ચંદુ મહેરિયા
Two decades of MGNREGA – Challenges and relevance: સંસદના અંદાજપત્ર સત્રમાં ઓડિશાના કોરાપુટ મતવિસ્તારના અનુસૂચિત જનજાતિના કોંગ્રેસ સાંસદ સપ્તગિરિ શંકર ઉલાકાના નેતૃત્વ હેઠળની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ રજૂ થયો હતો. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રાલયની એકત્રીસ સભ્યોની સંસદીય સ્થાયી સમિતિએ મનરેગા(MGNREGA)માં મહત્વના સુધારા સૂચવતી ભલામણો તેના સંસદ સમક્ષના રિપોર્ટમાં કરી છે. મનરેગાના કામના દિવસો અને દૈનિક વેતનમાં વૃધ્ધિ કરવા સમિતિએ ભલામણ કરી છે.
ગ્રામીણ ભારતના અકુશળ નાગરિકોને કામનો અધિકાર આપતો નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (NAREGA) યુપીએ-૧ના સત્તાકાળમાં ઘડાયો હતો. આ કાયદામાં ગામડાના બિનકુશળ શ્રમિકોને સરકાર પાસે કામ માંગવાનો કે વિકલ્પે બેકારી ભથ્થું આપવાની જોગવાઈ છે. ૨૦૦૯ની ગાંધી જયંતીથી કાયદા સાથે ગાંધીજીનું નામ જોડવામાં આવ્યું છે. હવે તે ‘મનરેગા’ કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એકટ(MGNREGA) તરીકે ઓળખાય છે. બીજી ફેબ્રુઆરી ૨૦૦૬થી કાયદાનો અમલ શરૂ થયો તે હકીકતને હવે તો બે દાયકા થવા આવ્યા છે. પરંતુ જેમ તેની પ્રાસંગિકતા વધી છે તેમ તેની સામેના પડકારો પણ વધ્યા છે.
આ પણ વાંચો: 4.53 કરોડ કેસો કોર્ટોમાં પડતર હોય ત્યાં ન્યાયની દેવીમાં બદલાવનો અર્થ ખરો?
ગામડાના લોકોને ઘરઆંગણે તેમની માંગણીથી વરસના ફરજિયાત સો દિવસનું કામ આપી સ્થળાંતર રોકવાનો આ કાયદાનો ઉદ્દેશ છે. તેનાથી આર્થિક રીતે નબળા લોકો માટે રોજગાર ઉભો કરવો છે. કામની જરૂરિયાત ધરાવતા લોકો અને ગ્રામ્ય વિકાસ કાર્યો વચ્ચે મેળ બેસાડીને ચાલતા મનરેગાથી પંચાયતી રાજ અને ગ્રામ સભાનું મહત્વ ઉભું થયું છે .વળી લોકતંત્ર છેક તળિયાના લોકો સુધી પહોંચ્યું છે. મનરેગા થકી પલાયન રોકવાનો તો સ્થાનિક મજૂરીનાa દર વધારવાનો પણ હેતુ છે. અને તે ઘણે અંશે સાકાર થયો છે. કાયદા દ્વારા ગરીબી ઘટાડવાનો તેમ ૩૦ ટકા શ્રમિકો મહિલા રાખવાની જોગવાઈથી મહિલા સશક્તીકરણનો પણ આશય છે.
ગામના તળાવો ઊંડા કરવા, રસ્તાઓનું નિર્માણ, મકાન બાંધકામ, સિંચાઈ, પૂર નિયંત્રણ, વનીકરણ, નહેર સફાઈ, પ્રધાન મંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન , પાણીનો સંગ્રહ અને તેનું સંવર્ધન તથા બીજા પર્યાવરણ સંબંધી કામો મનરેગા હેઠળ કરવામાં આવે છે. એટલે મનરેગા ખાડા ખોદવાની કે પૂરવાની યોજના નથી. પરંતુ તેના થકી ગ્રામીણ ભારતમાં અનેક નાના મોટા વિકાસ કામો થયા છે. માળખાકીય સુવિધાઓ ઉભી થઈ છે.
કરોડો શ્રમિકોને રોજી આપતી MGNREGA વિશ્વની સૌથી મોટી રોજગાર યોજના છે. જોકે તેમાં શ્રમિકોની માંગણીથી વરસના સો દિવસ જ રોજી આપવામાં આવે છે. વળી મનરેગા મજૂરોનું વેતન લઘુતમ વેતનથી પણ ઓછું છે. એટલે તેનાથી મજૂરોના જિંદગીના થોડા દહાડા ટૂંકા થાય છે પરંતુ તેમનાa જીવનધોરણમાં કોઈ સુધારો થતો નથી. કામના વિકલ્પે બેરોજગાર ભથ્થું આપવાની કાયદામાં જોગવાઈ છે ખરી પરંતુ તેનો ક્યાંય અમલ થતો નથી.
એટલે સંસદીય સમિતિએ કામના દિવસો ૧૦૦ થી વધારીને ૧૫૦ કરવાની અને MGNREGA શ્રમિકોનું રોજનું વેતન રૂ. ૪૦૦ કરવાની મહત્વની ભલામણ કરી છે. જ્યારથી MGNREGA નો અમલ શરૂ થયો છે ત્યારથી જ તેના કામના દિવસો અને મજૂરીનો દર વધારવાની માંગણી થતી રહી છે. વર્તમાન સરકાર ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો ‘મનરેગા’ ને યુપીએ સરકારની રોજગાર ક્ષેત્રે વિફળતાનું સ્મારક ગણાવી હાંસી ઉડાવી હતી. પરંતુ કોરોના પછીના બેરોજગાર ભારતને ‘મનરેગા’ નો જ આશરો હતો. અન્નના અધિકારને વશવર્તી સરકાર ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપે છે ત્યારે કામ કરીને રોજી માંગતા હાથને સરકાર નિરાશ ના કરી શકે.
આ પણ વાંચો: ગુજરાતમાં 65 ટકા મહિલાઓ લોહીની ઉણપથી પીડાય છે
‘મનરેગા’ (MGNREGA) ના બે દાયકાનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે ગ્રામીણ શ્રમિકોની આ જીવાદોરી પ્રત્યે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ ઘટતી જાય છે. મનરેગાના બજેટમાં થતો ઘટાડો અને કામ માંગતા હાથમાં થતો વધારો તેની સામેનો સૌથી મોટો પડકાર છે. મનરેગા મજૂરોને ઓછું વેતન અને તે પણ ઘણાં વિલંબથી ચુકવાય છે. આખા દેશમાં એક સરખો વેતન દર નથી. ૨૦૨૪-૨૫ના વરસમાં મજૂરીનો વધેલો સરેરાશ દર માત્ર રૂ. ૨૮ છે. મનરેગા માટે કેન્દ્ર ૯૦ ટકા અને રાજ્ય ૧૦ ટકા હિસ્સો ફાળવે છે. હાલમાં મનરેગાના ખાતામાં રૂ. ૨૩,૪૪૬.૨૭ કરોડનું કરજ છે. આ દેણામાં વિલંબથી ચુકવાતી મજૂરીનો મોટો ભાગ છે.
ભ્રષ્ટાચાર નિવારણના નામે મનરેગા મજૂરી કામદારોના બેન્ક ખાતામાં સીધી જમા થાય છે. હવે કામદારોના જોબકાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા ફરજિયાત કરાયા છે. આધાર કાર્ડમાં મામૂલી ભૂલ કે અન્ય નજીવા કારણોસર અડધા કરોડ કરતા વધુ જોબકાર્ડ રદ કરવામાં આવ્યા છે. જોબકાર્ડ કુટુંબદીઠ આપવામાં આવે છે. તેમાં કુટુંબના ચારથી પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. એટલે લગભગ બે કરોડ લોકોને ‘મનરેગા’ (MGNREGA) થી વંચિત રહીને ભૂખમરો વેઠવાનો વારો આવ્યો છે.
જ્યારે ‘મનરેગા’ માટે થતી નાણાકીય ફાળવણી સૌથી વધુ હતી ત્યારે ૨૦૦૮-૦૯ અને તે પછીના એક બે વરસોમાં પણ તે જીડીપીના ૦.૫૩ થી ૦.૫૫ ટકા આસપાસ હતી. હાલમાં તો તે ૦. ૩૦ થી ૦.૩૩ ટકાની વચ્ચે છે. અકુશળ અને અસંગઠિત ‘મનરેગા’ શ્રમિકો માટેના ખર્ચની સરખામણી ઉધ્ધોગોને આપેલી ટેક્સમાં રાહત સાથે કરીએ તો તે જીડીપીના ૩ ટકા જેટલી છે. એકલા ડાયમંડ અને ગોલ્ડની કંપનીઓને મળેલી કરવેરાની છૂટ મનરેગાના બજેટ કરતાં બેગણી છે. ત્યારે સરકારની રાજકીય ઈચ્છાશક્તિ અને પ્રાથમિકતા શું છે તે સમજી શકાય છે.વળી ઉદ્યોગોથી પેદા થતી રોજી અને મનરેગા(MGNREGA) થી પેદા થતી રોજીમાં જમીન આસમાનનું અંતર છે.
આ પણ વાંચો:ગયાના મહાબોધિ વૃક્ષમાંથી પ્રવાહી નીકળતા બૌદ્ધો ચિંતિત
કેન્દ્ર સરકાર MGNREGA ના બજેટની રાજ્યોને ફાળવણીમાં ભેદભાવ રાખે છે. જ્યાં ડબલ એન્જિન સરકાર હોય ત્યાં પૂરતી અને સમયસર ફાળવણી થાય છે જ્યારે વિપક્ષી રાજ્ય સરકારોને ઓછી અને મોડી ફાળવણી થાય છે. આમ કરીને તે કેન્દ્ર વિપક્ષશાસિત રાજ્યોની સરકારોના મનરેગા શ્રમિકોમાં અસંતોષ જન્માવવામાં સફળ થાય છે.
ટેકનોક્રસીમાં વૃધ્ધિ MGNREGA સામે મોટો પડકાર છે. બેન્ક ખાતાને આધાર સાથે લિંક કરવું, ઈ-મસ્ટર રોલ જેવા ગતકડાં શ્રમિકોને વધુ હેરાન કરવા જ કાઢવામાં આવ્યા હોય તેવું અનુભવે જણાયું છે. એટલે તેનાથી છૂટકારો મળે તો જ આ કાયદાનો સુચારુ અમલ થઈ શકે છે.
MGNREGA ના ઘણા ઉદ્દેશો પાર પડ્યા છે. રોજીરોટી અર્થે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર ઘટ્યું છે.’ મનરેગા’ ના કારણે ગામડાઓમાં ખેતમજૂરી સહિત અન્ય રોજીના દર વધ્યા છે. કામદારોની અછત ઉભી કરી શકાઈ છે. તેમની સોદાશક્તિ વધારી શકાઈ છે. મહિલાઓનું સશક્તીકરણ થયું છે. એટલે તેની સાર્થકતા અને પ્રાસંગિકતા સ્વયંસ્પષ્ટ છે.
ગાંધીજી શ્રમિકો માટે જીવન યોગ્ય દરમાયો ઈચ્છતા હતા પરંતુ તેમના નામ સાથે જોડાયેલા આ રોજગાર ખાતરી કાયદામાં શ્રમિકને તે મળતો નથી તે કેટલી મોટી કરૂણતા છે. સરકાર અને શ્રમિક બેઉ માટે મનરેગા જીવાદોરી છે. એટલે સંસદીય સમિતિની ભલામણો સ્વીકારીને સરકાર મનરેગા મજૂરોના કામના દિવસો અને રોજગારીનો દર વધારીને તેને વધુ સાર્થક કરી શકે છે. ‘મનરેગા’ના બે દાયકે ગ્રામીણ શ્રમિકોની જેમ શહેરી ગરીબો માટે પણ MGNREGA જરૂરી છે તે દિશામાં વિચારવાની તાતી જરૂર છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી