સૌરાષ્ટ્રને લોકગીતો, લોકકથાઓમાં શૂરા અને સંતોની ભૂમિ કહીને સવર્ણ કવિઓ-લોકસાહિત્યકારો-લેખકોએ જાણે અહીંના લોકો ઈશ્વરના દૂત હોય, માણસના રૂપમાં ઈશ્વરનો અવતાર હોય તેવી આભા ઉભી કરી દીધી છે. પણ વાસ્તવિકતા તેનાથી તદ્દન જુદી છે. સૌરાષ્ટ્રના લોકો ગુજરાતમાં સૌથી વધુ જાતિવાદી છે. આ એ સૌરાષ્ટ્ર છે જ્યાં કોઈપણ ગામના પાદરે પહોંચનાર અજાણી વ્યક્તિને તેનું નામ પૂછ્યા બાદ પહેલો જ સવાલ ‘તમે કેવા?’ એમ પૂછવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આજની તારીખે પણ એકેય એવું ગામ નથી જ્યાં દલિતો સાથે આભડછેટ પાળવામાં ન આવતી હોય. સવર્ણ હિંદુઓ દલિતોને ગામના મંદિરોમાં પ્રવેશવા દેતા નથી. તેમની સાથે હાથોહાથ વ્યવહાર કરતા નથી. તેમના ચા-પાણીના વાસણો અલગ રખાય છે. ગામના જાહેર કાર્યક્રમોમાં તેમને બોલાવાતા નથી અને જો બોલાવાય તો તેમનો જમણવાર અલગ રાખવામાં આવે છે.
સૌરાષ્ટ્રના ગામડાઓમાં વસતા સવર્ણ હિંદુઓ એકવીસમી સદીમાં પણ કઈ હદે હળાહળ જાતિવાદથી ગ્રસ્ત છે તેનું વધુ એક વરવું ઉદાહરણ ગીરસોમનાથ જિલ્લાના કંટાળા ગામેથી સામે આવ્યું છે. જ્યાં દલિતો સાથે ગામના સવર્ણો દ્વારા ગામના જાહેર કાર્યક્રમમાં આભડછેટ રાખવામાં આવતા દલિત સમાજે સ્થાનિક પોલીસ સ્ટેશન, મામલતદાર, કલેક્ટર, સાંસદ, માનવ અધિકાર આયોગ અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવી પડી છે.
મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતોની બાદબાકી
કંટાળા ગામના દલિત સમાજના લોકોએ ગીરસોમનાથ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગામના આહિર જાતિના લોકો તેમની સાથે આભડછેટ રાખે છે અને તેમને જાહેર કાર્યક્રમોમાંથી બાકાત કરી દે છે. ગામના રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આહિરોએ દલિતોને મંદિરમાં પ્રવેશવા દીધાં નહોતા અને જમણવાર સહિતના કાર્યક્રમમાંથી પણ તેમની બાદબાકી કરી નાખી હતી. આહિરો કહે છે કે, “ઢે@# તો ખાવાના ભૂખ્યા છે અને કહીશું એટલે ખાવા આવી જશે અને તેમને અલગ પંગતમાં બેસાડીને જમાડી દઈશું. તેમને આપડી સમાજની સાથે બેસાડીને જમાડીએ તો મંદિરનું પવિત્ર કામ અભડાઈ જાય.”
આ પણ વાંચો: ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત
બેનરોમાં ‘સમસ્ત ગામ’ લખ્યું પણ દલિતોને આમંત્રણ નહીં
કંટાળાના દલિત સમાજના જણાવ્યા પ્રમાણે રામદેવપીર મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના બીજા તમામ સમાજના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે પરંતુ દલિત સમાજની બાદબાકી કરી દેવામાં આવી છે. આહિરોએ મંદિરનો આ કાર્યક્રમ ગામ સમસ્ત હોવાના બેનરો માર્યા છે પરંતુ એ સમસ્તમાં દલિતોને કશા જ કારણ વિના દૂર કરી દેવામાં આવ્યા છે.
આહિર સમાજના લોકો આભડછેટ રાખે છે
કંટાળાના દલિતોનું કહેવું છે કે, ગામના આહિર જાતિના લોકો તેમની સાથે આભડછેટ રાખે છે, તેમના પ્રત્યે ભેદભાવભર્યું વર્તન કરીને અપમાન કરે છે. તેમને માણસ ગણીને સામાન્ય માણસ સાથે જેવો વ્યવહાર કરવો જોઈએ તેના બદલે અસ્પૃશ્ય ગણીને અંતર જાળવે છે. એકવીસમી સદીમાં પણ આ લોકો અઢારમી સદીની પછાત માન્યતાઓમાં જીવે છે અને અમારી સાથે પણ તેવું વર્તન કરે છે. જેના કારણે અમારા બંધારણીય અધિકારોનો ભંગ થાય છે. આથી આ બાબતને ગંભીરતાથી લઈ અમને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.
ડો.આંબેડકરને ફૂલમાળા પહેરાવતા મુખ્યમંત્રી શું કરશે?
