હિન્દુ પડોશીનું મોત થતા મુસ્લિમ યુવાનોએ મળીને અંતિમવિધિ કર્યા

એકલા રહેલા હિંદુ પડોશીનું મોત થયા બાદ અંતિમ સંસ્કાર કરે તેવું કોઈ ન હોવાથી મુસ્લિમ યુવાનોએ અર્થીને કાંધ આપીને સ્મશાન સુધી લઈ જઈ અંતિમવિધિ કરી.
Muslims perform funeral for Hindu

જાતિવાદને ઉત્તેજન આપીને પોતાના રાજકીય રોટલાં શેકતા રાજકીય પક્ષોએ ફેલાવેલા કોમી વૈમનસ્યની ખાઈ દિવસને દિવસે વધુ પહોળી થઈ રહી છે ત્યારે આજે વધુ એક કોમી એકતાને મજબૂત કરતા સમાચાર આવ્યા છે. મામલો ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાનો છે. જ્યાં સાંપ્રદાયિક સૌહાર્દ અને માનવતાના દર્શન કરાવતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીંના દેવબંદ વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિના મૃત્યુ બાદ તેની અંતિમ યાત્રાથી લઈને અંતિમવિધિ સુધીની તમામ વિધિઓ મુસ્લિમ સમુદાયના યુવાનો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ધર્મની સીમાઓ કરતા માનવતાનો ધર્મ ઘણો ઉપર છે.

મામલો શું હતો?

સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, દેવબંદના કોહલા બસ્તી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મિકેનિક અજય કુમાર સૈની છેલ્લા 20 વર્ષથી ભાડાના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. અજય કુમાર લાંબા સમયથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા. સારવાર દરમિયાન ગત 27 ડિસેમ્બરના રોજ તેમનું નિધન થયું હતું. અજય કુમારના નિધન બાદ પરિવારમાં કોઈ એવી સક્ષમ વ્યક્તિ નહોતી કે જે તેમના અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી શકે અથવા વિધિવત રીતે તેમને અગ્નિદાહ આપી શકે.

આ પણ વાંચો: હિંદુ રક્ષા દળના કાર્યકરોએ ઘરે ઘરે ફરી તલવારો વહેંચી, 10ની ધરપકડ

પડોશી હિંદુની અર્થીને મુસ્લિમ યુવકોએ કાંધ આપી

આ કપરી પરિસ્થિતિમાં માનવતાનું મૂલ્ય સમજીને સ્થાનિક કાઉન્સિલરના પુત્ર ગુલફામ અંસારી અને તેમના સાથી મિત્રો આગળ આવ્યા હતા. ગુલફામ અંસારી અને તેમના મુસ્લિમ સાથીઓએ નક્કી કર્યું કે તેઓ અજય કુમારને એકલા નહીં છોડે અને એક પડોશી તરીકેની તમામ ફરજો નિભાવશે. તેમણે સાથે મળીને અજય કુમારની અર્થી તૈયાર કરી હતી. ત્યારબાદ, ગુલફામ અને તેના સાથીઓએ અર્થીને પોતાના ખભા પર ઉઠાવીને દેવબંદના દેવીકુંડ સ્થિત સ્મશાન ઘાટ સુધીની અંતિમ યાત્રા કાઢી હતી.

હિંદુ વડીલોની સલાહ મુજબ અંતિમવિધિ કરી

ગુલફામ અંસારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારા સાથી મિત્રો હિન્દુ ધર્મની અંતિમ સંસ્કારની જટિલ વિધિઓ અને રીત-રિવાજોથી પરિચિત નહોતા. આથી અમે હિન્દુ સમાજના વડીલો તેમજ જાણકાર લોકોની સલાહ લીધી હતી. તેમની સૂચના મુજબ જ અમે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.” સ્મશાન ઘાટ પર પણ આ યુવાનોએ પૂરી શ્રદ્ધા સાથે અજય કુમારના અંતિમ સંસ્કારમાં સહયોગ આપ્યો હતો.

આ પણ વાંચો: મુસ્લિમ યુવકે 24 વર્ષ જેલ ભોગવી, હવે નિર્દોષ છૂટ્યો, જવાબદાર કોણ?

મૃતકના સગાસંબંધીઓની વ્યવસ્થા પણ કરી

આ ઘટના માત્ર અંતિમ સંસ્કાર સુધી સીમિત ન રહી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગુલફામ અને તેમના મિત્રોએ અજય કુમારના ઘરે આવેલા અને ત્રણ દિવસ સુધી ત્યાં રોકાયેલા તેમના સંબંધીઓ તેમજ અન્ય મહેમાનો માટે જમવાની પણ સુંદર વ્યવસ્થા કરી હતી. તેમણે શોકતુર પરિવારને આર્થિક અને સામાજિક ટેકો આપીને હિન્દુ-મુસ્લિમ એકતાની અતૂટ કડી મજબૂત કરી હતી.

આ ઘટના સમગ્ર સહારનપુર અને પંજાબના પડોશી વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની છે. જે રીતે પંજાબના ઝામપુરમાં મંદિર માટે જમીન દાનમાં આપવામાં આવી, તેવી જ રીતે દેવબંદની આ ઘટનાએ દેશની વિવિધતામાં એકતાના ભાવને જીવંત રાખ્યો છે. સ્થાનિકો માને છે કે જ્યાં સુધી આવા સંસ્કારો અને ભાઈચારો જીવંત છે, ત્યાં સુધી કોઈ પણ નકારાત્મક શક્તિ દેશની સામાજિક એકતાને તોડી શકશે નહીં.

આ પણ વાંચો: મહિસાગરમાં મહિલા PSI એ આદિવાસી વેપારીને ઢોર માર માર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x