ્ટાર બનાવ્યા
ગીતા રબારીને રાતોરાત ગુજરાતના ઘરે ઘરે જાણીતા કરવાનો શ્રેય મયૂર નાડિયાને જાય છે. ગીતાબેન કચ્છમાં ડાયરાના કાર્યક્રમો કરતા હતા પણ કચ્છના ગામડાઓ સિવાયનું ગુજરાત તેમના નામથી તદ્દન અજાણ હતું. એ વખતે મનુ રબારીએ લખેલું અને મયૂર નાડિયાએ સંગીતબદ્ધ કરેલું ગીત ‘રોણા શેરમાં રે..’ આવ્યું અને ગીતાબેનની આખી જિંદગી જ બદલાઈ ગઈ.
આ પણ વાંચોઃ Kafalta massacre: જ્યારે 14 દલિતોને સવર્ણોએ જીવતા સળગાવેલા

ગીતા રબારીએ મયૂર નાડિયાને શ્રદ્ધાંજલિ પાઠવતાં ફેસબુક પર લખ્યું હતું કે, “અનેક ગુજરાતી ફિલ્મના સફળ સંગીતકાર એવા ભાઈ મયૂર નાડિયાનું ભરયુવાનીમાં દુઃખદ અવસાન થયું છે, ઈશ્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી કરબદ્ધ પ્રાર્થના.”
જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ સાથે પણ હીટ ગીતો આપ્યા
જિજ્ઞેશ કવિરાજે ગાયેલું હાથમાં છે વ્હિસ્કી.. અને રાકેશ બારોટે ગાયેલું ‘બૈરું ગયું પિયર…’ પણ મયૂર નાડિયાએ સંગીતબદ્ધ કરેલું હતું. આમ ગુજરાતના હાલના મોટાભાગના ગાયક કલાકારોને છેવાડાના ગુજરાત સુધી પહોંચતું કરવામાં મયૂર નાડિયાના સંગીતનો સિંહફાળો હતો. જો આ કલાકારોના ગીતોમાંથી મયૂર નાડિયાના સંગીતની બાદબાકી કરી દેવામાં આવે તો કશું વધતું નથી. કલાકારની ઓળખ તેના અવાજની સાથે કર્ણપ્રિય સંગીત સાથે પણ એટલી જ જોડાયેલી હોય છે અને એટલે જ મયૂર નાડિયાની અણધારી વિદાયથી ગુજરાતી સંગીત જગતને બહુ મોટી ખોટ પડવાની છે.
આ પણ વાંચોઃ ભારતમાં સત્તાધારીઓ કેમ ‘સમ્રાટ અશોક’ થી અંતર જાળવે છે?
ગાયક કલાકાર દેવ પગલી મયૂર નાડિયા વિશે ઝવેરચંદ મેઘાણીને ટાંકીને એક સરસ વાત કરે છે. તેઓ કહે છે, “ઝવેરચંદ મેઘાણી કહેતા કે વગડાનાં ફૂલ દૂર જંગલમાં જ ખીલે અને ખરી જતાં હોય છે. લોકોને તેના વિશે ખબર નથી હોતી. મયૂર નાડિયા વગડાનાં ફૂલ જેવો કલાકાર હતો. લોકોને દેવ પગલી કે જિજ્ઞેશ કવિરાજ કે ગીતા રબારી દેખાય છે, પણ એની પાછળ રહેલા મયૂર નાડિયા ખાસ દેખાતા નથી. પણ એનાથી મયૂરનું મહત્ત્વ ઓછું થતું નથી. વગડાનું ફૂલ પોતાની મહેક આપીને જતું રહ્યું.”
આ લખનારને પણ ‘અભિયાન’ની નોકરી દરમિયાન એક કવર સ્ટોરી માટે મયૂર નાડિયાને મળવાનું થયેલું. આખું ગુજરાત એ વખતે તેના ગીતો ‘રોણા શેરમાં રે’, ‘અમે લહેરી લાલા’, ‘મારું ગોમડાનું દિલ’, ‘હાથમાં છે વ્હિસ્કી’ પર લગ્ન પ્રસંગ, પાર્ટી અને વરઘોડામાં નાચતું હતું. પણ એ માણસના ચહેરા પર તેનું લેશમાત્ર અભિમાન દેખાતું નહોતું. મયૂરે સફળતાને પચાવી જાણી હતી. જે દરેકના ગજાની વાત નથી. દલિત સમાજના મોંઘેરા રતન મયૂર નાડિયાને ભાવભીની શ્રદ્ધાંજલિ.
રિપોર્ટઃ નરેશ મકવાણા
આ પણ વાંચોઃ મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?
Excellent reporting sir.
ओर सह