બહુજન મહાપુરુષોએ વર્ષો પહેલા બહુજન સમાજને ચેતવણી આપતા કહ્યું હતું કે, જ્યારે દુશ્મન તમારી ભાષા બોલવા લાગે ત્યારે ચોક્કસ ચેતી જવું. આ બાબત કોંગ્રેસના યુવા નેતા કન્હૈયાકુમાર(Kanhaiya Kumar)ના મામલામાં બરાબર ફીટ બેસે છે. એક સમયે ડાબેરી પક્ષમાં રહીને ભગતસિંહની જેમ નાસ્તિક હોવાની અને બાદમાં કોંગ્રેસમાં ભળી જઈને ડો.આંબેડકરના સિદ્ધાંતોની વાત કરનાર કન્હૈયાકુમારે (Kanhaiya Kumar) બિહારની ચૂંટણી નજીક આવતા જ પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત એક મંદિરમાં દર્શન કરવા જઈને કરી હતી. એ સાથે જ તેનો અસલી ચહેરો પણ બેનકાબ થઈ ગયો હતો.
જો કે, મનુવાદીઓએ કન્હૈયાના ગયા બાદ આખું મંદિર ધોઈને પરોક્ષ રીતે હિંદુ ધર્મમાં તેનું શું સ્થાન છે તે બતાવ્યું હતું. આ ઘટના સાથે એ પણ સાબિત થઈ ગયું કે, કન્હૈયાકુમાર પણ અન્ય મનુવાદી પક્ષોની જેમ માત્ર કહેવા ખાતર જય ભીમ બોલે છે, બાકી હકીકતે તે પણ અન્ય સવર્ણ હિંદુ જેવી જ વિચારધારા ધરાવે છે.
ઘટના શું બની હતી?
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે બિહારના એક મંદિરમાં પૂજા કરી હતી, ત્યારબાદ મંદિરને કથિત રીતે ધોવામાં આવ્યું હતું. જેને લઈને રાજકીય હોબાળો થયો હતો અને ભાજપ અને કોંગ્રેસે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો: મિર્ઝા ગાલિબ : શાયર તો વો અચ્છા હૈ, પર બદનામ બહુત હૈ…
કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર બિહારના એક મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જ્યારે તે પૂજા કરીને પાછો ફર્યો ત્યારે મંદિરને કથિત રીતે ધોવામાં આવ્યું હતું. હવે આ અંગે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આ ભગવાન પરશુરામનું અપમાન છે. જ્યારે ભાજપે આરોપોને નકારી કાઢ્યા છે. કન્હૈયા કુમાર પર નિશાન સાધતા ભાજપે કહ્યું કે મંદિરને ધોવામાં આવ્યું એ જ દર્શાવે છે કે લોકોએ કન્હૈયા કુમારની રાજનીતિને નકારી કાઢી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કન્હૈયા કુમાર તેમની ‘સ્થળાંતર રોકો, નોકરી આપો’ યાત્રા દરમિયાન બિહારના સહરસા જિલ્લાના બણગાંવ પહોંચ્યા હતા. અહીં એક દુર્ગા મંદિર છે, જ્યાં તેમણે મુલાકાત લીધી અને પૂજા કરી હતી. કન્હૈયા કુમારે અહીં ભાષણ પણ આપ્યું હતું. તેના ગયા પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો. આમાં કેટલાક લોકો તે મંદિરને ધોતા જોવા મળ્યા. આ વીડિયો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં વિવાદ શરૂ થયો હતો. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો ખેલ શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસના પ્રવક્તા જ્ઞાન રંજન ગુપ્તાએ કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે શું ફક્ત RSS અને BJP સમર્થકો જ ધાર્મિક છે. શું બાકીના અસ્પૃશ્ય છે? આ કૃત્યથી ભગવાન પરશુરામના વંશજોનું અપમાન થયું છે. શું આપણે ‘અતિ-સંસ્કૃતીકરણ’ના નવા યુગમાં પ્રવેશ કર્યો છે, જ્યાં બિન-ભાજપ પક્ષો અને તેમના સમર્થકોને અસ્પૃશ્ય ગણવામાં આવશે?
કોંગ્રેસના નિવેદનનો ભાજપે પણ વળતો જવાબ આપ્યો. ભાજપ પ્રવક્તા અસિત નાથ તિવારીએ કહ્યું, સૌ પ્રથમ આપણે એ જોવું જોઈએ કે મંદિર ધોનાર લોકો કોણ હતા? અને જો કન્હૈયા કુમારની મુલાકાત પછી મંદિર ખરેખર ધોવાયું હોય, તો તે દર્શાવે છે કે જનતાએ તેમના રાજકારણને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.
ગામલોકોએ શું કહ્યું?
બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે મંદિરમાં કોઈના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી. મંદિરમાં દરેક જાતિ અને સમાજના લોકોને પ્રવેશ મળે છે. કન્હૈયાના ગયા પછી મંદિરની સફાઈનું કામ કેટલાક તોફાની તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. મંદિરમાં ક્યારેય જાતિ ભેદભાવ નથી કરવામાં આવતો. તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર ભૂમિહાર સમાજમાંથી આવે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ બિહારમાં ‘સ્થળાંતર રોકો અને નોકરી આપો’ યાત્રાનું આયોજન કરી રહી છે. કન્હૈયા કુમાર આ રેલીનો ચહેરો છે.
આ પણ વાંચો: Vibrant Gujarat માં થયેલા MoU માંથી 5005 પડતા મૂકાયા