કોઈપણ લોકશાહી દેશ માટે ચૂંટણી સૌથી મહત્વની પ્રક્રિયા ગણાય છે. પરંતુ ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતોની આડમાં લોકશાહીની મુખ્ય પ્રક્રિયા એવી ચૂંટણી અને મતદાનની જ હત્યા કરી દેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો સમરસ ગ્રામ પંચાયત એટલે ગામમાં વર્ચસ્વ ધરાવતી સવર્ણ જાતિઓ દ્વારા દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને લઘુમતીઓને મળેલા મતદાનના બંધારણીય હકની હત્યા માટેનું સુનિયોજિત કાવતરું.
હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી સમરસ ગ્રામ પંચાયતોને લઈને મોટા સમાચાર મળી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં 615 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનાર છે. જે પૈકી 40થી વધુ ગ્રામ પંચાયતો સમરસ બની તેવી શક્યતા છે. જિલ્લામાં સૌથી વધુ કાંકરેજ તાલુકામાં સમરસ ગ્રામ પંચાયતો બને તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ભાભરની ચેમબુવા જૂના અને ચેમબુવા નવા બે ગ્રામ પંચાયતો શુક્રવારે સમરસ બની હતી. દરમિયાન 23 ગ્રામ પંચાયતો ચુંટણી માટે ચોથા દિવસે સરપંચ ઉમેદવાર માટે 22 ફોર્મ ભરાયાં હતા.
અહીં કાંકરેજમાં અંદાજે છ, પાલનપુર થરાદમાં પાંચથી વધુ, લાખણીમાં ત્રણથી વધુ, જ્યારે વાવ, દાંતીવાડા, વડગામ, ભાભર અને સુઈ ગામ તાલુકામાં બે-બે ગ્રામ પંચાયતો સમરસ બનવાનું નક્કી છે. જ્યારે ધાનેરા અને દાંતા તાલુકામાં પણ એક એક પંચાયત સમરસ બને તેવા પ્રયાસો સ્થાનિક વર્ચસ્વ ધરાવતી જાતિના આગેવાનો અને નેતાઓ કરી રહ્યાં છે.
સોમવાર સુધીમાં કેટલી પંચાયતો સમરસ થઈ તે નક્કી થશે
ઉલ્લેખનીય છે કે, તા. 3 જૂન થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી અને હવે સોમવારે 9 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. જે દિવસે કેટલી ગ્રામ પંચાયતો સમરસ બની છે તે નક્કી થઇ જશે. ભાભર તાલુકાની બે ગ્રામ પંચાયતો શુક્રવારે સમરસ બની હતી જેમાં ચેમબુવા જુના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જેવાબેન રાજુભાઇ જોષી અને ચેમબુવા નવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જેઠાભાઈ રામસીંગભાઈ પટેલને ગામ લોકોએ બિનહરીફ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: વોટ આપતી વેળાનું ચિંતન
ચૂંટણી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોથા દિવસે સૌથી વધુ ફોર્મ બેડા અને ચિચોદરા ગામના 4, મેસપુરા -1 , ખારી પાલડી -2, અબાળા -1, તેતરવા -1, દેવ કાપડી -2, તનવાડ -1, ચેમ્બુવા -1, ખડોસણ -2, કારેલા -1, અને અસાણા-2 તેમજ વોર્ડના સભ્યો માટે કુલ 22 ફોર્મ ભરાયાં છે.
બનાસકાંઠાની કેટલી પંચાયતોમાં ચૂંટણી છે?
બનાસકાંઠા જિલ્લાના 615 ગામમાં ચૂંટણી છે જેમાં તાલુકા વાઈઝ સંખ્યા જોઈએ તો પાલનપુરમાં 54, વડગામ 44, દાતા 39, અમીરગઢ 17, ડીસા 60, કાંકરેજ 64, દિયોદર 39, લાખણી 37, ધાનેરા 52, દાંતીવાડા 32, થરાદ 66, વાવ 50, સુઈગામ 27 અને ભાભરમાં 34 પંચાયતોમાં ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાનાર હતી.
સરકાર સમરસ ગ્રામ પંચાયતોને શું લાલચ આપે છે?
સમરસ ગ્રામ પંચાયતો બનવાથી સરકારને ચૂંટણી નથી યોજવી પડતી અને સ્થાનિક ધારાસભ્યો, સત્તાપક્ષના પહોંચેલા નેતાઓ પોતાના મળતિયાઓને જ સરપંચ, ઉપ સરપંચ બનાવતા હોય છે. હવે ધારાસભ્યો પણ સમરસ પંચાયતોને વિશેષ ગ્રાન્ટ આપતા હોય છે. એ સ્થિતિમાં તેનું ગામ પર વર્ચસ્વ રહે તે ફાયદો હોય છે.આ સિવાય સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા આ વિશેષ લાભો અપાય છે. સામાન્ય સમરસના કિસ્સામાં સમરસ પંચાયત પ્રથમ વાર બને તો 5 હજારની વસ્તી સુધી 4.50 લાખ, 25 હજારની વસ્તી સુધી 7.50 લાખ અને બીજીવાર ત્રીજીવાર, ચોથી વાર અને પાંચમી વાર બને તો 13,00,000 ઉપરાંત વિકાસના કામો માટે 3 લાખની સહાય વધારાની મળી કુલ 16 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
આમ ગામ સમરસ બને તો વર્ચસ્વ ધરાવતી જાતિના લોકોને જ તેનો સૌથી વધુ લાભ થતો હોય છે. કેમ કે તેઓ પોતાની ઈચ્છા મુજબ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટ વાપરતા હોય છે. બીજી તરફ દલિતો, આદિવાસીઓ, ઓબીસી કે લઘુમતીઓની સ્થિતિમાં ભાગ્યે જ કોઈ ફરક પડે છે. પરિણામે તેમની સ્થિતિ જેમની તેમ રહે છે. એ રીતે સમરસ ગ્રામ પંચાયત લોકશાહીની હત્યા સમાન છે.
આ પણ વાંચો: કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર