mission d-3: જે કથિત સવર્ણો પોતાને પ્રગતિશીલ માને છે તેમણે આદિવાસી સમાજ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ બાબતે આજે પણ આદિવાસી સમાજની તોલે કોઈ કથિત સવર્ણ આવી શકે તેમ નથી. હવે આવો જ વધુ એક પ્રગતિશીલ નિર્ણય આદિવાસી સમાજે લીધો છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના બડવાનીના નિમાડમાં મળેલી આદિવાસી સમાજની એક મિટીંગમાં લગ્નોમાં દહેજ, દારૂ અને ડીજે પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. તેને મિશન D-3 (Mission D-3) નામ આપવામાં આવ્યું છે. પહેલા D નો અર્થ દહેજ, બીજા D નો અર્થ દારૂ અને ત્રીજા D નો અર્થ DJ થાય છે. મંગળવારે પાટીના કાતર માતા મંદિર સંકુલમાં આદિવાસી સમાજની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સમાજના આગેવાનો, વડા અને જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આદિવાસી સમાજની આ સમીક્ષા બેઠકમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રોહિત પાટીદારે ભાગ લીધો હતો. સમાજા વડાઓએ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને જણાવ્યું હતું કે ગંભીર કેસ સિવાય, ગામના પટેલ અને સંઘની પરવાનગી વિના દારૂ સહિતના કોઈ કેસમાં ગુનો નોંધવો નહીં, એ પહેલા ગામના વડીલોને જાણ કરવી અને મામલો ત્યાં જ ઉકેલાઈ જશે.
આ પણ વાંચો: નકલી ST સર્ટિફિકેટ કઢાવી બ્રાહ્મણ યુવક Deputy Collector બની ગયો
બધાની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે સામાજિક કાર્યક્રમોમાં દારૂનો ઉપયોગ કરવામાં આવશે નહીં. પિતૃઓ અને ખત્રીજની પૂજા ફક્ત મહુડાના દારૂથી કરવામાં આવશે. તે પણ સરકાર તરફથી મળેલી મુક્તિ જેટલી જ રકમમાં. આનાથી વધુ કોઈ ઉપયોગ નહીં થાય. લગ્નોમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આદિવાસી સમાજ હવે તેમના પરંપરાગત સંગીત વાદ્યો ધુલિયા, ફેપરિયા, માંડલ અને પત્તા વગાડીને નાચશે અને ગાશે. જો કોઈ ડીજે વગાડશે તો પોલીસને જાણ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે કેટલીક શરતો સાથે ડીજે પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આદિવાસી સમાજે લગ્નોમાં તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. જંગલ વિસ્તારોમાં આવેલા ગામડાઓની આર્થિક સ્થિતિ નબળી છે. આવી સ્થિતિમાં, આ ખર્ચ તેમના માટે ભારે બની જાય છે. તેથી મિશન ડી-૩ અમલમાં મૂકવામાં આવ્યું છે.
આ મિટીંગ દરમિયાન આદિવાસી સમાજ સરપંચ સંઘના જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, પટેલ સંઘ તાલુકા પ્રમુખ દેવરામ ચૌહાણ, સામાજિક કાર્યકર હરસિંગ જામરે, રાજેશ આલાવે, ભીખા ખરાટે, સીતારામ નારગણવે, પાટી જિલ્લા પરિષદ પ્રમુખ થાનસિંહ સસ્તે, ગામડાઓના પટેલો, સરપંચો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં