Jyotiba Phule 200th birth anniversary: મહાન સમાજ સુધારક અને સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે 200મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે. આ ખાસ પ્રસંગે દેશના સંસદ ભવન પરિસરમાં આવેલા ‘પ્રેરણા સ્થળ’ ખાતે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અગ્રણી નેતાઓએ ઉપસ્થિત રહીને મહાત્મા ફૂલેની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના દ્વારા નાખવામાં આવેલી સામાજિક સમાનતાની મજબૂત પાયાની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે મહાત્મા ફૂલેના જીવનકવનને આજના ભારતના માર્ગદર્શક તરીકે વર્ણવ્યું હતું. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યોતિરાવ ફૂલે માત્ર ભૂતકાળનો ઈતિહાસ નથી પરંતુ તેઓ વિકસિત ભારતના ભવિષ્યના રોડમેપ સમાન છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે શિક્ષણ, ન્યાય અને સમાનતા પ્રત્યે ફૂલેનું સમર્પણ આજે પણ દેશના કરોડો વંચિતો અને મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. પીએમ મોદીએ તેમના લેખમાં પણ ઉલ્લેખ કર્યો કે સરકારની વર્તમાન નીતિઓ, જેમાં દરેક વર્ગના વિકાસનો સમાવેશ થાય છે, તે મહાત્મા ફૂલેના ‘સત્યશોધક સમાજ’ અને સમાન અધિકારોના વિચારો પર જ આધારિત છે.

આ પણ વાંચો: જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..
રાહુલ ગાંધી પીએમ મોદીએ વાતચીત કરી
આ કાર્યક્રમ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતો મર્યાદિત ન રહેતા રાજકીય શિષ્ટાચારનો પણ સાક્ષી બન્યો હતો. સંસદ પરિસરમાં જ્યારે વડાપ્રધાન મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામસામે આવ્યા ત્યારે બંને નેતાઓ વચ્ચે અત્યંત સૌહાર્દપૂર્ણ રીતે વાતચીત થઈ હતી. બંને નેતાઓએ એકબીજાનું અભિવાદન ઝીલીને ટૂંકી ચર્ચા કરી હતી. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ મહાત્મા ફૂલેને ક્રાંતિસૂર્ય તરીકે સંબોધીને જણાવ્યું હતું કે તેમણે શિક્ષણને સામાજિક પરિવર્તનનું સૌથી ધારદાર હથિયાર બનાવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે પણ પુષ્પાંજલિ અર્પણ કરી
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, અર્જુન રામ મેઘવાલ અને શિવરાજ સિંહ ચૌહાણ સહિતના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે મહિલા શિક્ષણ અને સામાજિક અસમાનતા દૂર કરવા માટે ફૂલેએ જે ભગીરથ કાર્ય કર્યું છે તે અનન્ય છે. શિવરાજ સિંહ ચૌહાણે ઉમેર્યું કે દેશના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી એ જ મહાત્મા ફૂલેને સાચી અંજલિ છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતપોતાના રાજ્યોમાં મહાત્મા ફૂલેના આદર્શોને અનુસરવાનો અને તેમના પથ પર ચાલીને સમાજસેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?

200મી જયંતીનું ઐતિહાસિક મહત્વ
મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ ઓગણીસમી સદીમાં જે વિરોધ અને પડકારો વચ્ચે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી, તેનો પ્રભાવ આજે પણ ભારતીય રાજનીતિ અને સામાજિક સંરચના પર સ્પષ્ટ જોવા મળે છે. 200મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં તેમના જીવન પર આધારિત પ્રદર્શનો અને વ્યાખ્યાનો યોજાયા હતા.
#LIVE | राष्ट्रपति #DroupadiMurmu और उपराष्ट्रपति सी.पी. राधाकृष्णन ने महात्मा ज्योतिराव फुले की 200वीं जयंती पर उन्हें पुष्पांजलि अर्पित की।
लाइव जुड़ें : https://t.co/XyKDnJXGAG@rashtrapatibhvn @VPIndia#JyotibaPhule #JyotibaPhule200 pic.twitter.com/AW5JFqFZtE
— डीडी न्यूज़ (@DDNewsHindi) April 11, 2026
સંસદમાં આયોજિત આ કાર્યક્રમ દ્વારા સમગ્ર રાષ્ટ્રને એક સંદેશ આપવામાં આવ્યો છે કે ભારતના નવનિર્માણમાં મહાત્મા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલું કાર્ય આજે પણ પાયાના પથ્થર સમાન છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે












