સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં સરકાર અને સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ખનીજમાફિયાઓ બેફામ બની ગયા છે. ભાગ્યે જ કોઈ તાલુકો બાકી હશે જ્યાં ખનીજમાફિયાઓ કુદરતી સંપત્તિની ચોરી ન કરતા હોય. જો કે લીંબડીના પરનાળા ગામમાં તો ખનીજમાફિયાઓએ હદ કરી નાખી છે. અહીં અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન પર ખનીજમાફિયાઓએ દબાણ કરીને માટી ખનન કરીને સ્મશાનમાં દટાયેલા માનવકંકાલોને કાઢીને બહાર ફેંકી દેતા હોબાળો મચી ગયો છે.
આ મામલે હવે ગામલોકોએ મુખ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સુરેન્દ્રનગર કલેક્ટર અને એસપીને લેખિત ફરિયાદ કરી જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ કરાઈ છે.
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે લીંબડીના પરનાળા ગામના લીલાબેન મકવાણા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે કરેલી રજૂઆત મુજબ પરનાળા ગામમાં આવેલા અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં માથાભારે માણસો દ્વારા સ્મશાનમાં દબાણો કરી, ખનીજ માફિયાઓ દ્વારા ત્યાંથી માટી કાઢવામાં આવી હતી, એ દરમિયાન તેમણે સ્મશાનમાં દાટવામાં આવેલા લોકોના હાડપિંજરો કાઢીને બહાર ફેંકી દીધા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોની લાગણીને ભારે ઠેસ પહોંચી હતી. માથાભારે તત્વો સરપંચને પણ ગણકારતા નથી. તેમણે સ્મશાનની ચારેબાજુ દબાણ કર્યું છે અને સ્મશાનની અંદર ખોદકામ કરીને માનવ કંકાલ કાઢીને માટી લઈ જાય છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેર ભાજપ SC મોરચો ચાની કીટલીએથી ચાલે છે!
આ બાબતે લાગતા વળગતા અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆત કરેલી હોવા છતાં સ્થાનિક દલિતોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી. તેથી માથાભારે તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ બાબતે કોઈ અનિચ્છનિય બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે તેવી ચીમકી આપી હતી.
પરનાળાના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ નીચે મુજબની કાર્યવાહીની માંગ કરી છે.
- ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરી અનુ.જાતિ સમાજના મૃત્યુ પામનાર લોકોના માનવકંકાલોને બહાર કાઢી, કોમી વૈમનસ્ય ફેલાવી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરવા પ્રયત્ન કર્યો છે. આરોપીઓએ તે જમીન અનુસૂચિત જાતિનું સ્મશાન હોવાનું જાણતા હોવા છતાં બદઈરાદાપૂર્વક ત્યાં ખોદકામ કરી સમાજની લાગણીઓ દુભાવવા, તિરસ્કારની ભાવનાને ભડકાવવા, કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જેથી BNS અને એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
- આ બનાવમાં ભૂમાફિયાઓ દ્વારા માટી ખનનમાં ઉપયોગમાં લીધેલ તમામ વાહનો જપ્ત કરી ભારે દંડ કરવામાં આવે.
- આ કૃત્ય કરનાર ભૂમાફીયાઓ છે. જેઓ આ પ્રકારની પ્રવૃતિ કરવા માટે ટેવાયેલા છે. અનુસૂચિત જાતિના ઇસમો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોય તેમના મહોલ્લામાં પોલીસ રક્ષણ ગોઠવવામાં આવે.
- ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાનની અંદર દબાણ કરનારા તત્વો સામે લેન્ડ ગેબ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી સ્મશાનમાં કરવામાં આવેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે.
- અનુ.જાતિના સ્મશાનમાં ગેર કાયદેસર માટી ખનન કરનારાઓ ભૂમાફિયાઓનો ગુનાહિત ઇતિહાસ તપાસી તેઓ જો આવા ગુન્હાઓ કરવા ટેવાયેલા હોય તો તેમને જિલ્લામાંથી હદપાર કરવાની કાર્યવાહી કરવામાં આવે.
- આ બનવામાં અનુસૂચિત જાતિના માનવ અધિકારોનો ભંગ થયેલ હોઈ નાયબ કલેક્ટર, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સંયુક્ત ટીમ બનાવી ઘટના સ્થળની મુલાકાત લઈને હકીકતલક્ષી રિપોર્ટ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકારને મોકલવાની કાર્યવાહી કરવામાં આવે.
- અનુસૂચિત જાતિના સ્મશાનમાં જવા માટે આર.સી. રોડ બનાવવો, સ્મશાનની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવી, ગેટ બનાવવો, બેસવા માટે બાકડા મૂકવા, સ્મશાનમાં વૃક્ષારોપણ કરવું, સ્મશાનમાં સાધનો મૂકવા ઓરડી બનાવવા બાબતેના કામો કરવાની ગ્રાન્ટ મંજૂર કરાવવાની કામગીરી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા હાથ ધરવામાં આવે.
- અનુસૂચિત જાતિના સ્મશાનમાં વિકાસ કરવા બાબતે ગામના અનુ.જાતિ ના આગેવાનો જે કામ સૂચવે તે કામ કરવા સારું જિલ્લા વિકાસ અધિકારીને મળતી ખાસ ગ્રાન્ટમાંથી કામ મંજૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે.
નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા આ મામલે પરનાળા ગામની મુલાકાત લઈને મુખ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર, સુરેન્દ્રનગર કલેક્ટર, એસપી સહિતના તમામ જવાબદાર અધિકારીઓ, હોદ્દેદારોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: દાહોદમાં મતદાર યાદીમાં દલિતો માટે પ્રતિબંધિત શબ્દોનો ઉપયોગ કરાયો