કંટાળાના દલિતોએ આ આવેદનપત્ર ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર, માનવ અધિકાર આયોગ, કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સાંસદને મોકલ્યું છે. જોવાનું એ રહેશે કે મત મેળવવા માટે ડૉ.બાબાસાહેબ આંબેડકરના નામનો ઉપયોગ કરી તેમને ફૂલમાળા અર્પણ કરતા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી સહિતના જવાબદારો આ બાબતે શું પગલા લે છે.
કોડીનારના દલિત ધારાસભ્ય કેમ મૌન છે?
હાલ કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા છે, જેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે. તેમ છતાં તેમના મત વિસ્તારના એક ગામમાં તેમની જ સમાજના લોકો સાથે આભડછેટ પાળવામાં આવે અને તેઓ મૌન બનીને બેસી રહે તે કેટલું યોગ્ય છે? આ ઘટના એ પણ સાબિત કરે છે કે, ભાજપની સરકારમાં દલિત ધારાસભ્યની હેસિયત કેટલી છે. તેઓ તેમની જ સમાજના લોકોને ન્યાય અપાવી શકતા નથી. જોવાનું એ રહેશે કે ધારાસભ્ય તેમની સરકારમાં કોઈ રજૂઆત કરે છે કે નહીં.
આ પણ વાંચો: બેકરીનું નામ ‘કરાચી’ હોવાથી ભાજપ કાર્યકરોએ તોડફોડ કરી
કાયદો કાયદાનું કામ ક્યારે કરશે?
આજે એકવીસમી સદીમાં પણ ગુજરાતમાં દલિતોને માનવાધિકાર માટે આવેદનપત્ર પાઠવવું પડે તે દેશનું દુર્ભાગ્ય છે. સવર્ણ હિંદુઓ દ્વારા લગ્ન પ્રસંગોમાં દલિત વરરાજાને ઘોડી પર ચઢવા ન દેવા, મૂછો રાખવા ન દેવી, ડી.જે. વગાડવા ન દેવું જેવી ઘટનાઓ ગુજરાત અને ભારતમાં સમયાંતરે બનતી રહે છે. આવી ઘટનાઓના આરોપીઓ સામે કાયદો યોગ્ય કાર્યવાહી કરી સજા ન ન કરતો હોવાથી આવા જાતિવાદી તત્વોની હિંમત ખૂલી જાય છે.
ચૂંટણીઓમાં ડૉ. આંબેડકરના નામે મતો મેળવવા દલિતવાસમાં ઘૂસી આવતા નેતાઓ છેવટે તો સવર્ણ હિંદુઓ તરફી જ ઝોંક ધરાવતા હોવાથી દલિતોને ન્યાય મળે તેમાં રસ ધરાવતા નથી. એ સ્થિતિમાં દલિતોનું પોતાનું મજબૂત નેતૃત્વ ઉભું થાય અને તેઓ સત્તામાં આવે તો જ આભડછેટ અને જાતિવાદ જેવી સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.
દલિતો હિંદુ નથી – કંટાળાના દલિતો આ વાત ક્યારે સમજશે?
જો નેતાઓ કંટાળાના કપાળે લાગેલાં આભડછેટના કાળા કલંકને ભૂસી ન શકે તો આ ગામના દલિતોએ એ હકીકત સ્વીકારી લેવી જોઈએ કે તેઓ જે ધર્મનાં હોવાનું ગૌરવ લઈ રહ્યા છે તે ધર્મ તેમનો નથી. જે ધર્મ તેને સમાન માનવીય અધિકાર ન આપી શકે તે તેને સમાન માનવીય વ્યવહાર પણ ન અપાવી શકે.
કંટાળા ગામના દલિતોએ એ સ્વીકારવું પડશે કે તેઓ હિંદુ નથી અને જો પરાણે હિંદુ બનવા જશો તો તમારી સાથે આવો જ વ્યવહાર થશે. માટે તેમણે હિંદુ મંદિરોમાં પ્રવેશ મેળવવાને બદલે શિક્ષિત બનીને પોતાના હક-અધિકારો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વિશેષ માહિતીઃ મયૂર વાઢેર, કોડીનાર
આ પણ વાંચો: ઉનાકાંડ પોલીસકર્મી મૃત્યુ કેસમાં તમામ 10 આરોપીઓ નિર્દોષ છૂટ્યાં
Paradhuman bhai vaja ,, tame Dalito uper atyaachaar thay che ane tame kem maoun rakhine betha cho?? Jo tamara thi Dalito parsno hal na thay,, to tamare Rajinamu aapi devu joi, e karan ke tame Dalito na vote thi chutani jitiya cho,,?? Ok bhai
આહીર જાતિ ને પણ સવર્ણ જાતિ ગણવામાં આવતી નથી,
સવર્ણ ફક્ત બ્રાહ્મણ,વાણિયા અને ઠાકુર છે,આ સિવાય ના તમામ શુદ્ર જાતિના લોકો છે, અને બધાં જ શુદ્રો પછાત વર્ગ માં આવે છે, અને આ કહેવાતા પછાત વર્ગ અન્ય પછાત જાતિઓમાં પોતાની જાતને સવર્ણ ગણાવી ને અત્યાચાર કરે છે,
પરંતુ બ્રાહ્મણ વાણિયા જેવી સવર્ણ જાતિ આગળ બોલતી બંધ થઈ જાય છે,
..