બિહારના બોધિગયામાં આવેલા મહાબોધ મહાવિહારની મુક્તિ માટે બૌદ્ધ સમાજ દ્વારા છેલ્લાં બે મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગઈકાલે મહેસાણામાં તેના સમર્થનમાં એક વિશાળ મૌન માનવસાંકળ રચીને સ્થાનિક બૌદ્ધ સમાજ દ્વારા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સમ્રાટ અશોકની જન્મજયંતિ નિમિત્તે મહેસાણા ખાતે સુજાતા બુદ્ધ વિહાર દ્વારા ઑલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં મહાબોધિ મહાવિહારને ગેરબૌદ્ધોથી મુક્ત કરી, બી.ટી.એક્ટ ૧૯૪૯ને રદ્દ કરી મહાબોધિનું સંપૂર્ણ સંચાલન બૌદ્ધોને સોંપવા જય ભીમ ચોક, ડૉ.બાબાસાહેબ આંબેડકર બ્રીજ પાસે એક વિશાળ મૌન માનવસાંકળ રચીને સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી. તેમજ મહાબોધિ મહાવિહાર, બોધિગયા ખાતે બૌદ્ધ ભિક્ખુઓ દ્વારા હાલ સક્રિય ભૂખ હડતાળને એક મનોબળ પૂરું પાડવામાં આવ્યું હતું.
મહેસાણા ખાતે આયોજિત આ વિશાળ મૌન માનવસાંકળના આયોજન માટે પરિશુદ્ધ બૌદ્ધ સંઘના પ્રમુખ આયુ. હાર્દિક સુતરિયાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
મહાબોધિ મહાવિહારનો ઈતિહાસ શું કહે છે?
અત્રે એ નોંધવું રહ્યું કે દુનિયાભરના બૌદ્ધો માટેનું સૌથી પવિત્ર સ્થળ મહાબોધિ મહાવિહાર (જ્યાં તથાગત બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તેને વજ્રાસન કહેવાય છે) બૌદ્ધોના કપરા સમયમાં ઈ.સ. ૧૫૬૦ની આસપાસ શૈવ પંથના મહંતે કબ્જો જમાવી પોતાને હસ્તક કરી લીધું હતું. બાદમાં બર્માના રાજાએ (એ સમયે ત્યાં સ્થાનિક બૌદ્ધોની વસ્તી ન હોવાથી) મહાવિહારની સંભાળ રાખવા માટે મહેનતાણું આપવાનું શરૂ કર્યું.
મહેસાણાના સુજાતા બૌદ્ધ વિહાર દ્વારા ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના નેતૃત્વમાં બીટી એક્ટ રદ કરી મહાબોધિ મુક્તિ આંદોલનના સમર્થનમાં મૌન માનવસાંકળ રચાઈ હતી. pic.twitter.com/OSqf8TFyJ0
— khabar Antar (@Khabarantar01) April 6, 2025
મહાબોધિ મહાવિહારને સૌપ્રથમ હિન્દુ શૈવ પંથના મહંતના કબ્જામાંથી છોડાવવાનો પ્રયત્ન લાઈટ ઑફ એશિયાના લેખક એડવિન એર્નોલ્ડે કર્યો હતો. બાદમાં એમના શિષ્ય સિંહલવીર અનાગારિક ધમ્મપાલે વર્ષ ૧૮૯૧માં બોધગયાની મુલાકાત દરમિયાન વજ્રાસનની હાલત જોઈ રડમસ ચહેરે ત્યાં જ સંકલ્પ લીધો હતો કે હું બૌદ્ધોના આ પવિત્ર સ્થળને ગેરબૌદ્ધોથી મુક્ત કર્યો વિના મૃત્યુને પ્રાપ્ત નહીં કરું.
આ માટે ધમ્મપાલજીએ વર્ષ ૧૮૯૧ માં શ્રીલંકામાં મહાબોધિ સોસાયટી ઑફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થાથી પહેલી સફળતા એ હતી કે તત્કાલીન અંગ્રેજ સરકારે મહાબોધિ મહાવિહારની પાસે બે ઓરડા મહાબોધિ સોસાયટીને ફાળવ્યા હતા. જ્યાં રહી તેઓ મહાબોધિ મહાવિહારમાં બૌદ્ધ પદ્ધતિ મુજબ પૂજા-વંદના કરી શકતા હતા. બીજી સફળતા એ હતી એ આ સંસ્થાને કારણે જ ગયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે વર્ષ ૧૮૯૫માં (પુરાતાત્વિક અને ઐતિહાસિક પ્રમાણોને આધારે) એવો ચુકાદો આપ્યો હતો કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર નથી તેમજ મહાબોધિ મહાવિહાર એક બૌદ્ધ સ્થળ છે.
ગાંધીજીએ બૌદ્ધોને આપેલું વચન આજેય અધૂરું છે?
વર્ષ ૧૯૨૨માં બિહાર રાજ્યના પટના ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં મહાપંડિત રાહુલ સાંકૃત્યાયને ગાંધીજી સમક્ષ મહાબોધિ મહાવિહારનું સંચાલન બૌદ્ધોને સોંપવાની માંગ કરી હતી ત્યારે જવાબમાં ગાંધીજીએ રાહુલજીને જણાવ્યું હતું કે અમારી પ્રાથમિકતા ભારતની સ્વતંત્રતા છે અને જેવી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થશે એટલે તરત જ મહાબોધિ મહાવિહાર બૌદ્ધોને સોંપી દેવામાં આવશે. રાહુલ સાંકૃત્યાયનને ગાંધીજીએ આપેલ આ વચન આજે પણ અધૂરું છે.

ગેરબંધારણીય બી.ટી.એક્ટ આઝાદી પછી પણ યથાવત
મહાબોધિ મહાવિહારના સંચાલન માટે વર્ષ ૧૯૪૯માં બી.ટી.એક્ટ ૧૯૪૯ લાવવામાં આવ્યો. જેમાં ચાર સભ્ય હિન્દુ, ચાર સભ્ય બૌદ્ધ અને એક ગયા જિલ્લાના કલેકટર (મોટેભાગે હીન્દુ) હોય છે. બી.ટી.એક્ટ ૧૯૪૯ જ્યારે લાગું કરવામાં આવ્યો ત્યારે ભારતમાં બૌદ્ધોની સંખ્યા નગણ્ય હતી એટલે એને એકતરફી બનાવવામાં આવ્યો છે સાથે એ કાયદો ભારતમાં બંધારણ લાગું થયાનાં પૂર્વનો છે એટલે ગેરબંધારણીય પણ છે કેમકે ભારતમાં ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી બંધારણ અમલમાં આવતા જૂના બધાં જ કાયદા અને નિયમો આપોઆપ રદ્દ થઈ ગયા છે. પરંતુ આ ગેરબંધારણીય કાયદો હજુ પોતાનું અસ્તિત્વ ધરાવે છે જેને દૂર કરવાની માંગ બૌદ્ધો દ્વારા વિશ્વભરમાંથી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વધુ એક દલિત સગીરા પર ગેંગરેપ, 25 દિવસ પછી FIR નોંધાઈ