જાતિવાદ અને ધર્માંધ ઉત્તરપ્રદેશમાં લોકો કઈ હદે ધર્મના નામે અત્યાચાર કરવા પર ઉતરી આવે છે તેની એક ઘટના સામે આવી છે. અહીંના સુલતાનપુરમાં એક સરકારી શાળાના દલિત શિક્ષકને સ્થાનિકોએ મંદિરની ફર્શ પર નાક રગડાવી માફી માંગવા માટે મજબૂર કર્યા હતા. શિક્ષકનો માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આરોપ છે કે શિક્ષકે કાવડ યાત્રા પર અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી.
17 જુલાઈના રોજ, શાળાની એક વિદ્યાર્થીનીએ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના ધનપતગંજના સમર્થપુરમાં કંપોઝિટ સ્કૂલમાં ફરજ બજાવતા દલિત શિક્ષક ઓમ પ્રકાશ પાસે કાવડ યાત્રામાં જવા અને દુર્ગા મંદિરના દર્શન કરવા માટે રજા માંગી હતી. વિદ્યાર્થીનીનો આરોપ છે કે રજા આપવાને બદલે શિક્ષકે કાવડ યાત્રા અને મા દુર્ગા પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. એ પછી છોકરીએ તેના પરિવારને જઈને આ વાત કરી હતી, તે પછી ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. શિક્ષકના નિવેદનથી ધર્માંધ ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા.

આ મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો અને બીએસએએ દલિત શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા. એ પછી પણ ધર્માંધ ગામલોકોનો ગુસ્સો ઓછો થયો નહીં. શિક્ષકના નિવેદનથી ગુસ્સે ભરાયેલા ગ્રામજનો 22 જુલાઈના રોજ આરોપી શિક્ષકને બળજબરીથી શિવ મંદિરે લઈ ગયા અને શિક્ષકને મંદિરની ફર્શ પર નાક રગડાવીને માફી મગાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પણ વાંચો: કાવડયાત્રા કેવી રીતે ધાર્મિકમાંથી રાજકીય કાર્યક્રમ બની ગયો?

જાગૃત નાગરિકો શિક્ષકની તરફેણમાં આવ્યા
વિજય રાણા ચમાર નામના એક એક્સ યૂઝરે આ ઘટનાની નિંદા કરતા લખ્યું, “સુલતાનપુર (યુપી) ના કમ્પોઝીટ સ્કૂલ સમર્થપુરમાં દલિત શિક્ષક ઓમ પ્રકાશ સાથે બનેલી અભદ્ર અને અમાનવીય ઘટનાની અમે સખત નિંદા કરીએ છીએ. શિક્ષકને માફી માંગવા માટે મજબૂર કરવા, તેમની સાથે દુર્વ્યવહાર કરવો અને નાક રગડવા જેવા કૃત્યો સભ્ય સમાજના ચહેરા પર કલંક છે. આ ઘટના ફક્ત શિક્ષકનું અપમાન નથી પરંતુ શિક્ષણ પદ્ધતિ, દલિત સમાજ અને બંધારણીય મૂલ્યોનું ખુલ્લેઆમ અપમાન છે. અમે આ ઘટનાનો વિરોધ કરીએ છીએ અને તેને સહન કરીશું નહીં.”
In UP’s Sultanpur, a government school teacher was made to apologize and forcibly rub his nose on the floor of a temple by locals who were enraged following teacher’s alleged inappropriate comment over a student seeking leave to attend Kanwar. pic.twitter.com/Xis6p6fHm6
— Piyush Rai (@Benarasiyaa) July 26, 2025
પત્રકાર અનિલ યાદવે લખ્યું, ” સુલતાનપુરની સરકારી શાળાના દલિત શિક્ષક ઓમ પ્રકાશના પાસે તેમની એક વિદ્યાર્થીનીએ કાવડ યાત્રામાં હાજરી આપવા માટે રજા માંગી હતી. શિક્ષકે ભગવાન અને કાવડ યાત્રામાં જવાને બદલે ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું. જેનાથી ગામલોકો ઉશ્કેરાઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. બીએસએએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા. પરંતુ ગ્રામજનો સંતુષ્ટ ન હતા. ગ્રામજનો શિક્ષકને મંદિરમાં લઈ ગયા અને બળજબરીથી ફર્શ પર તેમને નાક રગડાવ્યું હતું અને માફી મગાવી હતી. સસ્પેન્ડ કર્યા પછી આવું કેમ થયું. હું માની શકતો નથી કે મારા અયોધ્યા વિભાગના જિલ્લામાં આવું થઈ શકે છે, હું માનતો હતો કે પહેલા ફૈઝાબાદના અને હવે અયોધ્યાના બહુજનો શક્તિશાળી બની ગયા છે.”
પત્રકાર સ્વાતિ મશરાએ લખ્યું, “યુપીમાં, એક વિદ્યાર્થીએ કાવડ યાત્રા અને મંદિર માટે રજા માંગી. શિક્ષક પર અભદ્ર ધાર્મિક ટિપ્પણી કરવાનો આરોપ હતો. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. શિક્ષકને મંદિરમાં નાક રગડવા અને માફી માંગવા માટે મજબૂર કરવામાં આવ્યા. ઘણા જિલ્લાઓમાં કાવડના કારણે એક અઠવાડિયાની રજા હતી. જો આખો મહિનો રજા હોત તો આ બબાલ બંધ થઈ ગઈ હોત.”
આ પણ વાંચો: પ્રેમી આદિવાસી યુગલને ‘બળદ’ બનાવી ગામલોકોએ ખેતર ખેડાવ્યું










