પોતાના રાજકીય સ્વાર્થ માટે એક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા દેશમાં સતત કોમી વૈમનસ્ય ફેલાતું રહે તેની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે ત્યારે કોમી એકતાને મજબૂત કરતું એક સુંદર ઉદાહરણ પંજાબમાંથી સામે આવ્યું છે.
અહીંના મોહાલી જિલ્લાના ઝામપુર ગામના એક મુસ્લિમ યુવકે ગામના હિંદુઓને મંદિર બનાવવા માટે પોતાની માલિકીની રૂ.80 લાખની કિંમતની જમીન 325 વર્ગ ગજ જમીન દાનમાં આપી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ જમીન ગુરુવારે પંજાબના શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવીની હાજરીમાં હિંદુ ધર્મ સભા, ઝામપુરને ઔપચારિક રીતે સોંપવામાં આવી હતી, જેઓ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે સામેલ થયા હતા.

મોહમ્મદ ઈમરાન, જેઓ સ્થાનિક સ્તરે ઈમરાન હેપ્પી તરીકે ઓળખાય છે, તેમણે જણાવ્યું કે ગામમાં હિન્દુ સમાજને પૂજા માટે કોઈ નક્કી કરેલી જગ્યા ન હોવાને કારણે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ઈમરાને કહ્યું કે, “ઝામપુરમાં રહેતા હિન્દુઓ પાસે પોતાની ધાર્મિક જગ્યા બનાવવા માટે કોઈ જગ્યા નહોતી. જ્યારે મારા હિન્દુ ભાઈઓએ પોતાની ચિંતા વ્યક્ત કરી, ત્યારે મેં મારા સંરક્ષક, પંજાબના શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવીનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે શું આપણે મંદિર માટે જમીન આપી શકીએ? શાહી ઇમામજીએ સ્પષ્ટપણે કહ્યું, ‘હા, કેમ નહીં?'”
આ પણ વાંચો: પેટલાદમાં કોન્ટ્રાક્ટરે દલિતોનું સ્મશાન ખોદી નાખતા અસ્થિ બહાર દેખાયા!

તેમણે વધુમાં ઉમેર્યું કે ધાર્મિક સદભાવ પરસ્પર અને એક સરખો હોવો જોઈએ. તેમણે કહ્યું, “જ્યારે ઇસ્લામિક દેશોમાં બિન-મુસ્લિમોની લાગણીઓનું સન્માન કરીને તેમના માટે પૂજાના સ્થળો બનાવી શકાય છે, તો આપણે અહીં આવું કેમ ન કરી શકીએ?” ઈમરાને કહ્યું કે તેમણે મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે પોતાની 325 વર્ગ ગજ જમીન, જેની અંદાજિત કિંમત લગભગ 80 લાખ રૂપિયા છે, તે સનાતન ધર્મ સભાને આપી દીધી છે.
સમારોહ દરમિયાન, ઈમરાન અને શાહી ઇમામ રહમાનીને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ઝામપુરના પ્રમુખ પંડિત રાજા રામ અને હરપ્રીત સિંહ ગિલની સાથે સનાતન ધર્મ સભાની રૂબી સિદ્ધુ પણ સામેલ હતી. સભાને સંબોધતા શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવીએ જણાવ્યું કે પંજાબમાં સાંપ્રદાયિક એકતા અને પરસ્પર સન્માનની એક લાંબી પરંપરા છે. તેમણે કહ્યું કે, “પંજાબમાં નફરત માટે કોઈ સ્થાન નથી. થોડા દિવસો પહેલા જ બે હિન્દુ ભાઈઓ અને એક વૃદ્ધ શીખ માતાએ મસ્જિદ બનાવવા માટે જમીન આપી હતી. આજે મુસ્લિમોએ મંદિર માટે જમીન આપી છે. આ જ પંજાબ અને ભારતની સાચી ભાવના છે.”
આ પણ વાંચો: સવર્ણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવાની હતી, અચાનક લાશ મળી
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની તાકાત તેની વિવિધતામાં એકતામાં રહેલી છે અને કોઈ પણ શક્તિ આ એકતાને તોડી શકશે નથી. શાહી ઇમામે આગળ જણાવ્યું કે ભલે અલગ-અલગ સમુદાયો અલગ-અલગ રીતે પૂજા કરે છે, પરંતુ તેઓ અંતે તો તેઓ એક છે. તેમણે કહ્યું કે, “અમારી પૂજા કરવાની પોતાની રીતો હોઈ શકે છે, પરંતુ સામાજિક રીતે આપણે બધા ભાઈ-બહેન છીએ.
ઇસ્લામના છેલ્લા પેગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ મુસ્લિમોને દરેક દેશના ધાર્મિક સ્થળોનું સન્માન કરવાનું અને તમામ ધર્મોના લોકો – તેમના વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનું સન્માન કરવાનું શીખવ્યું છે. અમને આ શિક્ષાઓને માનીને પંજાબની સામાજિક એકતાને મજબૂત કરવા પર ગર્વ છે.” કાર્યક્રમના અંતે અલગ-અલગ ધર્મના લોકોએ આશા વ્યક્ત કરી હતી કે આ પહેલ આ વિસ્તારમાં વિવિધ ધર્મો વચ્ચે એકતાનું મોડેલ બનશે.
આ પણ વાંચો: હિન્દુ સંગઠનોએ મુસ્લિમ યુવક-દલિત યુવતીના લગ્ન રદ કરાવ્યા!










