રાજસ્થાનના કિશનગઢમાં દેવાના વધતા બોજ અને રિકવરી એજન્ટો તરફથી મળતી સતત ધમકીઓએ એક પરિવારની ખુશી છીનવી લીધી. ગુરુવારે મોડી સાંજે, કિશનગઢના ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 52 વર્ષીય કિશનલાલે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી. પરિવારનો આરોપ છે કે ફાઇનાન્સ કંપનીના એજન્ટો દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે તેમણે આત્મહત્યા કરી.
પોલીસે શું કહ્યું?
ગાંધીનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ કૃષ્ણપુરી ગેટ અંડરબ્રિજ પાસે બની હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં મૂકાવ્યો. શુક્રવારે સવારે પોસ્ટમોર્ટમ બાદ, મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

લોન ભરવા સતત ધમકીઓ મળતી હતી
મૃતકના ભત્રીજા સીતારામ મેઘવાલે જણાવ્યું હતું કે કિશનલાલે લગભગ બે વર્ષ પહેલાં ઉમેદ ફાઇનાન્સ કંપની પાસેથી રૂ. 16 લાખ 10 હજારની લોન લીધી હતી. કિશનલાલ પાવરલૂમ ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ સમયસર હપ્તા ચૂકવી શકતા ન હતા.
આ પણ વાંચો: ગ્રાહકે કહ્યું, ‘અમે નીચી જાતિના લોકોના હાથે બનેલી ચા પીવા માંગતા નથી’

આત્મહત્યાના એક કલાક પહેલા એજન્ટે ફોન કર્યો હતો
સીતારામનો આરોપ છે કે બાકી હપ્તાને કારણે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ અને રિકવરી એજન્ટો તેમને ફોન પર સતત ધમકીઓ આપતા હતા. પરિવારના જણાવ્યા મુજબ, કિશનલાલને આત્મહત્યાના એક કલાક પહેલા જ એક એજન્ટનો ફોન આવ્યો હતો. આ માનસિક ત્રાસથી તેઓ ભાંગી પડ્યા હતા અને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.
પત્ની-ત્રણ બાળકોનો પરિવાર નોંધારો બન્યો
કિશનલાલના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે, જેઓ આ ઘટના પછી સંપૂર્ણપણે નિરાધાર થઈ ગયા છે. આ ઘટનાથી આ વિસ્તારના રહેવાસીઓ પણ રોષે ભરાયા છે. તેઓ કહે છે કે રિકવરી એજન્ટોની દાદાગીરી આ આત્મહત્યા પાછળનું અસલી કારણ છે. આ ઘટનાને કારણે ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે કે, ફાઇનાન્સ કંપનીઓના રિકવરી એજન્ટોની મનમાની પર ક્યારે નિયંત્રણ લાદવામાં આવશે? સુપ્રીમ કોર્ટે વારંવાર કંપનીઓને આવા કિસ્સાઓમાં સંયમ રાખવાની સૂચના આપી હોવા છતાં જમીન પર પરિસ્થિતિ બદલાઈ નથી.
ફાયનાન્સ કંપનીઓની દાદાગીરી પર નિયંત્રણ જરૂરી
આ મામલે રાજસ્થાનની ગાંધીનગર પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. હાલ તો આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોક છવાઈ ગયો છે. લોકોને ચિંતા છે કે જો ફાયનાન્સ કંપનીઓની દાદાગીરી કરીને પૈસા કઢાવવાની આ રીત પર નિયંત્રણ લાદવામાં નહીં આવે, તો ભવિષ્યમાં બીજા પણ અનેક પરિવારોના ઘર બરબાદ થઈ શકે છે.
આ પણ વાંચો: દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો, સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો











