કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ સાચા સમર્પણ અને મહેનતથી પોતાના લક્ષ્યાંક તરફ આગળ વધે છે, તો દુનિયાની કોઈ શક્તિ તેને સફળ થતા રોકી શકતી નથી, પછી ભલે ગમે તેટલી અડચણો આવે કે સંસાધનોનો અભાવ હોય. આ કહેવતને રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાનકડા ગામ ઢૂંઢાના યુવાન સૂરજપાલ મેઘવાળે સાબિત કરી બતાવી છે. મર્યાદિત સંસાધનો અને સંઘર્ષપૂર્ણ જીવન વચ્ચે સૂરજે પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરી બતાવ્યું છે. સૂરજપાલ મેઘવાળ દેશની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થા, રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બેંગ્લોરમાં પસંદગી પામનાર બાડમેરનો પ્રથમ યુવાન બન્યો છે.
આ સંસ્થાને ભારતીય અવકાશ સંશોધન અને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં અગ્રણી માનવામાં આવે છે. આગામી 5 વર્ષ સુધી સૂરજ પાલ મેઘવાળ બેંગ્લોરમાં રહીને ચંદ્ર અને તારાઓની દુનિયા પર વૈજ્ઞાનિક સંશોધન કરશે, જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ તેના ગામ અને સમગ્ર બાડમેર માટે ગર્વની વાત છે.
બાડમેરથી બેંગલુરુ સુધીની સફર આસાન નહોતી
સૂરજપાલ માટે જો કે, આ સફળતા સુધી પહોંચવાની યાત્રા સરળ નહોતી. તેનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યું છે. આર્થિક મર્યાદાઓ હોવા છતાં તેના માતાપિતાએ તેમના પુત્રના સપનાઓને પાંખો આપી. સૂરજની સખત મહેનત, માતાપિતાનો ટેકો અને શિક્ષકોનું માર્ગદર્શન, આ બધાએ મળીને આ સફળતાનો પાયો નાખ્યો. આજે, ફક્ત તેનો પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ઢૂંઢા ગામ સૂરજની સફળતાથી ખુશ છે. ગામના લોકો તેને “રેતીથી તારાઓ સુધીની ઉડાન” કહીને વખાણ કરી રહ્યાં છે, અને આ સાચું છે, કારણ કે સૂરજની આ કહાની સાબિત કરે છે કે જુસ્સો હોય, તો રણની તપતી રેતીમાંથી પણ અવકાશનો માર્ગ કંડારી શકાય છે.
સૂરજપાલે IIT મદ્રાસમાંથી MSc કર્યું છે
સૂરજ પાલે તેમનું પ્રાથમિક શિક્ષણ સિવાનામાં મેળવ્યું હતું અને તેણે ધોરણ 10માં 94.17 ટકા સાથે જિલ્લા ટોપરની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. દિલ્હીની KMC કોલેજમાંથી BSc કર્યા પછી સૂરજ પાલે IIT મદ્રાસમાંથી MSc ની ડિગ્રી મેળવી. એ પછી, સૂરજ પાલ હવે બેંગ્લોરની રમણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી પૂર્ણ કરશે. આગામી 5 વર્ષ દરમિયાન, સૂરજ અંતરિક્ષની સુક્ષ્મતા પર સંશોધન કરવાની સાથે વિવિધ સંશોધનમાં વ્યસ્ત રહેશે. સૂરજ પાલ જણાવે છે કે રેતાળ બાડમેરથી અવકાશની શોધ સુધીની સફર ખૂબ લાંબી હતી, પરંતુ તેણે ક્યારેય પોતાની જાતને થાકવા દીધી નહોતી.
આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે
માતાપિતાની આંખમાં હરખના આંસુ આવી ગયા
સૂરજની આ સફળતાથી તેના માતાપિતાની આંખમાં હરખના આંસુ આવી ગયા છે. હવે સૂરજ માત્ર તારાની વાર્તા જ નહીં સમજે પરંતુ પોતે અવકાશના રહસ્યો ખોલવામાં લાગી જશે. સૂરજપાલની માતા મંજુ દેવીના મતે, ભૌતિકશાસ્ત્રમાં એમએસસી હોલ્ડર બનવું અને પછી તે જ ક્ષેત્રમાં રિસર્ચ ફેલોશિપ માટે પસંદગી પામવી એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. અગાઉ સૂરજપાલની IIT ગુવાહાટી અને IIT ઈન્દોરમાં PhD માટે પસંદગી થઈ ચૂકી હતી. પણ તેણે દેશની સૌથી વિખ્યાત ઈન્સ્ટિટ્યૂટમાં પસંદગી મેળવી. સૂરજપાલની આ સફળતા જોઈને તેના પિતા જગદીશ મેઘવાલની આંખો ખુશીથી ભરાઈ ગઈ છે.
રાજસ્થાનના બાડમેરના સૂરજપાલ મેઘવાળે વિખ્યાત રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવીને છાકો પાડી દીધો છે. સૂરજપાલ બાડમેરનો પહેલો યુવાન છે, જેને આ સંસ્થામાં એડમિશન મળ્યું છે. હવે બાડમેરનો સૂરજ બેંગલુરુમાં અવકાશ પર સંશોધન કરશે. #surajpalmeghwal #badmer #ramanresearchinstitute pic.twitter.com/j8Y4YF89ec
— khabar Antar (@Khabarantar01) June 25, 2025
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બહુજન યુવાનો માટે શીખ
સૂરજપાલ મેઘવાળની આ કહાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા બહુજન સમાજના દરેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. મહેનત એવી કરો કે સામેની વ્યક્તિ ચકિત થઈ જાય. હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે રીતેની ગળાકાપ હરિફાઈ જોવા મળે છે, તે જોતા તમારે તમારી ક્ષમતા કરતા પણ વધુ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે.
આ પણ વાંચો: બોગસ ST પ્રમાણપત્ર મામલે લક્ષ્મી કટારિયા સામે વેરાવળમાં FIR