જીપીએસસીના ઈન્ટવ્યૂમાં જે રીતે ચોક્કસ જાતિના ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપીને ક્લાસ વન અધિકારી બનાવવાનું ષડયંત્ર પકડાયું છે ત્યારે હવે ઓબીસી-એસસી વિદ્યાર્થીઓએ એક થઈને વિદ્યા સહાયકની ભરતીમાં તેમના બંધારણીય હકોની માંગણી કરી છે.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકોની ભરતી હાથ ધરાઈ છે ત્યારે ઓબીસી-એસસી ઉમેદવારો દ્વારા આજે ગાંધીનગરમાં ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ સાથે આ ભરતીમાં ઓબીસી માટે 27% અને એસસી માટે 7% અનામતની માગણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ની સત્યાગ્રહ છાવણી ખાતે આજે ટેટ-1 અને ટેટ-2 ના એસઈબીસી ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકોની 5000 જગ્યાઓ માટે રોસ્ટર પ્રથા નાબૂદ કરવાની માંગ કરાઈ હતી.
આ પણ વાંચો: આમાં કેવી રીતે ‘ભણશે ગુજરાત’?
રાજ્ય સરકાર દ્વારા તારીખ 17 મીના રોજ જાહેર કરાયેલા ફાઇનલ મેરીટ લીસ્ટમાં જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ જગ્યા ફાળવણીનું લિસ્ટ બહાર પડાયું છે. જેમાં એસઇબીસી અને એસસી કેટેગરીમાં બંધારણીય જોગવાઈ કરતા ઓછી જગ્યા ફાળવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા OBC અને SC કેટેગરીના ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે, વર્ષો પછી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે ઘણા ઉમેદવારોની ઉંમર વધી ગઈ છે અને જનરલ કેટેગરીમાં ફાળવેલી જગ્યાઓ માટે પૂરતા ઉમેદવારો મળવા મુશ્કેલ છે. ત્યારે બીજી તરફ અનામત કેટેગરીમાં ઓછી જગ્યાઓ ફાળવવામાં આવે છે. જ્યારે તેની સામે ઉમેદવારોની સંખ્યા વધારે છે.
સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા અનામત કેટેગરીના પ્રદર્શનકારી ઉમેદવારોની માંગણી છે કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતીમાં બંધારણી જોગવાઈ મુજબ OBC માટે 27% અને SC વર્ગના ઉમેદવારો માટે 7% જગ્યા ફાળવવામાં આવે તો દરેક કેટેગરીના ઉમેદવારોને ન્યાય મળશે અને પ્રાથમિક શિક્ષકોને ઘટ પણ પુરી થશે.
આ પણ વાંચો: ગીતામંદિરના દલિત યુવકે ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો