ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદર ખાતે ડો.આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે વિશાળ મહારેલી અને મહાસલામી કાર્યક્રમ યોજાયો હતો. મહારેલી પોરબંદર સિટીના નરસંગ ટેકરી ચાર રસ્તાથી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જય ભીમ, જય જોહાર, જય મૂળનિવાસીના નારા સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર શિસ્તબદ્ધ રીતે મહારેલી નીકળી હતી. આ તકે “આવાજ દો, હમ એક હૈ” જેવા નારાઓ લગાવતા બહેનો, બાળકો અને વડીલો ઉત્સાહભેર આગળ વધજા જોવા મળ્યાં હતા.
રેલીમાં મૂળનિવાસી મહાનાયકોના વિચારોને પ્રસ્થાપિત કરવાના હેતુસર મૂળનિવાસી મહાનાયકોના મોટા ફોટાઓ તેઓના વિચારો સાથે દર્શાવવામાં આવ્યા હતા, જેમાં ડો. બાબાસાહેબ આંબેડકર, કબીર સાહેબ, દિના ભાણા સાહેબ, ગુરુ રવિદાસ, જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, ફાતિમા શેખ, તથાગત ગૌતમ બુદ્ધ, કાંશીરામ સાહેબ વિગેરે નાયકો સામેલ હતા.
મૂળનિવાસી સમાજ પોતાના મતની કિંમત સમજે તે અમારું લક્ષ્યઃ SSD
આ તકે સ્વયં સૈનિક મનીષભાઈ દ્વારા જણાવાયું હતું કે, 14મી એપ્રિલ એક એવો તહેવાર છે કે અમે મૂળનિવાસી લોકો પોતાના ઘર, વિસ્તારમાં અલગ-અલગ રીતે પોતાના ભાવ મુજબ તેને ઉજવતા હોઈએ છીએ. પરંતુ આ વખતે અમે મોટાપાયે તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. અમને દેશમાં વધી રહેલી અસમાનતા, જાતિવાદ અને ધર્મના નામે લોકોમાં ભાગલા પડાવતા રાજકીય તત્વોની કરતૂતોને લઈને ચિંતા થઈ રહી છે. આજે દેશમાં લઘુમતીઓને હેરાન કરવામાં આવે છે, તેમની સંપત્તિઓ તોડી પાડવામાં આવે છે, તેમની જમીનો છીનવી લેવામાં આવે છે.
આ પણ વાંચો: 14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું
આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે મૂળનિવાસી સમાજના હાથમાં સત્તા નથી. અમે ઈચ્છીએ છીએ કે મૂળનિવાસી સમાજ પોતાની શક્તિને ઓળખે અને રાજકીય સત્તા કબ્જે કરે. અમે યુદ્ધમાં માનતા નથી કારણ કે અમે બુદ્ધને જાણીએ છીએ. અમારું લક્ષ્ય દેશને અસમાનતાવાદી વિચારધારમાંથી બહાર લાવી, માનવતાવાદી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે.
કોલકાતામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ઉલ્લેખનીય છે કે, સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા 14મી એપ્રિલે ડો.આંબેડકરની જન્મ દિનનો રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા મુકામે રાખવામાં આવ્યો હતો.
જ્યાં લાખોની સંખ્યામાં સ્વયં સૈનિક દળના સૈનિકોએ પોતાની ઉપસ્થિતિ દર્જ કરી હતી. અને ત્યાં જ લોકોની જાણ સારું જાહેર કરવામાં આવેલ હતું કે, 6 ડીસેમ્બર ગુજરાતનાં ભુજ ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હશે અને આવનારી 14મી એપ્રિલ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કપાશે
*SSD ભીમ સૈનિકોને મારાં હાર્દિક અભિનંદન સાથે સરાહનીય કદમ બદલ ખુબ ખુબ ધન્યવાદ સાધુવાદ!